ચોખાના દાણા
ચોખાના દાણા
એક હતા નગરશેઠ. તેમણે ત્રણ પુત્રો. નગર શેઠનો વેપાર ખૂબ ધમધોકાર ચાલતો હતો. શેઠના ત્રણે પુત્રો હજુ ખૂબ નાના હતા. પણ ત્રણમાંથી કયો પુત્ર પોતાના કારોબારને આગળ ધપાવી શકશે તેની શેઠજી પરીક્ષા લેવા માગતા હતા. અને બહુ જ સમજી વિચારી શેઠજીએ બધા પુત્રોને પોતાની પાસે બોલાવ્યા અને એક મુઠ્ઠી ચોખાના દાણા આપતા ત્રણેય ભાઈઓને કહ્યું, " એક વર્ષ પછી મને પાછા આ દાણા પાછા આપજો."
મોટો પુત્ર પિતા પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતો હતો. એટલે એણે આ મુઠ્ઠી ચોખા એક પોટલીમાં બાંધી પૂજા કરવાના સ્થળે મુકી દીધા. બીજો પુત્ર થોડોક રંગીલો અને મનમોજી હતો. એટલે એણે આ મુઠ્ઠી ચોખા પક્ષીઓને ખાવા ચબુતરામાં નાખી દીધા.
પણ ત્રીજો પુત્ર ધીર - ગંભીર, સમજુ અને ચાલાક હતો. તેણે વિચાર્યું કે, " પિતાજીએ આ મુઠ્ઠી ચોખા એક વર્ષ પછી પાછા માંગ્યા છે. તો હું તેમને એક વર્ષ પછી એક મુઠ્ઠીને બદલે ગાડા ભરાય એટલા ચોખા પાછા આપીશ."
એટલે એણે એક મુઠ્ઠી ચોખા ખેતરમાં જઈને વાવી દીધા.
આમને આમ એક વર્ષ વીતી ગયું. શેઠજીએ ત્રણેય પુત્રોને બોલાવ્યા. અને ચોખા માગ્યા.
મોટા પુત્રએ તરત જ ચોખાની પોટલી લાવી પિતાજી આગળ મૂકી દીધી. પિતાજીએ જોયું તો આ ચોખા એક વર્ષ પહેલા તેમણે આપ્યા હતા એના એ જ છે.
બીજા પુત્રએ એક મુઠ્ઠી ચોખા લાવીને પિતાજી આગળ ધર્યા. પિતાજી પારખી ગયા કે આ તો દુકાનેથી લાવેલ ચોખા છે.
જ્યારે ત્રીજા પુત્ર પાસે ચોખાની માગણી કરી તો ત્રીજો પુત્ર પિતાજીને બહાર લઈ ગયો. અને પિતાજીને ચોખા ભરેલા ગાડા બતાવ્યા. અને કહ્યું, " તમે મને જે એક મુઠ્ઠી ચોખા આપ્યા હતા તે મેં ખેતરમાં વાવી દીધા હતા. જેના આજે ગાડા ભરાયા છે."
ત્રણેય પુત્રોના વ્યવહાર ઉપરથી શેઠજીને ખ્યાલ આવી ગયો કે તેમનો સૌથી નાનો પુત્ર જ કારોબાર ને આગળ ધપાવી શકશે. એટલે તેમણે ત્રીજા પુત્રને કારોબારની તમામ જવાબદારી સોંપી દીધી.