બીજાનું ભલું કરો, ખુદનું પણ ભલું થશે જ
બીજાનું ભલું કરો, ખુદનું પણ ભલું થશે જ
વાત છે ૧૯૪રની. ત્યારે તેઓ અમદાવાદ આવ્યા હતા. મ્યુનિસિપાલિટીના પ્રમુખે તેઓની સાથે ફરી અમદાવાદમાં થયેલ નવાં કામોની માહિતી આપી. તેમાં કાંકરિયાનો બગીચો જોઈને તેઓ વધુ ખુશ થયા.
ઘણા લોકો તેઓને મળવા આવ્યા. તેઓને મળવા આવનારાઓમાં 'ભાઈકાકા' તરીકે ઓળખાતા ભાઈલાલ પણ આવ્યા હતા. ભાઈલાલના કામથી અમદાવાદના આ ભૂતપૂર્વ પ્રમુખ ખૂબ ખુશ થયા. તેઓ ભાઈલાલની સારી કામગીરીથી વાકેફ હતા. તેઓએ ભાઈલાલને કહ્યું, 'શહેરમાં તો તમે ખૂબ સારું કામ કર્યું છે. હવે તમારી જરૂર ગામડાંઓને છે. ત્યાં જાઓ અને તેમના રાહબર બનો! આપણે કોઈએ કમાયેલો પૈસો તેમની પાસેથી લેવો નથી. કોઈ પાસેથી લઈને કોઈ બીજાને પૈસો આપવાથી તેનું ભલું નથી થતું. કોઈનું સાચું ભલું કરવું હોય તો તેને પગભર કરવાથી થાય. એકનો પૈસો બીજાને આપવાથી તે ભીખનો પૈસો કહેવાય. આવી રીતે કદી' કોઈનું ભલું ન થાય. ભાઈલાલ! તમારે તો એવું કામ કરવાનું છે કે ગામડે ગામડે સસ્તી વીજળી પહોંચે. તેનાથી નવા ઉદ્યોગો બને. આ રીતે ગામડાનો માણસ ગામડામાં જ પોતાના ઘરે કે પોતાના ગામમાં જ કામ કરીને કમાતો થાય. આ રીતે તેઓની કુટુંબ વ્યવસ્થા તૂટતી અટકે. શહેરના બુદ્ઘિજીવી લોકો પણ ગામડા તરફ આકર્ષાય તેવું કરવું જોઈએ. ગામડાં રહેવાલાયક બને તો આવું થાય. ગામડાંઓમાં સારા રસ્તા, પાણી નિકાલની વ્યવસ્થા, દવાઓની વ્યવસ્થા થાય અને દેશની સ્થિતિને પણ પાલવે એવી યોજના કરો. ભાઈલાલ, હવે તમે ગામડાંઓનું ભલું કરો !
અને અમદાવાદના આ ભૂતપૂર્વ પ્રમુખની વાત શિરોમાન્ય ગણી ભાઈકાકા અમદાવાદનાં હાથ ધરેલાં બાકી કામ પૂરાં કરી ગામડે જવા રવાના થઈ ગયા. ગામડે જઈને ઘણાં કામ કર્યાં. તેમાં સૌથી જાણીતું કે જે દુનિયાસ્તરે પ્રખ્યાત થઈ ગયું એવું કામ વલ્લભ વિદ્યાનગરની સ્થાપનાનું કર્યું. આ કામથી ભાઈકાકાની 'વાહ, વાહ' થઈ ગઈ. ભાઈકાકાએ ગામડાંઓનું ભલું કર્યું, તો સંસારે પોતાના દિલમાં તેઓને માનભર્યું સ્થાન આપ્યું. ભાઈકાકા બની ગયા વિદ્યાનગરના ભાઈકાકાને આ રસ્તો ચીંધનાર તે સરદાર વલ્લભભાઈ પટેલ.
અત્યારે આવા નેતા કયાં છે ? જે ક્ષણેક્ષણ લોકોનું ભલું થાય એવું ઈચ્છતા હોય. અત્યારે તો બધા પોતાનું ભલું કરવામાંથી જ નવરા નથી થતા, તો બીજાનું ભલું કયાંથી કરે ? જરૂર છે સરદારની જેમ વિચારનારા સરદારી વિચારધારકની.