વતનની વાતો ભાગ-2
વતનની વાતો ભાગ-2
રમણીય તળાવકાંઠો હોય, મંદિર હોય એટલે ત્યાંનું વાતાવરણ શાંત, પવિત્ર, પ્રકૃતિમય અને સૌને આકર્ષિત કરતું હોય છે.
મારે ગામના તળાવને બંને કાંઠે મંદિર આવેલ છે. સામે કાંઠે મોમાઇ માતાજીનું મંદિર છે.જે સુંદર પ્રકૃતિમય પરીવેશ ધરાવે છે. મંદિરના પ્રાંગણમાં જ ખૂબ પુરાણું ઘટાદાર વટવૃક્ષ છે. જે આખાય પરિસરમાં ફેલાયેલ છે.
અહીં મોમાઇ માતાજીના મંદિર સાથે ૐકારેશ્વર મહાદેવનું પણ સ્થાનક છે. આ મુખ્ય મંદિરની પાસે જ એક નાનું મંદિર છે. જે તોતર માતાજીનું છે. તોતર માતાજી કૂતરાની સવારી ધરાવે છે. જે કોઇને પણ બોલવામાં જીભ અચકાતી હોય. તોતળું બોલતા હોય એ તોતર માતાની માનતા રાખે છે. જેમાં પુરી બનાવી પ્રસાદ ચડાવાય છે. માતાજીની શ્રદ્ધાથી ધીમે ધીમે બોલવામાં સ્પષ્ટતા આવી ગઈ છે. એવા ઘણાં દાખલાઓ છે.
તળાવને આ કાંઠે પણ એક મંદિર સ્થિત છે. જે વેરાઇ માતાજીનું છે. પહેલાં અહીં સ્થાનકરુપે માત્ર બે પથ્થરો જ હતાં. જ્યાં લોકો માનતા રૂપે ગૉળનો પ્રસાદ કરતાં.
અત્યારે મંદિર બનાવાયું છે. અહીંથી પ્રસાદ ઘરે ન લઈ જવાતો. એથી જ કોઈ પ્રસાદ કરવા માટે આવે ત્યારે છોકરાંઓની ટોળકી સાથે જ લઇ આવે જેથી અહીં જ પ્રસાદ વહેંચી દેવાતો. જોકે છોકરાઓ અહીં વડલે રમતાં પણ હોય. જો કે અત્યારે જવું હોય તો બધાને ઘરેથી પકડીને લઈ જવા પડે. જ્યારે એ સમયે અમને તો બસ કાને વાત પડવી જોઈએ કે ગૉળ કે પુરી કરવા જવાનું છે. ક્યારેક મોડા પડીએ તો પણ સીધી દોટ મૂકી પહોંચી જતાં. પ્રસાદ લીધા પછી એંઠા મોંએ ન જવાય એવી માન્યતા એટલે સૌ કૂવા તરફ પાણી પીવા જાય અથવા ઘરેથી જ પાણી ભરીને લઈ આવતા. રસોળી, ગાંઠ, ગૂંમડું, કાખમાં થતી બાંબ જેવી કોઈપણ તકલીફ થાય ત્યારે લોકો વેરાઇ માતાને ગૉળ ચડાવાની માનતા રાખે છે. માતાની શ્રદ્ધાથી સઘળું સુખમય થઈ જતું.