એદી માછલી
એદી માછલી
એક તળાવમાં ત્રણ માછલીઓ રહેતી હતી. એકનું નામ તેજીલી, બીજીનું નામ ઢીલી અને ત્રીજીનું નામ એદી. એદી ભારે આળસુ. આખો દિવસ સૂતી રહે. ઢીલી સાવ ભોળી, તેજીલીબારે ચતુર.
એક દિવસ તેજીલી માછલીએ દૂરથી માછીમારને આવતો જોયો. તેણે પોતાની સાથે રહેતી ઢીલી અને એદી માછલીને કહ્યું, ' "માછીમાર આ તરફ આવે છે માટે ચાલો અહીંથી દૂર ભાગી જઈએ.'
ઢીલી માછલી કહે, માછીમાર જાળ નાખે ત્યારે જતાં રહીશું. અત્યારથી શા માટે જતાં રહેવું ?' એદી માછલી બોલી, 'હું તો અહીં જ રહીશ. મારે બીજે કયાંક જવું નથી. અને હા, વળી બીજે જવાથી થોડા જ અમર થઈ જવાશે ?'
'ભલે, જેવી તમારી મરજી' કહી તેજીલી માછલી ત્યાંથી દૂર જવા સરકી. એટલી વારમાં માછીમાર જાળ લઈને આવી પહોંચ્યો. માછીમારને જોતાં જ ઢીલી માછલી ઝડપથી નાસવા લાગી. એટલે તે બચી ગઈ. માછીમારોએ જાળ પાણીમાં નાખી. જાળ પાણીમાં પડતાં જ એદી માછલી નાસભાગ કરવા ઊછળવા લાગી. પણ હવે શું થાય ? તે માછીમારોની જાળમાં ફસાઈ ગઈ.
માછીમારે જાળ સાથે ફસાયેલી માછલી પાણી બહાર ખેંચી લીધી. જાળમાં પડયા પડયા જ એદી માછલીએ વિચાર્યું, મેં આળસ છોડીને તેજીલીની સલાહ માની લીધી હોત તો મરવા વારો ન આવત.'