દાદા નું દુ:ખ
દાદા નું દુ:ખ
"જય હો મારા ઇષ્ટદેવ ગણપતીદાદા ની"બોલતા બોલતા હું કૈલાશ પર પહોંચ્યો. આજ થી દસ દિવસ દાદા પૃથ્વી પર આવવાના હતા એટલે થોડો વધારે ખુશ હતો. પણ આ શું? ગણપતી દાદા તો પોતાની બેઠક પર ધ્યાનમાં બેઠા હતા.
હું થોડા વિચારમાં પડી ગયો, આ પ્રભુ પૃથ્વી પર જવાના ટાઈમે કેમ આમ બેઠા છે. દાદાની મુખમુદ્રા પર ઉદાસીનતા હતી એ જોઇ મને ચિંતા થઇ, પણ હવે રાહ જોયા સિવાય કોઇ ઉપાય નહોતો.
થોડીવાર માં એમણે આંખો ખોલી, એટલે મારા થી પુછ્યા વિના રહેવાયું નહી. "કેમ દાદા આજે તો ખુશી ના દિવસે આપ ઉદાસ છો." હું તો તમને લેવા આવ્યો છું.
દાદા બોલ્યા "પૃથ્વી પર આવવું તો છે પણ પગ નથી ઉપડતા. આ મારા ભક્તો એ આપેલી ગયા વરસની વિદાય યાદ આવી ગઈ."
હું બોલ્યો - એવું શું થયું?
ત્યારે દાદા બોલ્યા "ગયે વરસે મારા વિસર્જન પછી વરૂણ દેવ, જુદી જુદી નદીઓ, સમુદ્ર દેવ આને ઘણા બધા જળચર પ્રાણીઓ મને મળવા આવેલા, અને બોલ્યા હે વિઘ્નહર્તા આમારા વિઘ્નો દૂર કરો. તમારા જે ભકતો સાચી નિષ્ઠાથી તમારુ અર્ચન કરે છે એ આમારે માટે પૂજનીય છે. પણ ઘણા સ્વાર્થી ભકતો તમારુ કેવું વિસર્જન કરે છે?. તમારી કેમીકલવાળી મૂર્તિની સ્થાપના કરે છે. અને દસ દિવસે જુદાજુદા જળાશયોમાં એ મૂર્તિઓ મૂકી આવે છે. ત્યાં રહેતા જળચર પ્રાણીઓ વગર વાંકે મૃત્યુનો ભોગ બને છે."
..... આટલું બોલી દાદા અટકી ગયા. 'બોલ હવે તું જ કહે મારા પગ કઇ રીતે ઉપડે? હું વિઘ્નહર્તા છું.મારા માટે બધા જ એકસમાન.'
"તો હવે શું કરશો?" મારા થી પુછાઇ ગયું.
દાદા બોલ્યા. "ભક્ત પર વિઘ્ન હોય તો ભગવાન પાસે આવે. અને ભગવાન પર વિઘ્ન આવે તે તો ભક્ત જ દૂર કરી શકે.. આ વાત મારા દરેક ભક્તો ને સમજાય તો સારું".
એટલુ બોલી દાદા તો અદ્રશ્ય થઇ ગયા. હું બૂમો પડતો રહ્યો દાદા ઉભા રહો.. ઉભા રહો.. હું આવું છું ત્યાં તો મમ્મી એ જોર થી ઘાંટો પડ્યો. અને મારી આંખ ખુલી ગઇ.
તો શું આપણાં વિઘ્નહર્તાનાં વિઘ્નો દૂર કરવામાં આપણે મદદ ન કરી શકીયે?