મળવા જેવા માણસ - 2
મળવા જેવા માણસ - 2
સંપાદક તરીકે પણ તેઓએ પોતાની એક દુનિયા બનાવી લીધી છે. હાલમાં તેઓ ’આજકાલ’ સાંધ્ય દૈનિકમાં ’કુતૂહલ’, ’બાલતરંગ’, ’મ્યુઝિયમ’ અને કિવઝ કોર્નર જેવા વિભાગો વિભાગો સંભાળે છે. ’જ્ઞાનગંગા’ નામે ’ફૂલછાબ’ દૈનિકનો વિભાગ સંભાળે છે. ’આરપાર’ સાપ્તાહિકમાં ’નોલેજ કોર્નર’ નામનો વિભાગ સંભાળે છે. ’ચાંદાપોળી’ બાળ માસિકમાં ’પ્રશ્નપેટી’ અને ’ઉમિયા પરિવાર’માં ’જ્ઞાનસરિતા’ નામના વિભાગ સંભાળે છે. ભૂતકાળમાં સંદેશ અને જયહિન્દમાં નિયમિત લખતા.
આવા શ્રી દિવ્યકાંત પટેલ ઉર્ફ ’કુતૂહલકાકા’નો જન્મ જૂનાગઢના ઈવનગર ગામમાં તા. ર૧/૮/૧૯૩૭માં થયો હતો. પી.એચ.ડી. પૂરું ન કરી શકનાર આ પટેલ સાહેબનો અભ્યાસ આંબલાની ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાથી શરૂ થયો. સ્નાતકની પદવી લોકભારતી સણોસરા અને એમ.એ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂરા થયા. અભ્યાસ દરમિયાન શિક્ષાણેત્તર પ્રવૃત્તિમાં શિરમોર રહેનાર તેઓ શિક્ષકોના વહાલા બનેલા અને લાડમાં ’કાળિયા’નું હુલામણું નામ મળેલ. અભ્યાસ પૂરો થયા પછી બાલાસિનોરની હાઈસ્કૂલથી તેઓની શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ થઈ. ઈ.સ. ૧૯૬૭માં જૂનાગઢના શાપુર ગામના જવાહર વિનય મંદિરમાં નિયુકિત થઈ. ર૭-ર૮ વર્ષના અધ્યાપન સમય દરમિયાન એક મિનિટ પણ શાળામાં મોડા પડયા નહોતા.
એક વખત તેઓ શિક્ષકમાંથી હીરો બનવા ગયા અને આ ફિલ્મ ’પ્યાસા પ્યાર’ની હિરોઈનની તારીખોની કનડગતને લીધે તેઓને પોતાનું સ્વમાન યાદ આવ્યું અને ફિલ્મી દુનિયાને અલવિદા કરી ભાગી આવ્યા ફરી શિક્ષકની દુનિયામાં.પછી ગુજરાતી ફિલ્મ ’જનનીની જોડ’ અને સર્કસમાં પણ કામ કરવાની ઓફર મળેલ.પણ એ દુનિયા તેઓને સ્વીકારવા જેવી ન લાગી. તેઓએ તો વહાલાં બનાવ્યાં ’કોદાળી અને કલમ’.
તેઓને કોઈ ને કોઈ રીતે મહાનુભાવોની સંગત સાંપડી છે. અભ્યાસ દરમિયાન પદ્મશ્રી નાનાભાઈ ભટ્ટ, પદ્મભૂષણ મનુભાઈ પંચોળી ’દર્શક’, મૂળશંકર ભટ્ટ જેવા ધૂરંધર મહાનુભાવો તેમજ નોકરી દરમિયાન આઝાદીના લડવૈયા સાનેગુરુજી અને સહસ્ત્ર બુદ્ઘદેવ સાથે જેલવાસ ભોગવનાર શશીકાંત કડકિયા જેવા મહાનુભાવનો તેઓને ભરપૂર પ્રેમ સંપાદિત થયો. તેઓએ જીવનમાં ’જેના જીવનમાં નથી શોખ, એનું જીવન ફોક’ અને જેને નથી હોબી, એનું જીવન હોળી’ જેવાં સૂત્રો જીવનમાં અપનાવેલ છે.
(ક્રમશ:)
