આ પ્રેતયોનિ શું હોય છે ?
આ પ્રેતયોનિ શું હોય છે ?
જાણકાર કહે છે કે જે વ્યક્તિ મૃત્યુ પામે પછી તેનો આત્મા ભૂત થાય છે એનું કારણ છે અત્યંત આવેગવાળી કોઈ ઈચ્છા પ્રેમ હોય છે અથવા તો કોઈ માણસ આપઘાત કરે, તે જીવવા માંગતો હોય પણ સમય-સંજોગો તેને જીવવા દે તેમ ન હોય ત્યારે આવા આવેગને કારણે એ ઝેર પી લે પણ ઝેર પીધા પછી શરીર છોડતી વખતે એના મન આદિની જે સ્થિતિ થાય છે એ બહુ ભયંકર હોય છે. એ કારણે એ પ્રેત થાય છે. પ્રેતનો એવો સ્વભાવ છે કે એ દશામાં જેના પ્રત્યે તેને આક્રોશ રહ્યો છે તે દંશ જતો નથી, કાયમ રહે છે. એટલે પછી તે કોઈને ને કોઈને હેરાન કરે છે. તેને જીવતાં જેણે દુઃખ પહોંચાડયું હોય એ લોકોનું ઉધાર એની મેળે વખત આવતા થાય છે. કેટલાક કિસ્સા જોઈએ. મનુભાઈની પેઢીમાં એક નોકર હતો. દક્ષિણમાં એક ઠેકાણે ધોધ પાસે મનુભાઈ, તે નોકર અને બીજા બધાં મજા કરવા ગયેલા. એ નોકર કહે કે ધોધની છેક નીચે કૂવો છે. એમાં આ છોકરાને લઈને જઉં અને તરીને બહાર નીકળું ! મેં કહ્યું અલ્યા મરવું છે ? બૈરી છોકરાં છે કે નહીં ? લાવ ! એમ કહીને મેં એ છોકરાને લઈ લીધો. પછી એ તો પેલા ઝરણાં પાસે આમતેમ ફરવા લાગ્યો અને કહ્યું કે, ‘ભાઈ, તું આવતો રહે, આ લીલ બાઝેલી છે અને લપસીશ તો પડી જઈશ.’ આમ બોલીએ ત્યાં તો એ પડયો અને મરી ગયો. એ ભૂત થયેલો. એના મનમાં એમ કે, ‘શેઠે કેમ મને ના ઉગાર્યો ? મને તે આત્મા જ્યાં ત્યાં ધક્કા મારે અને હું પડી જાઉં. મને વાગે પણ ખરું. મામાએ મને પડી જતાં જોયેલો. પાછળથી સુસવાટાબંધ પવન વાતો હોય એવું લાગે. મને થતું કે આ શું થાય છે ? પછી એક વખત મેં ધ્યાનમાં બેસીને જોયું ત્યારે મને સમજણ પડી. પછી અમારા મૌન મંદિરના ઓરડામાં એ પ્રેતને રાખેલો. પછી એની સારી દશા થઈ ગઈ.’
શ્રી મોટા કહે છે કે મુંબઈમાં એક સ્વજનની દીકરી એમ.એસસી. થયેલી. કોઈકના પ્રેમમાં હતી. એના બાપે બીજે ઠેકાણે વિવાહ કરેલો. એ છોકરી ભણેલી-ગણેલી. બીજી મા સાથે એને બનતું નહીં. તે જેને પ્રેમ કરતી તે છોકરા સાથે એવું નક્કી કરેલું કે પરણાય એવી સ્થિતિ નથી. માટે હવે મરી જવું. પોતે એમ.એસસી. થયેલી એટલે શું ખાતાં તરત જ મરી જવાય એ જાણે, પેલાએ ઝેરનું પડીકું આપ્યું. છોકરી ખાઈ ગઈ, પણ પેલા છોકરાને નંદલાલે સમજાવીને વારેલો એટલે એ બચી ગયો. આ છોકરી પ્રેત થયેલી. પ્રેતનો મારો અને તેમને ઘરોબો ખરો એટલે મેં એના બાપને કહેલું કે, ‘હું સંભાળી લઈશ.’ ઘણી વખત સુરતના આશ્રમમાં રાત્રે અવાજો કરે. એ વખતે બેન મારી સાથે રહેતી હતી. તેમણે એ અવાજો સાંભળેલા. મેં એમને નહીં કહેલું કે આ પ્રેતના અવાજો છે નહીંતર એ ગભરાય, મને એણે બિવડાવવાના ઘણા પ્રયત્નો કરેલા. પછી ઠેકાણે આવી ગયેલી. આવી ઘટનામાં ધીમેધીમે કરીને કામ સધાય છે. પછીનો એનો હવન પણ કરવો પડેલો. અડદ અને સાત જાતના લોટ લેવા પડેલા અને મનુષ્ય આકારનું એનું પૂતળું બનાવેલું અને હવન કરીને એને હવનમાં હોમવાનું. એમાં ઘી હોમવાનું, એટલે પૂરેપૂરું બળી શકે. મંત્રોચ્ચાર કરીને એને બાળવાનું. એટલે પેલાની મુક્તિ થાય. આવી ક્રિયા હું કાંઈ જાણું નહીં ! પણ મને એવી પ્રેરણા થાય એ પ્રમાણે હું કરું.
કોઈ જીવ હોય, એને પોતાનાં બૈરી-છોકરાં, વેપારધંધા વગેરે માટે ઘણો મોહ હોય. માલ-મિલક્ત વગેરે ઉપર પુષ્કળ આસક્તિ હોય. એ વાતે અકાળે મરવાનું થાય એ એને બહુ કારમું લાગે. તો પણ એ પ્રેત થાય. માટે ઉંમર થાય એટલે માણસે ધીમેધીમે આ સંસારમાંથી આસક્તિ ઓછામાં ઓછી કરતા જવું એ એના પોતાના માટે સારું છે. પ્રેત યોગ્ય માધ્યમમાં પ્રવેશીને ભોગવે છે. એ ભોગવ્યા પછી એનો નવો જન્મ થવાની શક્યતા ઊભી થાય છે. આપણા કરતાં પ્રેતની ભોગવવાની તૃષ્ણા બહુ જબરી તીવ્રતાવાળી હોય. પેલા જીવનું શરીર પણ પ્રેતના લીધે લથડી જાય. પ્રેતયોનિમાં રજસ મોખરે છે. એ રજસને કારણે એ ગમે ત્યાં જઈ શકે છે એટલું જ નહીં. પણ તે ગમે ત્યાં આરપાર થઈ શકે છે. તમારાં બારી-બારણાં બંધ હોય તો પણ ત્યાં અંદર જઈ શકે છે ત્યાં અંદર આવી શકે છે. કોઈ વિદ્વાન હોય, બહુ ભણેલો હોય, જેનામાં ઓરિજિનાલિટી પણ છે, પણ અનુભવી નથી. જો આવાનું અકાળે અવસાન થાય તો એની જિજ્ઞાસા રઝળી પડે. પોતાની કળા કે વિદ્યા બીજાને આપવાની જિજ્ઞાસા એને રહે છે. એવા જીવો બીજા જીવોને ભણાવી પણ શકે છે. તેમને ખરેખર ભણાવે છે એને (ભણનાર)ને ખ્યાલ પણ નથી આવતો કે તેમને આટલું ક્યાંથી આવડી રહ્યું છે.