વહુની વાર્તા 11
વહુની વાર્તા 11
એક વખત કંચનબેને નારીજાગૃતિ માટેનો એક કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું. એ મુજબ મેરેજ હોલમાં આવા કાર્યક્રમનું આયોજન પણ કર્યું. અનેક મહાનુભાવોને પણ આમંત્રણ આપીને બોલાવ્યા. તેમાં સાસુ-વહુના સંબંધો જો મા-દીકરી જેવા રહે તો સંસારમાં કદી' ઝઘડા થાય જ નહિ એવી ઘણી વાતો થઈ. આ મહેમાનોમાં ધારાસભ્યશ્રી પણ હાજર રહેલ અને ખૂબ જ સારું વકતવ્ય આપેલ. સુવર્ણાએ પણ મીઠા અવાજમાં નારીવંદનાની રજૂઆત કરી હતી. તાળીઓથી હોલ ગૂંજી ઊઠયો હતો. સુવર્ણાએ દરેકની સામે મસ્તક નમાવી આશીર્વાદ મેળવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં એવી વાતો પણ થઈ કે કયારેક શાક બનાવવા જેવી સામાન્ય બાબતોથી પણ ઝઘડો થતો હોય છે. કયારેક રસોઈ બગડી જવાથી પણ ઝઘડો થતો હોય છે. પણ આવું ન બને તે માટે દરેકે શાંતિથી કામ લેવું જોઈએ. આજે વાણી-સ્વાતંત્ર્ય છે, એનો મતલબ એવો નથી કે સતત ઝઘડા કરીએ. દરેકે શાંતિથી વિચાર કરીને જ આગળ વધવું જોઈએ.
આ કાર્યક્રમમાં વડોદરાના મહિલા ધારાસભ્ય પણ પાવાગઢથી સીધા આવી ગયેલ. તેમણે પણ ભાવવાહી વકતવ્ય આપીને સૌને પ્રભાવિત કરી દીધેલ. તેમણે સંગઠનની વાત પણ કરી અને કહ્યું કે સંગઠન બનાવી બીજાને હેરાન કરવાનું કે દબાવવાનું કામ નહિ, પણ સામાજિક સેવાનું કામ કરવું જોઈએ. આપણા વિચારો પવિત્ર હોવા જોઈએ. હું પણ એક વહુ છું. મારે કોઈ દિવસ મારાં સાસુ સાથે ઝઘો થયો નથી. હું તેમનાથી અને તેઓ મારાથી ખુશ છે. સાસુ-વહુ વચ્ચે ઝઘડો થાય તો પુરુષની દશા ઘાણીમાં પીલાવા જેવી થતી હોય છે. જ્યારે આવું થાય ત્યારે તે નથી પોતે ખુશ રહી શકતો કે નથી કોઈને ખુશ રાખી શકતો. સ્ત્રીઓએ કદી' પુરુષની દશા ઘાણીમાં પીલાવા જેવી ન કરવી જોઈએ. જેથી તે સંસારને આનંદમાં રાખી શકે.
શ્રમજીવી વર્ગમાંથી સુશીલાબેન આવ્યાં હતાં. તેમનું કહેવું હતું કે, શ્રમજીવી કામ કરવાનું બંધ કરી દે તો સંસારનો બધો વ્યવહાર અટકી પડે. આ લોકો રોજેરોજનું કમાઈને ખાતા હોય છે. આ વર્ગમાં મોજશોખ તો કયાંય દૂર રહે છે. કારણ કે, મોજશોખ કરવા જેવું તેમની પાસે કંઈ હોતું જ નથી. આ વર્ગ નું વિચારવા માટે શક્તિમાન જ નથી. પોતાની વિચારધારા એ કયારેય આગળ વધારી શકતા નથી. પણ પોતાની કામ ખંતથી કરે છે. આ શ્રમજીવી વર્ગમાં સગાંઓમાં પણ લગ્ન થઈ શકે છે. શ્રમજીવીઓની અઢાર જાતિઓ ગણાય છે. આ વર્ગ વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ વ્યસનને નજીક રાખે છે અને આ વ્યસનની ધૂનમાં કયારેક વિવાદ થઈ પણ જાય છે.
(ક્રમશ:)