પ્રમાણિક અભિપ્રાયને આવકારો
પ્રમાણિક અભિપ્રાયને આવકારો
એવા માણસો મળવા મુશ્કેલ છે કે કોઈની સાચી વાતને સરળતાથી સ્વીકારી શકે. પણ આઝાદી મળ્યા પછી આપણા નાયબ વડાપ્રધાને આવો દાખલો પૂરો પાડયો હતો.
આ વાત ભારતને આઝાદી મળ્યા પછીની છે. ત્યારે કોંગ્રેસ કારોબારીએ એક ઠરાવ પસાર કર્યો. આ ઠરાવને માન્ય રાખી હિંદી કેબિનેટે એક વહીવટી પ્રશ્નનો તે મુજબ ઉકેલ કરવાનું નક્કી કર્યું. પણ આ ઠરાવ ગૃહખાતાના સેક્રેટરી આયંગરને પસંદ ન પડયો. પણ તેઓ કોઈને કહી શકતા નહોતા. તેઓ એવું વિચારતા હતા કે, જવાહરલાલ નહેરુ, અબ્દુલ કલામ આઝાદ, રાજેન્દ્રપ્રસાદ અને અડગ પુરુષ નાયબ વડાપ્રધાન જેવા જે ઠરાવ પાસ કરે તેમાં કઈ રીતે કહી શકાય ? તેઓને આ ઠરાવમાં ખામી દેખાતી હતી છતાં કહી શકતા નહોતા.
આ વાતની નાયબ વડાપ્રધાનને ખબર પડી. તેઓએ તરત જ આયંગરને બોલાવ્યા. તેઓએ આયંગરને સ્પષ્ટ અભિપ્રાય આપવાનું કહ્યું. પણ આયંગરને ડર લાગતો હતો. તેઓ કહી શકતા નહોતા. ત્યારે આપણા નાયબ વડાપ્રધાન કહે છે, 'તમે સચિવ છો તો તમારે સચિવ તરીકેની તમારી ફરજ બજાવવી જોઈએ. કેબિનેટ માટે એક યાદી તૈયાર કરો અને તેમાં એ દરખાસ્ત સંબંધી તમારો મત નિર્ભયપણે જણાવો. કારોબારી કે કેબિનેટમાં કેવા ધુરંધરો બેઠા છે તે વિચારી તમારે તમારો અભિપ્રાય બદલવો જોઈએ નહિ.'
આવા દિલમાંથી નીકળેલા સાચા શબ્દોએ આયંગરના ડરને દૂર કરી દીધો. ઠરાવમાં જે કંઈ ખામી હતી તે બાબતની નોંધ લખી. તેમાં જે કંઈ હતું તે સાચું જ લખી નાખ્યું. હવે ડરની તો વાત જ નહોતી. આ નોંધ લખી નાયબ વડાપ્રધાનશ્રીને આપી. નાયબ વડાપ્રધાનશ્રીએ સૂચના આપી આયંગરની સૂચનાઓનો સ્વીકાર કરાવ્યો. આવા મોટા મનના માનવી તે સરદાર વલ્લભભાઈ પટેલ.
આપણે આજે એમ કહેતા ફરીએ છીએ કે, હું જે કહું તે સાચું. મારા સિવાય કોઈ આવું વિચારી ન શકે. પણ આ વાત સાવ ખોટી છે. કોઈને પોતાની ખામી કયારેય દેખાતી નથી હોતી. પણ સામેવાળાને તેમાં ખામી હોય તો ખબર પડયા વિના રહેતી નથી. કોઈ આપણી ખામી બતાવે તો આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ. આવું કરવાથી આપણી ખામી સુધરે છે, આપણું કંઈ ઓછું થતું નથી.