ગુરુ મારા ભાગ્યવિધાતા
ગુરુ મારા ભાગ્યવિધાતા
એકવાર એક ગામમાં જ્યોતિષી આવ્યાં હતાં. ખુબ વિદ્વાન પંડિત હતા. તેમની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી હતી. તેમણે ભાખેલી કોઈપણ ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ ન હતી.
સાંજના પાંચ વાગે એટલે શાળા છૂટવાનો સમય. બધા જ બાળકો શાળાએથી ઘરે આવવા લાગ્યા. રોજની જેમ બાળકો ઘરે આવીને દફ્તર નાખી અને સીધા જ રમવા જવાની તૈયારીમાં હોય.
તેમાંનો એક છોકરો હું પણ હતો. ઘરે આજે મને બહાર જવાની ના પાડી એટલે, મને આશ્ચર્ય થયું !! કારણ એમ હતું કે, મારે પેલા જ્યોતિષીની પાસે જઈ અને મારો હાથ બતાવવાનો હતો.
મારો હાથ જોતા જ જ્યોતિષી બોલ્યા કે, આ છોકરાના હાથમાં ભણવાની રેખા જ નથી. આ બહુ ભણી શકશે નહીં. પણ, ખુબજ કમાશે અને કમાણીને પરોપકારમાં વાપરશે.
એક બાજુ હું નહિ જ ભણી શકું તેવી બધાને ખાતરી થઈ ગઈ કારણ કે બધાનો જ્યોતિષી પર દ્રઢ વિશ્વાસ હતો. બીજી તરફ ઘરમાં ચિંતાનો માહોલ બની ગયો કે, હવે શું થશે ? મને પણ થોડી ચિંતા થવા લાગી.
ગુરુ ઈશ્વરનું રૂપ છે એમ શાસ્ત્રોમાં કહેવાયું છે અને જો સાચા ગુરુનો સંગ થઈ જાય તો જીવન સવળે માર્ગે ચઢી જાય.
બીજા દિવસે હું વર્ગમાં દાખલ થયો. અલબત્ત, કાલની ચિંતા હજી પણ અકબંધ હતી. મારા વિજ્ઞાનનાં શિક્ષક કે, જે હવે આ દુનિયામાં હયાત નથી તેમણે મારી આ ચિંતા માથે લઈ પૂછ્યું કે શું થયું ? મેં તેમને મારી સઘળી ચિંતા જણાવી. આ સાંભળીને તે હસવા લાગ્યા અને મને શાસ્ત્રોમાંથી પાણિનીના દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યો. બીજી પણ ઘણી વાત કરી અને મારા મનમાંથી આ વાત કાઢી નખાવી. એ વખતે તેમણે કહ્યું કે, જો તારે ભણવું હશે તો ભણી જ શકીશ. "તારી રેખાઓને બદલાવું પડશે".
વર્ષો પછી આજે હું માસ્ટર ઓફ ફાર્મસી થયો અને તેમના એ વાક્યની યાદ કરતાં મનથી એમને વંદન કરી રહ્યો છું.
જો જિંદગીમાં આવા ગુરુ મળે કે,જે તમને અજ્ઞાનતાથી જ્ઞાનની દિશા તરફ વાળે. તમારી દિશાને બદલી યોગ્ય દિશા તરફ લઈ જાય તો તે જ....સાચા ગુરુ અને તે દિવસ એટલે જ સાચો ગુરુ ગુરુપૂર્ણિમા દિન.