વ્યવસ્થા અજોડ, તો કામ બેજોડ
વ્યવસ્થા અજોડ, તો કામ બેજોડ
કોઈ મોટી કામગીરી કરવાની હોય તો વ્યવસ્થા પણ મોટી કરવી પડે. આવું કામ કંઈ દરેકને ન ફાવે ! દરેકમાં એવી આવડત ન હોય. મેળાવડા કે પ્રસંગોમાં પણ વ્યવસ્થા ખાસ જરૂરી બને છે.
ગુજરાતના હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન ભરાવાનું હતું. આ માટે બધી તૈયારીઓ થઈ રહી હતી. ગાંધીજી પોતાના વહાલા સાથીદાર સાથે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચામાં દરેક વ્યવસ્થા બાબતની અને કામગીરી વહેંચવાની વાત આવી. છેલ્લે ગાંધીજીએ અધિવેશનમાં આવેલ દરેકને ગાયનું જ દૂધ આપવાની વાત કરી. આ વ્યવસ્થાની જવાબદારી તેઓએ આ સાથીદારને આપી.
હવે સાથીદાર વિચારે ચડયા. તેઓએ વિચાર્યું, 'આટલી મોટી સંખ્યાના પ્રતિનિધિઓ માટે એટલા દૂધની વ્યવસ્થા કઈ રીતે થાય !' નજીકના વિસ્તારોમાં આટલું દૂધ મેળવી શકાય એટલી ગાયો પણ નહોતી. વધારે દૂરથી મંગાવીએ તો સમય વધારે લાગે અને ખર્ચ પણ વધારે થાય. તેથી કંઈક અલગ જ વ્યવસ્થા કરવાનું વિચાર્યું.
હવે તેઓના વિચારોએ હનુમાન-કૂદકો લગાવ્યો. અશકયને શકય બનાવવાનું નક્કી કર્યું. અધિવેશનના સ્થળની બાજુમાં જ ગાયોની ગૌશાળા બનાવવાનું નક્કી કર્યું. આ માટે તેઓએ કાંકરેજની બસો ગાયો, ગિરનારની પાંચસો ગાયો અને બીજી પણ સેંકડો ગાયો મગાવી. આ ગૌશાળાની દેખરેખ ગાંધીજીની ગૌશાળાના નિષ્ણાત પાણીકરને આપી. દૂધના કામ માટે ઘણા ગોવાળો પણ રાખી લીધા. પછી તો વાત જ શી પૂછવી ! ત્રણ દિવસના અધિવેશનમાં દરેક પ્રતિનિધિને શુદ્ઘ અને તાજું દૂધ પીવડાવ્યું અને તે પણ પૂરતાં પ્રમાણમાં.
અધિવેશનની સમાપ્તિ વેળાએ ગાંધીજીના આ સાથીદારની 'વાહ, વાહ' થઈ ગઈ. તેઓની આંતરિક સૂઝ અહીં રંગ લાવી હતી. બીજી વ્યવસ્થામાં પણ તેઓએ મદદ કરેલી. કોઈ વ્યવસ્થામાં ખામી રહેવા દીધી નહોતી. કોઈને કંઈ તકલીફ પડી નહોતી. અને આ 'વાહ, વાહ'ના હકદાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા.
કોઈપણ પ્રસંગમાં આડેધડ રહીએ તો તેમાં હેરાનગતિ જ થાય, જ્યારે આયોજનપૂર્વક વ્યવસ્થા કરી પ્રસંગ કરવાથી તે સફળ રીતે પાર પડે છે.
