ઝરુખો
ઝરુખો
અમદાવાદમાં સાથે કોલેજ કરતાં આકાશ અને દેવયાની મિત્ર હતાં. મજાક અને મસ્તીમાં કયારે એ પ્રેમમાં પડી ગયા ખબર જ ન પડી. આકાશ કયારેક દેવયાનીને કોલેજ આવતા મોડું થાય તો તેની સોસાયટીમાં પહોંચી જતો. તેના ઘરના પાછળના રૂમમાં દેવયાની રહેતી એટલે ત્યાં પડતી ગેલેરી (ઝરૂખા) પર સતત નજર નાંખતો રહેતો. જેવી ઝરૂખા પર દેવયાની આવે કે ઈશારાથી જલ્દી કૉલેજ આવી જવા જણાવે. આવુ બધુ રુટીન થતું પરંતુ એક દિવસ દેવયાનીની માતા આ જોઈ ગઈ. દેવયાનીની કૉલેજ આવવાની મનાઈ થઈ ગઈ.
પણ આકાશ બાહોશ, હિંમતવાન અને અડગ મનોબળ ધરાવતો હોવાથી એક દિવસ સીધો દેવયાનીને ઘરે પહોંચી ગયો. દેવયાનીના માતા-પિતાને સીધા જ વાતચીત કરી જણાવી દીધું કે, "હું દેવયાનીને ચાહું છું અને તેની સાથે લગ્ન કરવા તૈયાર છું." આ સાંભળી તેના માતા-પિતા આશ્ચર્ય પામ્યા. પણ ઉંમર અને અનુભવથી ઘડાયેલા તેઓએ જણાવ્યુ ''કોઈ વાંધો નહી. પણ તમારુ ભણવાનુ પુરુ કરો, જીવનમા થોડા પગભર થાઓ''. એમ કહી વાત એ સમયે ટાળી દીધી. આકાશ અને દેવયાની સમજે માતા-પિતાની મંજૂરી મળી ગઈ છે. એટલે એ બંને પ્રેમમાં સમય વ્યતિત કરતા કૉલેજ કરવા લાગ્યા.
એક દિવસ દેવયાનીને કૉલેજ ન આવતા આકાશ તેના ઘરે પહોંચી ગયો. પણ ઘરે તાળુ જોયું. પડોશીઓને પુછતા ખબર પડી કે, દેવયાનીના પિતાની બદલી મુંબઈ થઈ એટલે એ કાયમ માટે ત્યાં જતા રહ્યા છે. આકાશના આઘાતનો પાર ન રહ્યો. દેવયાનીને કંઈ જ જાણ કર્યા વિના તેના માતા-પિતાએ આવું આયોજન બધ્ધ પગલું ભરેલ. એ સમયે ન તો કોઈ ફોન-મોબાઈલ કે સંદેશો પહોંચાડવા સાધનો હતા.
અચાનક એક દિવસ એક મિત્રે સમાચાર આપ્યા કે, દેવયાનીના લગ્ન થઈ ગયા છે અને એ અમદાવાદમાં જ છે. આકાશ એને મળવા આતુર બની ગયો. એક દિવસ આકાશ અને દેવયાનીની મુલાકાત થઈ. બધી જ વિગત જાણી આકાશ નસીબને દોષ દેતો નિરાશ થઈ ગયો.
આકાશ આજે પણ દેવયાનીના ઘર પાસેથી નીકળે છે, પણ એ ઝરૂખાની સામે દૃષ્ટિ કર્યા વિના રહી શકતો નથી. અનાયાસે જ દૃષ્ટીએ ઝરૂખાની જગાએ પડે છે. પણ આજે એ ઝરૂખાને જોતા જ વિચારોમાં ખોવાઈ જાય છે.