ભીખો
ભીખો
"એય આઘો ખસ, ક્યાં સવાર સવારમાં આ લપ વળગી."
સવારમાં તાજા ગરમા ગરમ ગાંઠિયા લેવા માટે ફરસાણવાળાને ત્યાં ભીડ હતી. અને આ જે કહેવામાં આવ્યું હતું તે ભીખાને ઉદેશીને કહેવામાં આવ્યું હતું. ભીખો ભિખારી નહોતો પણ સંજોગો એ તેના આવા હાલ કરી મુક્યા હતા. સવારે કોઈને રામ વસે અને પચાસ ગ્રામ ગાંઠિયા જો ભીખાને મળી જાય તો તે બીજા દિવસની સવાર સુધી ખેંચી નાખતો. પણ હમણાં ત્રણ દિવસથી ભીખાનાં રામ પણ રિસાણા હોય તેમ ત્રણ દિ' થી મોમાં અન્નનો દાણો નહોતો ગયો એટલે આજે ભીખામાં ભૂખથી થોડી તલપાપડ વધારે હતી.
ભીખાને ઉદ્દેશીને કહેવાયેલા શબ્દો સાંભળી, વળી કોઈક બોલ્યું, "કે તેને ક્યાં કોરાનામાં સંભાળ રાખવાની ખબર પડે છે, દોડ્યો આવે છે નજીક," હકીકતમાં ત્યાં ઊભેલામાંથી કોઈ ભીખાની પાસે જાય એમ નહોતો, તો પછી હાથ મેળવવાની કે ભેટવાની વાત જ ઊભી નહોતી થતી. પાછું જે લોકો આ ચર્ચા કરતા હતા. એ લોકો તો જલ્દી ગરમ ગરમ ગાંઠિયા લેવા માટે લગોલગ લાઈનમાં ઊભા હતા, કોરોનાને ભૂલીને.
અજય એક મોલનો માલિક હતો. તે રોજ અહીંથી પસાર થતો અને ભીખા વાળુ દ્રશ્ય જોતો હતો. આજે તેને ઊભાં રહેવાનું મન થયું. એને લાગ્યું કે એક ગરીબ, અસહાય માણસની ભૂખની ઉપેક્ષા અને લાગણીનું હનન થાય છે. તે ભીખા પાસે આવ્યો, પ્રેમથી જોયું, અને ભીખાને સો ગ્રામ ગાંઠિયા લઈ તેને આપ્યા. ભીખો તો ત્રણ દિ નો ભૂખ્યો હતો. તુરત જ ગાંઠિયા ખાવા લાગ્યો અજય શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો. વળી કોઇકે કહ્યું"અજયભાઈ આ નું તો આ રોજનું છે. ખોટી ટેવ ન પાડતા. અજયે, ભીખાને પૂછ્યું "હજી વધારે જોઈએ છે", "ભીખા એ નમસ્તે કરી ના પાડી".
આ સિલસિલો થોડો સમય ચાલ્યો. પછી અજયે વિચાર્યું, ભીખો કાઈ મોટી ઉંમરનો નથી. કાંઈક ભણ્યો પણ હશે. જો તેને મદદ કરવામાં આવે તો કંઈક બને પણ ખરો.
ભીખાની સાથે વાત કરી. ભીખો થોડુંક લખતા વાંચતા શીખ્યો હતો. માં, બાપ ગુજરી ગયા એટલે સગા સંબંધીઓએ જે કંઈ માલ મિલ્કત હતી તે પડાવી લેવા ઘરમાંથી કાઢી રસ્તે રખડતો કરી દીધો હતો.
ભીખાની વાત સાંભળી. અજયે ભીખાને રહેવાની વ્યવસ્થા કરી આપી. પોતાનાં મોલમાં રાખી નાનું નાનું કામ સોંપવાનું ચાલુ કર્યું. ભીખાને તો અજય શેઠ દેવ સમાન હતા. પુરી નિષ્ઠાથી અને લગનથી કામ કરતો, ક્યાંક કઈ ખોટું થાય કે નુકસાન થાય એવું લાગે એટલે અજયનું ધ્યાન દોરતો. અજયનો પણ વિશ્વાસ ભીખા ઉપર વધતો જતો હતો. વધારે ને વધારે જવાબદારીવાળુ કામ પણ સોપતો જતો હતો.
મોલમાં જે જુના કામ કરતા માણસો હતા તે અકળાતા હતા. કે થોડા સમયથી આવેલો ભીખો, શેઠનો માનીતો થઈ ગયો. કામ તો આપણે પણ કરીએ છીએ. ધૂંધવાટ વધતો ગયો. આ ચણભણાટ અને મોલમાં કામ કરતા માણસોની અકળામણ અજય સુધી પહોચી ગઈ હતી. પણ અજય શાંત રહ્યો તેને ભીખા ઉપર અને ભીખાની નિષ્ઠા ઉપર સંપૂર્ણ ભરોસો હતો. ભીખાને પણ વાતની ખબર પડી. ભીખો, અજય પાસે ગયો."ભીખા કઈ કામ છે ?"
ભીખો મૂંગો ઊભો રહ્યો. પોતે દોષિત હોય એવી લાગણી અનુભવવા લાગ્યો હતો. કે અજય શેઠના કામમાં મારા લીધે ગરબડ ઉભી થઈ અને મોલમાં કામ કરતા માણસો નારાજ થઈ ગયા.
ભીખાને શાંત જોઈ અજયે કહ્યું." ભીખા તારો કોઈ દોષ નથી, તું તો નિષ્પૃહી માણસો છો. તને સમજવામાં બીજાએ ભૂલ કરી છે. હું સંભાળી લઈશ તું તારે તારું કામ કર્યે જા".
તે દિવસે અજયે મોલનાં કર્મચારીઓની મિટિંગ બોલાવી. ભીખાને હાજર નહોતો રાખ્યો એમ સમજીને કે ભીખો પોતાની વાત સાંભળીને નાનપ ના અનુભવે. અજયે આખી વાત કરી. ભીખાની સૂઝની, કાર્યદક્ષતાની, ઈમાનદારીની અને વિશેષ તો કામની લગનીની વાત કરી. અજયે પૂછ્યું "તમે તમારા નિયત કામનાં કલાકથી વધારે કામ કરો છો ?", "નહીં ને ?" "તો ભીખાનાં તો કામનાં કલાક નક્કી જ નથી. અજય શેઠનાં બિઝનેસ સિવાય બીજું કંઈ તેને દેખાતું જ નથી." "છે, આ વાતનો કોઈ જવાબ તમારી પાસે ?"
મોલનાં કર્મચારીઓ પાસે તેનો કોઈ જવાબ નહોતો. કારણ કે બધા નિયત સમય માટે સોંપેલ કામ કરતા હતા. જ્યારે ભીખાને તો અજય શેઠ દેવ અને મોલ તેનું મંદિર હતું એ જ તેની દુનિયા હતી. મોલનાં કર્મચારીઓને તે દિવસે ભીખો સમજાણો અને ભીખાને પ્રેમથી મોલનાં કુટુંબનાં સભ્ય તરીકે સ્વીકારી લીધો.
અજયનાં મુખ ઉપર પોતાના નિર્ણયનાં પરિણામના સંતોષનું સ્મિત હતું અને ભીખાને સ્વજનો, જીવન જીવવાનું ભાથું મળ્યાનો આનંદ હતો.
