N.k. Trivedi

Inspirational

4  

N.k. Trivedi

Inspirational

સમજણ

સમજણ

5 mins
298


"રેણુકા".....

"હા.... બા"

"આજે નીલમ આવે છે, અજય તેને તેડવા ગયો છે. પણ, બેટા, ગયા વખતે નીલમ આવી ત્યારે ઘરનું વાતાવરણ તેણે ડહોળી નાખ્યું હતું, પણ તું કઈ મનમાં ન લાવીશ એ હૃદયની ચોખ્ખી છે". ગયા વખતે નીલમ આવી ત્યારે, તે આવી હતી તો પૂરું વેકેશનમાં રહેવા, પણ નાની નાની બાબતોમાં ચંચુપાત કરવો, ઘરની બાબતોમાં દખલદેવી અને ખાસતો રેણુકા સાથેના મોટાપણાથી અભિમાન ભર્યો વ્યવહાર કરવો વગેરે બાબતથી ઘરનું વાતાવરણ બગડી જવાથી અઠવાડિયું રહીને જ પાછી જતી રહી હતી.

નીલમનો સ્વભાવ એક જ દીકરી અને ભાઈથી મોટી હોવાથી વધુ પડતા લાડ પ્યારથી આધિપત્યવાળો થઈ ગયો હતો. કોઈ સલાહ શિખામણ આપે તે નહોતું ગમતું. મનસુખભાઈ અને તેના ધર્મપત્ની ઘણી વખત સમજાવતા, પણ તે આધિપત્યને પોતાનું સ્વમાન ગણતી, અને વાતાવરણ ને ઉગ્ર કરી નાખતી.

"બા, તમે જરા પણ ચિંતા ન કરતા, મારા મનમાં નીલમબેન માટે કોઈ અભાવો નથી. તેમને મોટા હોવાનું સ્વમાન, કે ગુમાન સમય જતાં સમજાશે. મેં આજે તેમને ભાવતી રસોઈ બનાવી છે. અને હું બધું સંભાળી લઈશ".

મનસુખભાઈને અજય, દીકરો અને નીલમ દીકરી હતી, નીલમ મોટી હતી અને ખુબજ લાડકોડમાં ઉછરી હતી, મોટા હોવાના સ્વમાન સાથે થોડું અભિમાન પણ હતું. નીલમના લગ્ન મનસુખભાઈના મિત્ર જયસુખભાઈના દીકરા વિપુલ સાથે કર્યા હતા, જયસુખભાઈને વિપુલ મોટો દીકરો અને મીના દીકરી હતી, મીનાના પણ લગ્ન કરી નાખ્યા હતા.

નીલમ પણ સાસરે મોટી હતી, એટલે ત્યાં પણ મોટા હોવાનું માન, સ્વમાન મળતું, નીલમનો અહીં પિયર કરતા જુદો વર્તાવ હતો. પિયરમાં જેવું વર્તન એ રેણુકા સાથે કરતી હતી એવુંજ વર્તન એ સાસરીમાં મીના સાથે કરતી અને માનતી કે મોટી છે એટલે એ એનો હક્ક છે. મીના પણ જ્યારે, જ્યારે આવતી ત્યારે પાછી નારાજ થઈને જતી. વિપુલ ઘણીવાર સમજાવતો કે તારુ, મીના અને રેણુકા ભાભી સાથેનું વર્તન યોગ્ય નથી, પણ કોઈ ફેરફાર નીલમમાં થતો નહોતો.

ગયા વેકેશનમાં મીના આવી ત્યારે નીલમ અને વિપુલ સ્ટેશને તેડવા ગયા હતા. મીના નીલમ અને વિપુલને પગે લાગી ત્યારે પણ નીલમે યોગ્ય પ્રતિભાવ નહોતો આપ્યો, મીનાએ વિપુલ સામે જોયું ત્યારે વિપુલે આંખથી પ્રેમ ભર્યા હલકો ઈશારો આપ્યો હતો કે કઈ વાંધો નહીં હું તને પ્રેમથી આવકારું છું, અને પછી ઘરમાં મીના સાથે નજીવી બાબતોમાં ઘર્ષણ ઊભાં કર્યા હતા અને મીના અઠવાડિયામાં સાસરે જતી રહી હતી, વિપુલ અને જયસુખભાઈને દુઃખ થયું હતું.

આ વાત મનસુખભાઈ અને જયસુખભાઈ બંને જાણતા હતા, મનસુખભાઈ અને જયસુખભાઈ બંને મિત્રો હોવાની સાથે વેવાઈના સંબંધથી પણ જોડાયેલ હતા આથી કૌટુંબિક વાત અને ચર્ચા પણ કરતા, ત્યારે જયસુખભાઈ કહેતા, મનસુખ તું ચિંતા ન કરતો, સમય આવે નીલમને પણ યોગ્ય બાબત સમજાશે, અને એ માટે વાતાવરણ થોડા સમયમા જ ઊભું થઈ ગયું.

જયસુખભાઈને કામ સબબ અમદાવાદ જવાનું થયું, તેણે મનસુખભાઈને ફોન કર્યો, "મનસુખ, હું અમદાવાદ કામ સબબ આવ્યો છું અને કામ પતાવી તને મળવાની ઈચ્છા છે, તારે નવરાશ છે ને ?". મનસુખભાઈ એ કહ્યું "હા તું ચોક્કસ આવ આપણે મળ્યા ને ઘણો સમય થઈ ગયો, મને પણ તને મળવાની ઈચ્છા છે".

મનસુખભાઈ અને જયસુખભાઈ દીવાન ખંડ માં વાતો કરતા બેઠા હતા,

"જયસુખ આ વખતે મીના વેકેશન પૂરું કર્યા પહેલા જ પાછી જતી રહી, બધું બરોબર ચાલે છે ને ?".

"હા, નીલમ અને મીના વચ્ચે જરા માથાકૂટ હતી, પણ એવું તો ચાલ્યા કરે".

"તું મને વાત નહીં કરે પણ મને ખબર છે, નીલમના વર્તનથી તે જતી રહી હતી".

"હા પણ તું ચિંતા ન કરીશ સમય આવે નીલમને સાચી સમજણ આવી જશે, તારી દીકરી છે અને ડાહી અને સમજુ છે આ તો જરા મોટી છે, પણ થોડી તેનામાં ગેરસમજ છે".

તને એક સમાચાર આપવાના છે. મીનાના પતિની બદલી રાજકોટ થઈ છે અને અમે વિપુલ સાથે વાત કરી છે કે તે એક સારું મકાન ભાડે લઈ જુદા રહે, છોકરાઓને પણ તેમની જિંદગી જીવવા સવલત આપવી પડે.

ના, જયસુખ ખોટી વાત તું નીલમના વર્તનથી પરેશાન છો, અને મીના ગામમાં હોય એટલે વારંવાર મળવાનું થાય,ઘરે રહેવા આવે બરોબરને, અને તું ભલે ન કહે પણ મને ખબર છે તું નીલમના વ્યવહારથી પરેશાન છો, નીલમને કાઈ નહીં કહીને તું દોસ્તી નિભાવે છો, એ મને પસંદ નથી.

હા, તારી વાત સાચી છે. તું, વિપુલ, મીના, હું આપણે બધા નીલમના સ્વભાવથી ચિંતિત છીએ તો તેને કેમ નથી સમજાતું કે ઘરમાં મોટા હોવું, વડીલ હોવું, માન, સ્વમાન મળે બધા તેનો મત પૂછે એજ ખરું સ્વમાન છે, એ આધિપત્ય કે ગુમાન નથી ગણવાનું પણ નાના પ્રત્યેની ફરજ અદા કરવાની સુવર્ણ તક છે એમ માની પહેલા ફરજ અદા કરવાની હક્ક આપો આપ મળી જશે.

નીલમ બંને મિત્રો અને વેવાઈ વચ્ચેની વાત સાંભળતી હતી, અને વિચારમાં પડી ગઈ કે આ લોકોની વાત તો સાચી છે મારી સમજણમાં કંઈક ખૂટે છે, મારે સમજવું પડે કે વડીલ તરીકેની ફરજો, હક્ક કરતા મહત્વની છે અને હવે હું એમજ કરીશ, એમ મનથી નક્કી કર્યું.

નીલમ, મનસુખભાઈ અને જયસુખભાઈ દીવાનખંડમાં બેઠતા ત્યાં આવી,

બાપુજી, પપ્પા તમારી વાત મારે ન સાંભળવી જોઈએ મને માફ કરશો, પણ તમારી વાતનું તાત્પર્ય મને સમજાયું, તમારી લાગણીનું મૂલ્ય સમજાયું અને વડીલ હોવું એ જેટલું માન, સ્વમાન માટે મૂલ્ય ધરાવે છે એટલુંજ કે એથી વિશેષ નાના પ્રત્યેની ફરજનું મૂલ્ય છે. આજની આપની વાતથી મને નવી સમજણ અને રાહ મળી છે.

પપ્પા, મીના બેનની બદલી રાજકોટ થઈ છે, ખૂબ સારું થયું, વિપુલની સાથે મને પણ મીનાબેનની સાથે રહેવાનો લ્હાવો મળશે અને હું આજે જ મીના બેનને ફોન કરીને વાત કરીશ કે મકાન જ્યાં સુધી સારું ન મળે ત્યાં સુધી આપણે સાથેજ રહીશુ. અને પપ્પા અમે તમને છોડી ને જુદા રહેવા જવાના નથી, અમારે તમારી સેવા અને આશીર્વાદથી વંચિત નથી રહેવું, તમે હા પાડશે ત્યારે જ મને ખાત્રી થશે કે તમે મને માફ કરી છે.

હા, બેટા આપણે સાથે જ રહીશું, અને તે કઈ ભૂલ નથી કરી કે માફ કરવાનો સવાલ ઊભો થાય, બસ અમારે તો તારી ગેરસમજણ દૂર કરવી હતી, જે તારી બુદ્ધિમતાથી દૂર થઈ ગઈ.

મનસુખભાઈ અને જયસુખભાઈ એક બીજાની સામે જોયુ, કે સમય આવે સાચા સંસ્કારોથી સાચી સમજણ આવેજ છે. સવાલ છે ધીરજથી સ્થિતિ સંભાળવાનો અને સાંભળવાનો અને પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવાનો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational