પણ, તમે મારા પપ્પા છો એટલે
પણ, તમે મારા પપ્પા છો એટલે
પણ, તમે મારા પપ્પા છો એટલે. તો,એ પણ મારા બાપ છે : તે કેમ ભૂલી ?
આજે સ્વ. શ્રી નરેન્દ્ર પંડ્યાની પ્રથમ માસિક શ્રધ્ધાંજલી અર્પણ અર્થે, કોરોનાનો ભોગ બનેલાં અને અંતિમ શ્વાસ સુધી ઝઝુમેલા સ્વ. જાદુગર પંડ્યાજીની સારવાર અર્થે હોસ્પિટલમાં હતાં તે સમયની વાતો યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરું છું.
અશ્રુઓ સારો નહીં, આગ થૈ ને વાગશે,
ને કફનમાં યાદ ના, ગૂંગળાવે છે કબર,
મોતની કોને ખબર ?, તા-કયામત બોલશે,
ના અઝાબો છોડશે, મોત પરવારી જશે.
- ડો.ફિરદૌસ દેખૈયા
અચાનક જ ભાભીનો કૉલ આવ્યો કે પપ્પાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આટલું સાંભળતાં મને ખૂબ જ ગભરામણ થઈ ગઈ, હૃદયના ધબકારા અને કાનના અવાજો વધી ગયાં સાથે સાથે શરીર એકદમ જ ઢીલું અને અશક્ત બની ગયું. શાળામાં છૂટવાના સમયે સમાચાર જાણ્યા તો ખૂબ જ કઠણ હૃદય રાખી સ્ટાફનાં બધાંને વાત કરી, ઝડપથી ઘરે આવી તરત જ મમ્મીને કૉલ કર્યો. મમ્મી સાથે વાત કરી પછી થોડી શાંતિ થઈ પણ ચિંતા તો હતી જ કારણકે મોટો ભાઈ પપ્પાને સી. ટી. સ્કેન રિપોર્ટ કરાવી પપ્પા માટે કોઈ હોસ્પિટલમાં એક બેડની સગવડમાં હતો. સવારની વાત આખો દિવસ મોટો ભાઈ આકરા તાપમાં અને બધાં જ ભૂખ્યાં - તરસ્યાં એક દવાખાનેથી બીજે દવાખાને લઈને ફરતો. કોઈને જમવાનો કે પાણી પીવાનો પણ મોકો ન મળ્યો. બસ, એક જ લક્ષ્ય, એક બેડ મળી જાય. સાથે સાથે મમ્મીની અને ભાઈની પણ ચિંતા કે પપ્પાને લઈને ફરતાં બંને બિમાર ન પડે ! અંતે ઘણી બધી ઓળખાણો અને ઓળખીતાઓ ને ફોન કરીને મોડાસા સાંજે પાંચ વાગ્યે પપ્પાને એડમિટ કર્યાં. પછી બધાંને હાશ થઈ.
બીજી બાજુ નાનો ભાઈ પણ આખા ગુજરાતમાં ફર્યો અને રેમડેસિવિર ઈન્જેક્શનની સગવડ કરી, રાત્રે મોડાસા આવી તાત્કાલિક ઈન્જેક્શન આપી રાત્રે ને રાત્રે જ પાલનપુર બીજા ઈન્જેક્શન માટે ગયો, બીજા દિવસે પરત મોડાસા.
કોરોના પેશન્ટ સાથે રહી ન શકાય, મળી પણ ના શકાય છતાં પણ બંને દીકરાઓ કોરોના પોઝિટિવ બાપની સાથે સતત ખડે પગે ઊભા રહ્યાં. કેમ ? કેમ કે પપ્પાને તકલીફ હતી , દવાઓ લેવાનું અને બધું જ સમય સરની દવાઓ લેવાનું ભૂલી જતાં. પપ્પા પાસે રહેવું પડશે તે ખ્યાલ આવતાં, અમારાં ફેમિલીની ડૉ. જૈના પંડ્યા, મોટાભાઈની દીકરીએ તરત જ તેના પપ્પા, કાકા અને બા પણ અવારનવાર જતાં હોઈ હેન્ડ ગલોઝપીપીઈ કીટ અને ફેસ શિલ્ડની સાથે અન્ય દવાઓ અને જરૂરી સામગ્રી મોકલી આપી.
દાદા સાથે સતત સંપર્કમાં રહેતાં બન્ને ભાઈઓની બધાં જ ચિંતિત રહેતાં. વિડિયો કૉલ અને કૉલ વખતે પણ સૌ કુટુંબીજનો બન્ને ભાઈઓને કેર લેવાની સલાહો આપ્યાં કરતાં.
નાના ભાઈની દીકરી ઋચા પણ એક્વાર સ્પેશિયલ ગાડી લઈને ઈન્જેક્શન આપવા આવી હતી. બધાં જ બધું જ કામ ખૂબ જ સાચવીને અને કોરોના વાઈરસ માટેનાં પ્રોટેક્શન સાથે કરતાં.
ઉંમર લાયક હોવા છતાં પણ, મમ્મી દર આંતરે દિવસે દવાખાને પ્રોટેક્શન સાથે જતી.
એ જ રીતે ઋચા અવારનવાર તેના પપ્પા ને ટોક્યા કરતી, " પપ્પા માસ્ક બરાબર નાક ઉપર ચઢાવો, સેનીટા ઈઝર લગાવો, પીપીઈ કીટ કેમ નથી પહેરી ? જાઓ પહેરી આવો, હું તમારી સાથે વાત નહીં કરું ! " અને ગુસ્સો કરી ફોન કટ કરી દેતી. આ રીતે સતત જ આ દીકરીઓ તેમના પપ્પાની ચિંતામાં સખત ટોક્યા કરતી. ( બંને ભાઈઓને દવાખાને પપ્પાની રિકવરી નું ટેન્શન, અન્ય જે સમસ્યાઓ ઊભી થતી તેનું ટેન્શન, પોતાની જાતને સાંભળીને કામ કરવાનું ટેન્શન અને આ દીકરીઓએ તેમના પપ્પાને સાચવવા માટે કરી મૂકેલ કાગારોળનું પણ ટેન્શન !! )
આ બધી ચિંતાઓ વચ્ચે એક દિવસ ભાવેશે ઋચાને કહ્યું :
" તું શું કામ આટલી બધી ચિંતા કરે છે ? હું ભણેલો છું કઈ કઈ કાળજી રાખવી તે હું જાણું છુ. શું કામ તું વધારે પડતી ચિંતાઓ કરી અમને ખલેલ પહોંચાડે છે ? "
ઋચાએ કહ્યું :
" કેમકે તમે મારા પપ્પા છો ને માટે ! "
તો, ભાવેશે જવાબ આપ્યો :
" તને ખબર છે ! બેટા, હું જીવના જોખમે જેની સેવા કરું છું તે પણ મારા પપ્પા છે ! "
અને ઋચા શાંત થઈ ગઈ. સમજી ગઈ. એ પછી તેણે કદી પપ્પાને એ બાબતે ટોક્યા નથી. સતત દાદા અને પપ્પા/ કાકા માટે ઋચાર્મીની સાથે સાથે માતૃછાયા પરિવાર પ્રાર્થનાઓ કરતાં રહ્યાં.
હોસ્પિટલમાં અગિયાર દિવસ રહ્યાં, તેનાં ઘણાં સ્મરણો છે. અહીં આજે આટલું જ.
માતૃછાયા પરિવાર માટે 25/4/2021 ને રવિવાર નો દિવસ દાદા માટે ભારે લાગ્યો. માતૃછાયા પરિવાર નક્કી કરેલાં સમયે રાત્રે બરાબર આઠ વાગે એક સમૂહ ઑનલાઈન પ્રાર્થનાનું આયોજન કરેલું.
એમાં અમે સૌ અલગ અલગ જગ્યાએથી જોડાયા.
બોમ્બે , બેન્ગલોર, આણંદ, મોડાસા , મેઘરજ અને પાલનપુર, એક સાથે ઑનલાઈન મહામૃત્યુંજય મંત્રો અને ગાયત્રી મંત્ર સાથે દાદાના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી.
પણ, અંતે નિયતિમાં જે નિર્માણ થયેલું તે બની ને જ રહ્યું.
બરાબર નવ વાગ્યે મોટાભાઈ યોગેશનો ફરીથી એક્વાર માતૃછાયા પરિવાર પર સમૂહ વિડિયો કૉલ પર વાત કરી કે, સત્ય હવે આપને સૌએ સ્વીકારવું જ પડશે. દાદા હવે જેટલાં કલાક રહે તે ખરું ! હવે દાદા બહુમાં બહુ ચાર કલાકના મહેમાન છે. અને જૈનુએ ત્યાં જ રડવાનું શરુ કરી દીધું. બધાએ તેને સમજાવી.
ફરી બરાબર 9:50 માતૃછાયા પરિવાર માં મોટાભાઈનો મેસેજ આવ્યો.
…………….
25/4/2021 ને રવિવારનો દિવસ હતો અને એ જ અમારો કાળો દિવસ ! પપ્પા માતૃછાયા પરિવારને છોડીને સ્વધામ સિધાવી ગયા.
બધાં માટે 'ૐ શાંતિ ' , ' RIP ' લખતી હું ….
આજે એવું મારા પપ્પા માટે લખતાં મારા હાથ નહીં સમગ્ર શરીર ધ્રુજી ઊઠ્યું.
મારા બંને ભાઈઓ માટે કંઈ જ કહેવા માટે શબ્દો નથી. પણ એટલું જરુર કહીશ કે શ્રવણની વાર્તા મેં સાંભળી છે. પણ, સાચૂકલાં શ્રવણ મેં જોયાં !
