માનવમાં માધવ
માનવમાં માધવ
પ્રત્યેકને માનવમાં માધવ દેખાય તો કેવું સારું,
જનેજનમાં જો જનાર્દન પરખાય તો કેવું સારું !
મંદિરવાસી દરેકના મન મંદિરમાં છે વસનારો,
પ્રત્યેકમાં પરમેશ સદા ઓળખાય તો કેવું સારું !
છે એ સર્વવ્યાપી ઘટઘટમાં એ બિરાજનારો,
માનવમાત્રમાં ઈશ્વર સમજાય તો કેવું સારું !
દીનહીન ટળવળે ચપટી ધાન પામવા સઘળે,
એનાં એ દુઃખને કદી દૂર કરાય તો કેવું સારું !
ચોક્કસ મળશે તને પરમેશ માનવ રુપ ધરીને,
જો તારી દ્રષ્ટિ સાવ જાય બદલાય તો કેવું સારું !