૨૦. શાકાહા૨ના સિદ્ધાંત માટે
૨૦. શાકાહા૨ના સિદ્ધાંત માટે
પ્રિટોરિયાથી એક અંગત પત્રમાં મિ. એમ. કે. ગાંધી લખે છે :
એક શાકાહારી બાગબાનને સારુ કાર્ય કરવાને અહીં દક્ષિણ આફ્રિકામાં મજાનો અવકાશ છે. અહીંની જમીન અત્યંત રસાળ હોવા છતાં ખેતીની ઘણી ઉપેક્ષા થઈ છે.
મને જણાવતાં આનંદ થાય છે કે અમારાં ઘરમાલિક જેઓ એક અંગ્રેજ બાનુ છે તેમને શાકાહારી થવાનું સ્વીકારવાનું અને પોતાનાં બાળકોને શાકાહાર પર ઉછેરવાનું સમજાવવામાં હું સફળ થયો છું, પણ મને બીક રહે છે કે તે પાછાં માંસાહાર પર લપસી જશે. જોઈએ તેવાં શાકભાજી અહીં મળતાં નથી. જે મળે છે તે બહુ મોંઘાં પડે છે. ફળ પણ ઘણાં મોંઘાં છે; દૂધનું પણ એવું જ. તેથી એમને શાકાહારની વાનગીઓની પૂરતી વિવિધતા બતાવવાનું ઘણું કઠણ થાય છે. અને એ જો વધારે ખરચાળ જણાશે તો તો તે તેને ચોક્કસ છોડી દેશે.
પ્રાણપોષક આહાર વિષેના મિ. હિલ્સના લેખમાં મને બહુ રસ પડયો. હું તરતમાં જ તેનો બીજો અખતરો કરવા ધારું છું. તમને યાદ હશે કે મુંબઈમાં હું હતો ત્યારે મેં એનો અખતરો કરી જોયો હતો. પણ તેને વિષે અભિપ્રાય આપવાનો દાવો કરી શકાય એટલો લાંબો વખત તે ચાલ્યો નહોતો.
"આપણા બધા મિત્રોને મારું સ્મરણ કરાવવા વિનંતી છે."
