વિઘોટી
વિઘોટી
લગભગ આઝાદી પૂર્વની આ વાત છે. અમારો વિસ્તાર. રાધનપુર નવાબી સ્ટેટમાં આવતું. નવાબી સ્ટેટમાં રવદ ગામ આવતું. ગામમાં કણબી પટેલો, ઠાકોર, સુથાર, લુહાર, ભરવાડ અને દલિતની વસ્તીના ઘરો હતા. આ વિસ્તારમાં કુદરતી ખેતી કરતા મતલબ વરસાદ આધરિત ખેતી હતી. વરસાદ ઓછો થતા વરહ મોળું હતું. ઉપજ પણ બહુ થઈ નહોંતી. બધાજ ખેડૂતોને ચિંતા હતી કે આ વખતે નવાબી રાજને વિઘોટી ભરાશે નહિ. "વિઘોટી" ખેતીની જમીન પર લેવામાં આવતું જમીન મહેસૂલ એટલે વીઘોટી. રાધનપુર નવાબી સ્ટેટમાં બહુ કડક નિયમો હતા. જે ખેડૂત વિઘોટી ના ભરી શકે તો ના ભરનાર ખેડૂતની કેડે પથ્થર મૂકીને વાંકા કરતા. આવી આકરી સજા કરતા.અને પશી તેના પાસેથી જમીન લઈ ને જે
વિઘોટી ભરી સકે તેને ખેડવા આપી દે.
આજ રવદ ગામના જે ખેડૂતો છે તેમના ચેહરા પર ઉદાસ અને ચિંતાની રેખાઓ જણાય છે. કારણ કે વિઘોટી ભરવાનો સમય આવી ગયો છે. અઠવાડિયા દસ દિવસમાં વિઘોટી ઉઘરવા વાળા રાધનપુર નવાબી રાજમાં થી આવશે. તો શું કરવું તેની મુઝવણ બધાયને સતાવી રહી છે. આખરે જેની ચિંતા હતી તે આફત આવી ગઇ. રાધનપુરથી આવેલા રાજના વહીવટદારએ ખેડૂતોને વિઘોટી ભરી જવાની જાણ કરી. ખેડૂતો એ પોતાની સમસ્યા આવેલ વહીવટદારને સંભળાવી પણ ખેડૂતોની દશા ચિંતા કે આજીજીની કોઈ અસર ના થઈ. વહીવટદારે સાથે લાવેલ જમાદારને આદેશ કર્યો કે જે ખેડૂતે વિઘોટી નથી ભરી તેમની કેડ પર પત્થર મૂકીને વાંકા કરો. અને વિઘોટીની વસુલાત કરો. જમાદારે પચીસ ખેડૂતોને લાઇનસર વાંકા કરીને કેડ પર પત્થર મૂક્યા.
આ વાત ની ખબર ગામમાં વાયુવેગે પહોંચી ગઈ. ગામમાંથી યુવાન ખેડૂત સમગ્ર હકીકત શામજી કાળા ઉજળિયા ને (કણબી પટેલ) કહી. પોતે સુખી સંપન્ન પરિવાર બે જોડી બળદથી ખેતી કરે. બે સાથી ( ભાગિયા)થી ખેતી કરાવે. પહેલાના સમય ના ખેડૂતો પોતાના બળદ અને સાથીને પોતાના દીકરાની જેમ સાચવતા. કોઈ ભેદભાવ નહિ. પોતે જ્યાં વહીવટદારે અને જમાદારે ખેડૂતોને વાંકા કર્યા કર્યા છે ત્યાં આવ્યા. શામજી કાળાએ વહીવટદારને કહ્યું કે સરકાર આ વખતે વરહ મોળું છે. અને મોલ પાણી નથી થયા. તો આ વખતે ખેડૂતો ને વિઘોટી ભરવાનો વેંત નથી. થોડું સમજો તો સારું. અને ખેડૂતના કેડે પથરા ના મુકાય. ખેડુ કાળી મજૂરી કરે છે તોય પૂરું થતું નથી. કેમ કે આ સાલ વરસાદ ના બરાબર છે. એટલે વિઘોટી નથી ભરાય એમ. વહીવટદાર બોલ્યા મારે શિખામણ ની જરૂર નથી. અને જ્યાં સુધી વિઘોટી ના ભરાય ત્યાં સુધી સવાર સાંજ વાંકા પડવું પડશે.
કેડ માથે પથર તો ખરો જ. પોતાના ગામમાં જ પોતાના ખેડૂતોને વાંકા પાડે અને કેડ પર પથ્થર મૂકેલા રાખે તો ક્યાં સુધી સહન થાય. માણસ મરી જાય. તેના બાળ બચ્ચાંનું શું. અરે રે પ્રભુ ! આવો અત્યાચાર ના હોય. પણ આ તો નવાબી સ્ટેટના કારભારીને દયા લાગણીને જમીન આસમાનનું છેટું. છેવટે વહીવટદાર ટસનો મસ ના થયો તો ના થયો.
છેવટે શામજી કાળા બોલ્યા ફાડવા મંડો પાવતી આ બધાની વિઘોટી હું ભરું છું. અને મારા ખેડૂતોની કેડ પરથી પથરા લઈ લો. કહેવાય છે શામજી કાળા એ પોતાની સાચવેલી મૂડી રાણી છાપના રૂપિયા રાધનપુર નવાબી સ્ટેટના વહીવટદારને એક કલમે ગણી આપ્યા. અને પચીસ ખેડૂતો ને કેડ માથેથી પથરામાંથી મુક્તિ અપાવી હતી. આવી દશા નવાબી રાજ રાધનપુર વિસ્તારના ગામડા ની હતી.
