પ્રતીક્ષા - 23
પ્રતીક્ષા - 23
માનવીનું કોરું કટ મન પ્રેમની કૂંપળ ફૂટી નીકળે ને કેવું લીલુંછમ થઈ જાય આતો છે હજી શરૂઆત,
પોતાના પ્રિય પાત્રને જોવાની અદમ્ય ઈચ્છા....
આખો દિવસ વાતો કરવાની ઈચ્છા....
તેની સાથે સમય વિતાવવાની ઈચ્છા.....
તેના સુખમાં સુખી થવાની ઈચ્છા......
તેની સાથે ભવિષ્યની કલ્પના કરવાનો આનંદ.....
અને અંતે છેલ્લો હૃદયમાં સ્થિર થઈ જતો નિર્વિકાર ભાવ... પ્રિયપાત્ર સાથે સ્થુળ સ્વરૂપે જોડાઈ કે ન જોડાયા સમગ્ર અસ્તિત્વ પ્રેમમય બની જાય....એવા પ્રેમની ઊર્જા અને ઉષ્મા સંચિત થાય કે તે પ્રેમ વ્યક્તિને અન્યને સુખી કરી નવી પ્રેરણા પ્રદાન કરી શકે.
પ્રથમ સ્પંદનથી શરૂ થતી અને અનેરીની પ્રણયયાત્રા એ આજે ૨ વર્ષ પૂરા કર્યા. કાલનો સૂરજ અનેરી માટે પરિવર્તનો સૂરજ હતો. પપ્પા માટે એક નવા સુંદર ભવિષ્યનું આયોજન કરી એકાદ-બે દિવસમાં અહીંથી થોડે દૂર ચાલ્યા જવું, નવીનતામાં ભવિષ્ય કંડારવા વ્યસ્તતાને પહેરી, સંસ્મરણોને સાચવી એક નવા ઉદ્દેશ્ય સાથે જવું અને કંઈક મેળવીને પાછા ફરવું.
અગાસી પર બેસીને કંઈ કેટલીયે સાંજ અનેરીએ વિતાવી હતી, આજની સાંજ ઘણું બધું યાદ અપાવી ગઈ અને ત્યાં ખરા સમયે પન્નાબહેન આવી ગયા.
પન્નાબેન :-'અનુ બેટા શું વિચારે ?"
અનેરી:-"કંઈ ખાસ નહીં આંટી."
પન્નાબેન:-"મમ્મી યાદ આવી ગઈ ?"
અનેરી:-"હા આંટી.....(અને ઘણા વખતથી રોકેલો ધોધ જાણે વહેવા લાગ્યો તેની આંખોમાંથી)
પન્નાબેન:-"આજે તને હું નહીં રોકું, હું તને સમજી શકું બહુ અઘરું છે બધું એકસાથે સંભાળવું."
અનેરી:-"આંટી હું દુઃખી નથી પરંતુ આટલા વર્ષોમાં કોઈપણ ખુશી મેં મમ્મી વિના નથી માણી અને કાલે કદાચ મમ્મી હંમેશા માટે અહીંથી ચાલી જશે પણ મારા સ્મરણમાં તો તે સ્થિર થઈ ગઈ છે અને મને બીક લાગે છે ખુદ મારી એટલે થોડો સમય અહીંથી ચાલી જવા માંગુ છું."
પન્નાબેન:-"તારા અને શિલ્પા બેનના ભાગ્યમાં કદાચ આટલું જ સાથે રહેવાનું સુખ લખ્યું હશે બેટા, તેમાં તો કાંઈ ન થઈ શકે પણ તે જે પપ્પા માટે વિચાર્યું છે તે પ્રશંસનીય છે."
અનેરી:-"હું સાચી છું ને આંટી ?"
પન્નાબેન:-"હા સાચી 100%."
અનેરી:-"આન્ટી આજે તમારી સાથે વાત કરીને મન હળવું થઈ ગયું."
પન્નાબેન:-"મારો કવન સાચું કહે છે અનેરીની વાતમાં આપણી વાત ભૂલાઈ જાય."
અનેરી:-"તમે શું વાત કરવા આવ્યા હતા આંટી ?"
પન્નાબેન:-"કવનની જ વાત છે બેટા, તેના મેડમને તો તું ઓળખે છે ને બપોરે તેમને ફોન હતો મને લાગ્યું કે કવન સાથે વાત કરવી હશે પરંતુ તેમણે તો તેની નાની બહેન વિદિશા માટે કવનનું માંગુ નાંખ્યું."
અનેરી:-"તો તો આંટી તમારે ખુશ થવું જોઈએ તમારી ચિંતા ટળી."
પન્નાબેન:-"મને ચિંતા કવનની નથી તારી છે સાચું કહું મેં નાનપણથી જ કવનની સાથે ફક્ત તને જોઈ છે અને મને લાગે છે કે કવન અને તારી જોડી જામશે. તું શું વિચારે છે આ બાબતે ?"
અનેરી:-"સાચું કહું મારી હમણાં લગ્નની ઈચ્છા નથી. મારા માટે કવન માત્ર ખાસ મિત્ર છે આંટી. અને વિદિશા ને હું મળી ચૂકી છું કવન માટે પરફેક્ટ છે તમે બંધ આંખે પણ વિદિશા માટે હા પાડી શકો તેમ છો. આમેય કાલે લગ્નમાં તો તેઓ આવવાના છે તમ નિરાંતે મળી લેજો કવનને હું સમજાવી લઈશ.
પન્નાબેન:-"મારી તો ચિંતા ટળી ગઈ અનુ."
અનેરી:- "મારી પણ."
મેં તો સૂરજને રોપ્યો છે આંગણે
મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ
મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે
મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ
-મિલિન્દ ગઢવી
અને એક નવા જ વિચારમાં સાંજમાંથી રાત્રી થઈ ગઈ અને તેનું હૃદય જાણે ફરીથી મહેકવા લાગ્યું. અનિકેતના વિચારો અને સપનાથી. આ એક એવી દુનિયા હતી જ્યાં ફક્ત અને ફક્ત અનેરી અને અનિકેત જ હતા બીજા કોઈને પ્રવેશવાની પરવાનગી જ ન હતી.
અને એ જ દુનિયાને ઝીલતા હતા અનિકેતના વિચારો. આજે ખબર નહીં કેમ પણ અનિકેતના મનને સમજાતું ન હતું. અનિકેતનું મન જાણે વહેંચાઈ ગયું. ઋચાની સાથે હોવા છતાં અમુક વસ્તુમાં સહજ ન થઈ શકાયું તો અનેરી સુધીનું અંતર પણ પાર કરી નથી શકાતું.
આમ છતાં એક ભાવ બંનેમાં સાથે સ્થિર થઈ ગયો કે બંનેના હૃદયમાં એકબીજા માટે કઈક અલગ જ અનુભુતિ છે,જે હવે ક્યારેય બદલાશે નહી, શુષ્ક નહીં થાય, કે નહીં બીજા પાત્રમાં મેળવી શકાય....આ સંતુષ્ટિ તો હતી બંનેના સુખનું કારણ.....આ એક જ સુખ પૂરતું છે.... શ્રદ્ધા, વિશ્વાસ, સંતોષ, પ્રેરણા...... છલોછલ જિંદગી થવા માટે ઘણીવાર આટલું જ ઈચ્છનીય છે....અનેરી અને અનિકેત ને ઈશ્વરે કદાચ એટલે જ એકબીજાં સાથે જોડેલા છે.....નવા પ્રેમની પરિભાષા જીવવા.

