પતિતા
પતિતા
આજે આપણે સુખદાયી એનેક્ષીનાં મેમ્બરોની અરજન્ટ મિટિંગ બોલાવી છે. આપણી એનેક્ષીની ચાર વિંગ છે એ-બી -સી અને ડી અને દરેક વિંગમાં પચીસ, પચીસ ફ્લેટ છે. સી વિંગનાં વીસમાં ફ્લોર ઉપર શ્રી તરુણભાઈ ઘોષ અને શ્રીમતી ઉષાબેન ઘોષ રહે છે. હકીકત એ છે કે માહિતી જે મળી છે, અને અમે જે વિગત મેળવી છે તે પ્રમાણે શ્રીમતી ઉષાબેન ઘોષનો ભૂતકાળ કલંકિત છે. આવી વ્યક્તિ જો આપણી વચ્ચે રહે તો સમાજમાં ખોટો સંદેશો જાય. બાળકોનાં સંસ્કાર બગડે અને સુખદાયી એનેક્ષીનું નામ ખરાબ થાય. અમે તરુણભાઈ સાથે વાત કરી પણ તેમનો હકારાત્મક સહકાર મળ્યો નહીં આથી આજની આ મિટિંગ બોલાવી છે. આપ સર્વે જે સંમતિથી નિર્ણય કરશો તે તરુણભાઈએ માન્ય રાખવો પડશે.
મારે આપ સર્વેને કાંઈક કહેવું છે. મારુ અને ઉષાનું ફેમિલી એક નાના સેન્ટરમાં એક જ શેરીમાં રહેતું હતું. અમારે એક બીજાનાં ઘરે આવવા જવાના સંબંધો હતા. મારા પપ્પા સરકારી ઓફિસમાં કામ કરતા હતા અને ઉષાનાં પપ્પાને નાની કરિયાણાની દુકાન હતી. અમે ધોરણ બાર સુધી સાથે અભ્યાસ કર્યો હતો. અમે એક, બીજાને ચાહવા લાગ્યા હતા. અમારા મમ્મી, પપ્પાને કાઈ વાંધો નહોતો કારણ કે અમે સંતાનમાં એક જ હતા. એ લોકોની પણ સહમતી હતી.
આગળનાં અભ્યાસ માટે હું વિદેશ ગયો. મારા પપ્પાની દૂર બીજા શહેરમાં બદલી થઈ ગઈ. મારો ઉષા સાથેનો સંપર્ક તૂટી ગયો. આ સમય દરમ્યાન ઉષાનાં મમ્મીનું અવસાન થઈ ગયું અને થોડા સમય પછી ઉષાનાં પપ્પાનું પણ અવસાન થઈ ગયું. ઉષા એકલી પડી ગઈ હતી. સમય, સંજોગ અને આ કહેવાતા સુજ્ઞ, સંસ્કારી સમાજે તેને દોજખમાં ધકેલી દીધી. અહીં બેઠેલા તમામ મને માફ કરજો પણ ઉષાનો ગેરલાભ ઉઠાવનાર આ જ કહેવતો સુજ્ઞ સમાજ છે. જે આજે ઉષાનાં કલંકિત ભૂતકાળથી ભયભીત છે. શા માટે ? કારણ કે મનમાં કોઈક ખૂણે દુષભાવ ભરેલો છે. મનમાં ખોટ છે. અમને અહીં રહેવામાં કોઈ અગવડ નથી તો આપ લોકોને શા માટે છે ?
એક બીજી વાત અહીંયા રહેવા આવતા પહેલા અમે નાની એવી મધ્યમ વર્ગની સોસાયટીમાં રહેતા હતા. ત્યાં બધાને ઉષાનાં ભૂતકાળની ખબર હતી પણ કોઈએ ક્યારેય ઉષા પ્રત્યે અણગમો કે તિરસ્કાર દાખવ્યો નથી, ભરપુર પ્રેમ આપ્યો છે. શા માટે ખબર છે ? એ લોકો ઉષાને તેના ભૂતકાળ માટે દોષિત માનતા નહોતા ઉલટાની ઉષા પ્રેત્યે પ્રેમ, સહૃદયતા બતાવતા હતા.
પણ મારી ઈચ્છા ઉષાએ જિંદગીમાં ખૂબ સહન કર્યું છે એટલે સુખ સગવડવાળો ફ્લેટ લઈ તેમાં રાખવાની ઈચ્છા હતી. બધીજ સુખ સગવડ આપવાની હતી એટલે આ ફ્લેટ મેં ખરીદ્યો હતો. પણ આ મારી ભૂલ હોય એમ લાગે છે. અમારી જૂની સોસાયટીનાં લોકોનો પ્રેમ ફરીથી મને ત્યાં બોલાવે છે. હું આજે અત્યારે જ આ ફ્લેટ છોડી દઉં છું. જ્યાં મારી ઉષાનું સ્થાન નથી, સન્માન નથી, સ્રીત્વની ઉપેક્ષા થતી હોય ત્યાં હું કે ઉષા ન રહી શકીએ.
ચાલ ઉષા, આપણી જૂની મંઝિલ આપણને બોલાવે છે. ઊંચા મહેલ કરતા ઝૂંપડામાં સુખ શાંતિ વસતી હોય એમ લાગે છે.
અને તરુણભાઈ ગર્વભેર ઉષાનો હાથ પકડી સુખદાયી એનેક્ષીમાંથી નીકળી ગયા... એક કહેવાતી પતિતા સ્રીને....પવિત્રતાનું, પ્રેમનું, નારી સન્માનનું આવરણ ઢાંકી ને.