ભાઈઓની એકતા
ભાઈઓની એકતા
એક સુંદર ગામ હતું. જેમાં સારી સુખ સાહ્યબી ધરાવતો મોટો પરિવાર રહેતો હતો. પરિવારમાં ત્રણ ભાઈઓ હતા. એમની સુખ સાયબી અને એકતા જોઈને પડોશી પરિવાર ખૂબ જ ઇર્ષ્યા કરતા. આ સુખી પરિવાર રોજ મજાથી રહેતા અને જે પણ કામ કરતા બધાની સહમતીથી કરતા. જ્યારે પણ ત્રણેય કુટુંબમાં કોઈ એક ના ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો ત્રણેય કુટુંબ સાથે મળીને બધી સગવડ કરતાં ને પ્રસંગમાં કોઈપણ અગવડ ન થાય એનું પણ ધ્યાન રાખતા. કયાંક ફરવા જાય તો પણ આખો પરિવાર સાથે મળીને સહમતિથી જતો. સાથે મળી ખૂબ આનંદ કરતો. પરીવારના દાદા દાદી પણ બહુ જ સમજદાર અને સારા વહીવટી હતા. દાદા ત્રણેય ભાઈઓને કોઈપણ કામ સમજદારીથી કરવાની સમજણ આપતાં ને ત્રણે ભાઈઓ સમજી ને અનુસરતા. આટલી બધી સમજણ અને જવાબદારીપૂર્વક કામ લેતા તેથી તેમને કોઈ પણ દુઃખ આવતું નહીં. તેમનાં પરિવારમાં ખૂબ જ સુખ હતું. ને ત્રણે ભાઈઓમાં એકતા પણ બહુ જ હતી. એમની આ સુખ સાહ્યબી અને એકતાપૂર્વક રહેવાને લીધે પડોશી પરિવાર ખૂબ જ ઇર્ષ્યા કરવા લાગ્યો. એમનો રોજ એજ પ્રયત્ન રહેતો કે કંઇ પણ કરીને એમની એકતામાં ભંગ પડાવીએ. પડોશી ભાઈઓ અને તેમની પત્નીઓ રોજ એકતા તોડવાનો પ્રયાસ કરવામાં લાગેલા રહેતા કારણ કે આ પરિવારે કઈ જ સમજદારીથી કામ લીધું ન હતું તેથી બધું ગુમાવી બેઠા હતા. આમ પડોશી પરિવારે સુખી પરિવારમાં ભંગ પડાવાના ઘણાં પ્રયત્નો કરી, જૂઠી વાતો અને એકબીજાની ખોટી વાતો કરી ત્રણેય ભાઈઓમાં ભંગ પડાવ્યો. પડોશી પત્નીઓ પણ ત્રણેય ભાઈઓની પત્નીઓમાં ભંગ પડાવ્યો. આખરે એકતા પડી ભાગી. દાદા પણ ત્યારે ન હતા રહ્યાં, તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. બધું વેરવિખેર થઈ ગયું. કોઈ આ બાજુ તો કોઈ પેલી બાજુ બધું પડી ભાગ્યું. એક સાથે દુઃખનો પહાડ તૂટી ગયો હોય એવી હાલત થઈ ગઈ.ત્રણેય ભાઈઓમાંથી કોઈપણ એક બીજાનું ન સાંભળે બધા જુદાં થઈ ગયા. ઘણા મહિનાઓ સુધી આવું જ ચાલ્યું.
પરંતુ એક દિવસ જ્યારે મોટાભાઈ ગામની બહાર કઈ ખરીદી કરવા જાય છે. ત્યારે ચોર મોટાભાઈને રસ્તામાંથી કિડનેપ કરીને લઈ જાય છે. ઘણા દિવસો પછી પણ મોટા ભાઈ ઘરે નથી આવતાં. આ વાતની જાણ બે ભાઈઓને થાય છે ત્યારે તેઓ ને તેમના પિતાએ આપેલી એકતા વિશેની સમજણ યાદ આવે છે અને બંને ભાઈઓ પોતાના મોટાભાઈને બચાવવા તૈયાર થાય છે. તેઓ મોટાભાઈ ને લેવા નીકળી પડે છે. ચોરે મોટાભાઈને છોડાવા માટે બહુ મોટી રકમ માંગી હતી. છતાં પણ બંને ભાઈઓએ ખૂબ મહેનત કરીને આ રકમ ચૂકવી અને મોટાભાઈને બચાવી લીધા. પછી બધાં ભાઈઓ ભેગા મળીને ખૂબ રડ્યા અને છેવટે આખો પરિવાર સાથે મળીને રહેવા લાગ્યો. એમને સમજાય છે કે કોઈની માત્ર ખોટી વાતો સાંભળીને એકતા તૂટવી જોઈએ નહીં. કોઈપણ પડોશી વ્યક્તિની આવી ખોટી વાતમાં આવીને ભાઈઓ વચ્ચેનો પ્રેમ તોડવો જોઈએ નહીં. એકતામાં જ બળ છે પરિવાર સાથે હોય તો બધુ સુખ છે. જો ભાઈ ભાઈ સાથે મળીને રહેતા હોય તો કોઈપણ મુશ્કેલી ન આવે. પરિવાર જ નહીં પરંતુ વિશ્વના બધા જ લોકો સાથે મળીને એકતાથી રહે તો ક્યારેય મુશ્કેલી આવે નહીં.
આમ, બધાં જ લોકોએ સાથે મળીને એકતાથી રહેવું જોઈએ.
બોધ : એકતામાંજ સાચું સુખ છે.