જ્યોતીન્દ્ર ઉર્ફે 'જીતુભાઈ'
જ્યોતીન્દ્ર ઉર્ફે 'જીતુભાઈ'
"હકીકતમાં વાત એમ હતી જ નહીં ?"મેં શાણપણથી કહ્યું.
"ત્યારે તું ફાટને,શું વાત હતી ?"માતુશ્રી (પિતાજીની હાજરી હોવાથી) જરા ઉગ્ર થઈને બોલ્યા - ના, મહિષાસુરનું મર્દન કરવા જતી દુર્ગાની જેમ બોલ્યા.
"એમાં વાત ખરેખર એમ હતી કે ભગવાન બ્રહ્મા જ્યારે મહાહાસ્યોપાધ્યાય જ્યોતીન્દ્ર દવેનું. . . . "
"એ ઊભો રે કોડા ! . . . આ જીતુભાઇ કોણ ?"પિતાજી તાડુકયા.
"પપ્પા,જીતુભાઈ નહિ, જ્યોતીન્દ્ર ભાઈ. હાસ્યવિવેચક મધુસુદન પારેખે એટલે જ કહ્યું છે કે હાસ્યક્ષેત્રે જ્યોતિઓ. . . . "
"હવે આ વાણિયો વચ્ચે ક્યાં ઘુસાડ્યો તે ? પેલા તો દવે હતા ને ? બ્રાહ્મણ ને ?"
"અરે,મારી મા ! એ તો બ્રાહ્મણ જ, પણ આ તો વિવેચલ, પેલા તો સર્જક ! "
"હવે ભાઈ તું એ બધું જવા દે તારું વૈતરું ને સરપોલિયું ને એ બધું. . . સીધી મુદા પર આવીને વાત કર. "
"અરે પણ બાની પૂંજી સમાન બાપુજી ! વૈતરું નહિ વિવેચક અને સરપોલિયું નહિ સર્જક ! "
"અરે હવે આ તારો ગગો તો સમજતો જ નથી. મારા જેવા લોઢા વાળાને સરસ્વતી વળગાડે છે. "
"હશે. સારું ચાલો (દુર્ભાગ્ય ! ) તો સાંભળો હવે વાત. તો એ બ્રહ્મા જ્યોતીન્દ્રનું સર્જન કરતા હતા ને એટલે કે જીતુભાઈનું સર્જન કરતા હતા ને ત્યારે આટલું પાતળું શરીર બનાવતા બનાવતા તેમને પરસેવો વળી ગયો. આથી એમને વળી સરસ્વતી દેવીની મદદ માંગી. "
"આ પાછી એ ગરીબડીને વચ્ચે લાવ્યો. હું સાચું કહું છું હો જો આમ ને આમ તું એની પાછળ રખડયા કરીશ ને તો તારા બાયડી છોકરા ખાવા ભેગા પણ નહીં થાય ! " પિતાજીએ ચિંતા વ્યક્ત કરી.
"તમે પણ બે મિનિટ મૂંગા મરો ને. છોકરાને બોલવા દેતા નથી. હજુ તો ભણે છે ત્યાં બાયડી છોકરા કરી નાખ્યા ! "માતુશ્રી તાડુંકયા - મારા બદલે પિતાજી પર. કોઈક વખત ચમત્કાર થાય ખરા !
"જોકે મમ્મી, પિતાજીની વાતમાં મને વાંધો નથી. "મારી જુવાની જાગી.
<p>"બંધ થા બુહા, તને કોણ પરણાવશે એની દીકરી ? પણ એ અત્યારે વાત નથી કરવી, તું મૂળ વાત પર પાછો આવ ! "
"સારું. તો બ્રહ્માજીએ સરસ્વતી દેવીની મદદ માંગી. બંનેએ ભેગા મળીને એકદમ બિમારીથી ભરપૂર એક પાતળી આકૃતિ બનાવી દીધી. સરસ્વતીના હાથે બનેલ હોય એટલે વિદ્યા તો આવી જ હોય ! એટલે એ પાતળી આકૃતિ આગળ જતાં જ્યોતીન્દ્ર ઉર્ફે 'જીતુભાઈ' થયા. "
"પણ મુઆ,આમાં તારી વાત તો ક્યાંય આવી જ નહીં. આ જીતુભાઈ જાય તેલ લેવા. તારી વાત કર. "
"મમ્મી, એમ ન કહેવાય જીતુભાઈનું આદરણીય નામ છે ગુજરાતી સાહિત્યમાં. "
"એ મર હોય નામ મોટું, પણ આઠાનોય મળે છે એ ધંધામાં ? ધૂળ ને ઢેફા ! " પિતાજીએ દુનિયાદારી બતાવી.
"સારું હવે મારી વાત. તો જ્યોતીન્દ્ર ઉર્ફે જીતુભાઈની દેહરચના તૈયાર થઈ ગઈ પછી બ્રહ્માજીએ જોયું તો હજુ બે વસ્તુ વધી હતી - થોડોક કાચો માલસામાન અને બિમારીઓ ! તો બ્રહ્માજીને થયું કે ચાલો આમાંથી એકાદ માણસ બનાવી નાખીએ અને એમને પૃથ્વી પર મોકલી એની સાથે રમ્યા કરીશું. ત્યાં સરસ્વતીદેવીએ પૂછ્યું કે હવે મારી મદદની જરૂર ખરી ? બાકી હું જઉં. તો બ્રહ્માજીએ કહ્યું કે ના,હવે તમે જાઓ. આ માણસમાં કંઈ વધારે બુદ્ધિ નાખવાની છે નહીં, ખાલી બિમારીઓના અનુભવ માટે જ આ મૂર્ત પદાર્થને નીચે મોકલવાનો છે. પછી સરસ્વતી દેવી ચાલ્યા ગયા. "
"હા. . . શ. . . " મારા પિતાજીને સરસ્વતી દેવીથી બહુ ચીડ એનો નુમનો !
"પછી બ્રહ્માજીએ એ કાચો માલ અને બિમારીઓ ભેગી કરી મને બનાવી નાખ્યો. સમજ્યા હવે, હું ભણવામાં નબળો અને બિમાર પડવામાં સબળો કેમ છું એ ?"
"એ તમને કહું સાંભળો. પેલા ડોકટર સાહેબને બોલાવી લાવો. મને લાગે છે કે આપણા આ બુહાને મગજમાં તાવ ચડી ગયો છે એટલે જ તો આવા લવારા કરે છે. "
"એને મગજનો તાવ નથી, એનું ચસ્કી જ ગયું છે. છતાંય હું બોલાવી લાવું ડોકટર. "
હું આ સાંભળીને સમસમી ગયો.