દાદાજીની વાર્તા 47
દાદાજીની વાર્તા 47
દાદાજી હજી આગળ કહે છે, 'હું ઘણાં જ્ઞાતિ-કુટુંબોમાં ફર્યો છું. હજુ પણ મા-બાપો પોતાનાં બાળકોને ભણાવવાનું પસંદ કરતાં નથી. કોણ જાણે કેમ, ભણતરને પ્રોત્સાહન આપે એવું ઘરમાં વાતાવરણ જ નથી. ભાગ્યે જ કોઈ ઘરમાં પાંચ-પચ્ચીસ અભ્યાસેત્તર પુસ્તકો હોય. શહેરમાં જઈને નાટક-સિનેમા જોવામાં, મેળો કરવામાં કે વ્યસનો પાછળ અઢળક પૈસો ખર્ચાય એનો આપણને જરાય અફસોસ નથી, પણ ઘરમાં ઉત્તમ પુસ્તકોનું નાનકડું પુસ્તકાલય વસાવવાની કલ્પના આપણી બુદ્ઘિમાં આવતી જ નથી. રોજ અમુક રકમ પુસ્તકો પાછળ ખર્ચવાથી વર્ષ દહાડે ઘરમાં નાની લાયબ્રેરી થઈ જાય.'
મયંક કહે, 'પુસ્તકાલય એ જીવન-જરૂરિયાત છે, એ આપણને ગળે જ નથી ઊતરતું.'
દાદાજી કહે, 'એટલે આપણાં કુટુંબોમાં બને તેટલો ભણતરપ્રેમ જગાડવાની જરૂર છે. ભણતરક્ષેત્રે સમગ્ર રીતે જે થયું એનો સંતોષ થવાને બદલે જે નથી થયું એનો અફસોસ થવો જોઈએ. પાંચ-પંદર ટકા લોકો ભણ્યા કે ભણતા હોય તેથી ફુલાઈ જવાની જરૂર નથી. અભણ યુવાનો, આધેડો અને વૃદ્ઘોને પણ હું સૂચન કરું કે, ''પાકા ઘડે કાંઠા ન ચડે'' એ જ્ઞાનપ્રયોગને પકડી ન રાખે.'
મયંક બોલ્યો, 'મેં સાંભળ્યું છે કે, માણસ ધારે તો શું નથી કરી શકતો? પ્રસિદ્ઘ બંગાળી કવિ રવીન્દ્રનાથ ટાગોરે જીવનની ઉત્તરાવસ્થામાં નૃત્ય અને ચિત્રકળા શીખેલા.'
દાદાજીએ વાતને આગળ વધારી, જ્ઞાન કે ભણતર અમુક જ્ઞાતિ કે અમુક ઉંમરની વ્યક્તિનો ઈજારો નથી. ભણતરે હવે કોઈ વાદની કે જ્ઞાતિની કંઠી બાંધી નથી. જ્ઞાનના અજવાળામાં જે કાંઈ જેવું હોય તેવું જ દેખાય છે.
અજ્ઞાની અને આંધળા ખેડૂતને વ્યાજખાઉં વ્યાપારીના ચોપડામાં ફસાયેલો જોયો છે. અમલદારોની ઉપેક્ષાની લાતો ખાતો જોયો છે. સામાજિક કુરિવાજોની પકડમાં ભીંસાયેલો જોયો છે. સરકાર તરફથી થતાં અન્યાયોથી પીડાતો જોયો છે. ત્યારે એમ કહેવાનું મન થાય છે કે ભણો અને ભણાવો. જ્ઞાનને શોધો. એ તમને તમારા જીવનનો રસ્તો બતાવશે.
મયંકને ખૂબ જ આનંદ થયો અને નક્કી કર્યું કે લોકોને ભણતરની કિંમત સમજાવવી જ પડશે.
ક્રમશ:
