પ્રેમ : લાગણી કે બંધન - 4
પ્રેમ : લાગણી કે બંધન - 4
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
...અંતે સમય સાથે રાજ માં ખૂબ જ મોટો બદલાવ આવી ગયો અને વિધિ પણ આ બદલાવ જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ. ધીમે ધીમે બંને એકબીજાથી વાત કરવા લાગ્યા. એકબીજાને ભણવામાં મદદ કરવા લાગ્યા. વિધિ ફક્ત ભણવા માટે થઈને જ રાજ સાથે વાત કરતી અને રાજ પણ વિધિ ને કારણ વિના હેરાન ના કરતો કેમકે એના મનમાં અને જીવનમાં વિધિ માટે એક આગવું સ્થાન બની ગયુ હતું.
બીજી તરફ ગમે તે તોપણ વિધિ એક છોકરી જ છે ને રાજ તરફથી મળતું સન્માન, પ્રેમ અને હૂંફની એને આદત પડી ગઈ. ઘણીવાર એવું બનવા લાગ્યું કે રાજ ની ગેરહાજરી વિધિ ને સતાવતી હતી. વિધિ રાજની સાથે વાતો જ્યારે વાત કરતી એ તો અનાયસ હતું પણ એ રાજ સાથે સુરક્ષિત છે એવું એને લાગતું. વિધિ તો પ્રેમ વિશે તો કંઈ જાણતી નહોતી પણ એ કદાચ રાજની લાગણીઓ સમજવા લાગી હતી. રાજને લઈને એના મનમાં ઘણા પ્રશ્નો હતા પણ રાજનો આ બદલાવ પણ નોંધપાત્ર હતો.
રાજ એક અમીર પરિવારમાંથી હોવા છતાં વિધિ સામે સરળ બનાવવાનો પ્રયત્ન કરતો. ખુબ જ ઓછા સમયમાં રાજ એ પોતાના સ્વભાવ અને દેખાવને વિધિ ને પસંદ આવે તેવા બનાવી ચૂક્યો હતો. પ્રથમ નજરમાં ગમી ગયેલી વિધિની સાદગી, એની સરળતા, આંખોમાં વિશ્વાસ અને એની સહજતા સાથે રાજને પ્રેમ થયો હતો.
છેલ્લે વિધિની આ લાગણીઓ અને રાજની ધીરજ એ પ્રેમનું સ્વરૂપ ધારણ કર્યું. વિધિએ પણ રાજની સામે એના મનમાં ચાલતી મથામણો કહી. આખરે બંને એકબીજાના વિશ્વાસની સાક્ષી એ એક પવિત્ર લાગણીના બંધનમાં બંધાયા. હવે એક નવો એટલે કે પ્રેમનો સફર અહીંથી શરૂ થયો.
બંને એકબીજાના પૂરક બન્યા પણ અભ્યાસ પૂર્ણ થયો એટલે વિખૂટા પડી ગયા. આગળ અભ્યાસ કરવા માટે જુદી જુદી જગ્યાએ ગયા. વિધિ અભ્યાસ માટે વિદેશ ગઈ અને રાજ પણ બીજી કોલેજમાં ગયો. આ ગાળા દરમિયાન બંને એકબીજાના સંપર્કમાં હતા પણ એકબીજાનો અભ્યાસ ખરાબ ન થાય અને પૂરતો સમય મળે એ માટે ખૂબ ઓછી વાત કરતા આમ બે વર્ષ વીતી ગયા.
વિધિ બે વર્ષ પછી ડોક્ટર બની ઘરે પાછી આવી અને એક હોસ્પિટલમાં તેણે નોકરી શરૂ કરી. આ વખતે રાજ હજુ પાછો આવ્યો ન હતો એટલે બંને હજુ મળ્યા ન હતા. બીજી તરફ વિધિના પપ્પાએ લગ્ન માટે છોકરા જોવાનું શરૂ કર્યું. ત્યારે વિધિ ને થયું કે એને રાજ વિશે એના પરિવારને જાણકારી આપવી જોઈએ. આમ તો બંનેએ નક્કી કર્યું હતું કે બંનેનો અભ્યાસ પૂર્ણ થાય અને સારી નોકરી મળે પછી જ વાત કરીશું પણ આ સમયે ચૂપ રહેવાનું વિધિ ને યોગ્ય લાગ્યું નહિ. એટલે એણે આખી વાત એના પરિવાર સમક્ષ રજૂ કરી. પરંતુ સમાજ, રીતરિવાજ અને બીજા ઘણા કારણો દેખાડી પરિવારના સભ્યોએ આ સંબંધ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી.
આ આખી ઘટના વિધિ એ રાજને કહી. પહેલા તો રાજ ગુસ્સા માં એકદમ લાલચોળ થઈ ગયો પણ પછી તેણે વિચાર કર્યો કે ખરેખર તો પરિવારના લોકો સાચા છે. સમાજમાં આબરૂ એ સૌથી અગત્યનું છે અને એણે વિધિને કહ્યું કે એ એના પિતાની માફી માંગવા ઈચ્છે છે અને એકવાર તેમને મળવા માંગે છે.
અને વિધિ એ રાજને ઘરે આવવા કહ્યું.
આ વાતની જાણ એણે એના પરિવારના સભ્યોને કરી. ખુબ મથામણ પછી એના પિતા રાજ ને મળવા માટે રાજી થયા અને વિધિ એ રાજને મળવા બોલાવ્યો. રાજ જ્યારે આવ્યો ત્યારે તેના માતા-પિતાને સાથે લઈને આવ્યો અને તેને જણાવ્યું કે વિધિને લઈને એના મનમાં કેવી સ્થિતિ છે. તેમ છતાં એ પરિવારની કે સમાજની વિરુદ્ધ કંઈ જ નહીં કરે એવી ખાત્રી પણ આપી. તેણે બધી જ વાતો ખૂબ સરળતાથી અને સચ્ચાઈપૂર્વક જણાવી.
અને કહેવાય છે ને કે સાચા હૃદયથી અને મનની શુદ્ધ ઈચ્છાશક્તિથી કરેલી માંગણી હંમેશા પૂરી થાય. બસ એમજ રાજની વાતો અને એનો સ્વભાવ બધાને ગમી ગયો અને રાજ વિધિ માટે યોગ્ય છે એવું લાગ્યું.
છેવટે બધાની મંજૂરીથી અને સર્વે વડીલોને સાક્ષીમાં વિધિ અને રાજના લગ્ન નક્કી થયા. એમનો પવિત્ર સંબંધ બધાએ સ્વીકાર્યો અને આ સંબંધને સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન મળે એ માટે રાજીખુશીથી સૌએ તેમને આશીર્વાદ આપ્યા.
હવે મનમાં એમ તો થાય કે રાજ અને વિધિના લગ્ન નક્કી થયા હતા. તો સમર કેવી રીતે આવ્યો અને હાલમાં રાજ ક્યાં છે ?
તો વાત જાણે એમ બની કે લગ્ન નક્કી કર્યા પછી રાજ અને તેના માતા-પિતા ખુશી ખુશી વિધિના ઘરે થી વિદાય લીધી અને ત્રણેય ઘરે જવા રવાના થયા. કહેવાય છે ને કે કાલ કોણે જોઈ છે પણ હકીકતમાં તો આપણે આગળની ક્ષણ પણ નથી જોઈ !
પરત ફરતાં રસ્તામાં ગમખ્વાર અકસ્માત થયો. રાજ ની આખી કાર કચડાઈ ગઈ અને વિધિ ને સમાચાર મળ્યા કે અકસ્માતમાં કોઈ જીવિત બચ્યું નથી. જેમ વરસાદ વધારે આવે તો ગમતું નથી એમ કદાચ વધારે ખુશીઓ વિધિના જીવનમાં આવી એ નિયતિને ના ગમ્યું. વિધિ એકદમ ફીકી પડી ગઈ, કાપો તો લોહી ના નિકળે એવી જડ બની ગઈ. એના જીવનનો સૌથી મોટો આઘાત એને આજે લાગ્યો. એ સાંભળતા વેત ત્યાં જ ઢળી પડી રાજની મોતની ખબર એ પચાવી ન શકી અને સૂકાયેલી આંખે જીવતી લાશ બની ગઈ. આ ક્ષણો જાણે છૂપાઈને વિધિથી દૂર જતી હોય એવું જણાતું હતું.
રાજ ના ગયા પછી એણે એક પણ આંસુ વહાવ્યું નહીં અને પથ્થર જેવી બની ગઈ. જેમ આકાશમાંથી ચાંદો લઈએ ને અંધારું થાય એવું જીવન થઈ ગયું. વાદળમાંથી વરસાદ લઈ લઈએ કે પછી હૃદયમાંથી ધડકન ચોરી લઈએ તો કેવું થાય ? બસ રાજના ગયા પછી વિધિનું અસ્તિત્વ પણ કંઈક એવું જ હતું.
રાજ ની સાથે વિધિની હસી ખુશી મહત્વકાંક્ષાઓ બધું જ ચાલ્યું ગયું હતું. હતો તો માત્ર બસ એક નિષ્પ્રાણ દેહ ! આ બધું જોઈને વિધિના પપ્પાને ચિંતા થવા લાગી. એક તરફ વિધિ તેના પરિવારને અઢળક પ્રેમ કરતી હતી પણ રાજથી એની લાગણીઓ ખૂબ મજબૂતાઈથી જોડાયેલી હતી. એટલે એ બધાથી પોતાને દૂર રાખવા લાગી. એના માટે આ આઘાત જીરવી લેવો ખૂબ મુશ્કેલ હતો એમ કહીએ કે અશક્ય હતો તો ય પાલવે. એને રાજની એવી આદત પડી હતી કે એ એક ક્ષણ પણ રાજ વગર એનું જીવન કલ્પનામાં પણ વિચારતી ન શકાય. એના મનમાંથી રાજને દૂર કરવો અશક્ય હતો !
અને છેવટે જેવું વિચાર્યું હતું એવું જ થયું, વિધિ પોતાના જીવનનું મૂલ્ય ભૂલી ગઈ અને પથારીવશ એક બીમારની જેમ લાચાર બની ગઈ, એને ના ખાવાપીવાનું ભાન રહેતું કે ના કોઈને મળવાનું ગમતું. આખોદિવસ એકલી ચૂપચાપ બેસી રહેતી. પણ પછી એના જીવને એક મોકો બીજો મળ્યો...!