દાદાજીની વાર્તા 19
દાદાજીની વાર્તા 19
દાદાજીએ તો આગળ કહેવાનું ચાલુ જ રાખ્યું, 'અજ્ઞાની મનુષ્ય કેટલીક વખત એવું સમજી બેસે છે, કે દેવ-દર્શન, તીર્થ-યાત્રા, પાઠ-પૂજા, ભજન-કીર્તન, નામ-સ્મરણ, દાન-ધર્મ આદિ કરવાથી જ ઉપાસના થઈ જાય છે. સાંસારિક વ્યવસાયમાં પ્રાર્થનાને લાવવાની જરૂર નથી. એકાદ કલાક આવાં કામોમાં વિતાવ્યા પછી બાકીના ત્રેવીસ કલાક દરમિયાન આપણો જીવન વ્યવહાર ગમે તેમ ગોઠવવામાં વાંધો નથી. કોઈ કોઈ તો એમ પણ સમજી બેસે છે, કે નફા-નુકસાનના જેમ સરવાળા-બાદબાકી થાય છે, તેમ પાપ-પુણ્યનો પણ હિસાબ થઈ શકે છે. એટલે કે ત્રેવીસ કલાક દરમિયાન જીવનવ્યવહારમાં કરેલાં પાપો એક કલાકની પ્રાર્થનાથી પુણ્યમાં ફેરવાઈ જાય છે, અથવા તો ધોવાઈ જાય છે. આમ સમજવું એ અજ્ઞાનતા છે. પ્રાર્થના પાપો ધોવા માટે નથી. કારણ કે તમે જે અનર્થ કરો છો એનો બદલો તો તમારે ચૂકવવો પડે છે. એટલે પ્રાર્થનાથી પાપોનું પ્રાયશ્ચિત થાય છે. એ તો પાપોથી બચવા માટે છે.'
મયંકે પૂછયું, 'કોઈએ સમૂહ પ્રાર્થના વિશે પણ વાત કરી છે ને ?'
દાદાજી કહે, 'હા. કોઈ સંતે કહ્યું છે, કે ’’પ્રાર્થના કરો તો એકલા કરવાને બદલે સમૂહમાં કરજો. સામૂહિક પ્રાર્થનાનું બળ ઘણું હોય છે. સામૂહિક પ્રાર્થનાથી હ્રદયની બહિર્મુખતા વધે છે.’’ દરરોજ તમને જ્યારે સમય મળે ત્યારે તમે એકાંતમાં વારે વારે એમ બોલજો, કે ’’હે પ્રભુ ! આજે તમારી સામે આવી ઊભેલા દરેકને તું ક્ષમા દેજે.’’
પ્રભુના પ્રત્યેક સર્જનને સાચા દિલથી ચાહો. એ જ ખરી પ્રાર્થના છે. તો જ એમાં રહેલા દૈવી રહસ્યને તમે પામી શકશો. પ્રાર્થના વખતે ઈશ્વરને કહેજો, કે ’’ હે મારા ઈશ્વર! મારા વિચારોની છાયામાં એકલા એકલા બેસીને તારું નામ બોલીશ. શબ્દો વિના બોલીશ, ઉદ્દેશ વિના બોલીશ, મા બોલનાર બાળક અકારણ મા, મા બોલે છે, તેમ હું તારું નામ બોલીશ.’’ મારા મિત્રો, પ્રભુને પ્રાર્થના કરો, કે સૌને-મને એકલા ને જ નહીં- આંનદ અને શાન્તિ મળો. સૌની સર્વ શુભ મનોકામનાઓ પૂર્ણ થાઓ'.
મયંક કહે, 'પ્રાર્થના વિશે સાંભળીને તો જાણે સાચી પ્રાર્થના થઈ ગઈ હોય એવું લાગે છે.'
અને હવે દાદાજી સવારની સૈર કરવા માટે નીકળ્યા.
ક્રમશ: