ઘડપણમાં નવું જીવતર
ઘડપણમાં નવું જીવતર
એક પરિવાર જેમાં ત્રણ દીકરા અને એના માતાપિતા એમ રહે છે માતાનું નામ પ્રેમિલાબહેન, પિતાનું નામ માધુભાઈ અને ત્રણ દીકરાનું નામ કરણ, મિહિર અને મોનાર્ક.
ત્રણેય દીકરા ઉચ્ચ અભ્યાસ કરી અલગ અલગ ક્ષેત્રે નોકરી કરે છે, એના માતા ગૃહિણી અને પિતા ધંધો કરે છે. પિતાની ઉંમર થતા દુકાન પર આવવા જવામાં અને આખો દિવસ બેસી રહેવામાં તકલીફ પડતી હતી માટે ત્રણેય દીકરા એક નિર્ણય કરે છે કે પપ્પા હવેથી કામ ના કરે અને દુકાન ભાડે આપી દેવી અને ત્રણેય દીકરા પોતાની આવકમાંથી પિતાને અમુક નક્કી કરેલી રકમ વાપરવા આપશે આ વાત બધા દીકરાઓએ મળીને એમના પપ્પા માધુભાઈને કરી પહેલા તો એમણે ના કહી પણ દીકરાઓ આગળ એમની દલીલબાજી બહુ ના ચાલી અને આખરે દીકરાઓનો નિર્ણય એમણે માન્ય રાખવો પડ્યો.
એક વખત મોટા દીકરા કરણ માટે એક છોકરીની વિગત આવી બધું અનુકૂળ આવતા મોટા દીકરાના લગ્ન લેવાયાં થોડો સમય જતાં દીકરાએ અલગ ઘર લઈ લીધું અને માતાપિતાને એ અંગે કશી જાણ ના કરી.
એક દિવસ અચાનક મોટા દીકરા કરણે રાત્રે બધા સાથે બેઠા હતા ત્યાં જઈને કહ્યું કે કાલ થી અમે આ જગ્યાએ રહેવા જઈએ છીએ.
માતાપિતાને અસહ્ય આઘાત લાગ્યો પણ દીકરાની ખુશી માટે એમણે એક શબ્દ ના ઉચ્ચાર્યો અને દીકરાની ખુશી એમાંજ હશે એમ માની રાજી ખુશી દીકરાને અલગ રહેવા જવા દીધા.
થોડા સમયમાં વચલા દીકરા મિહિર માટે એક છોકરીની વિગત આવી એના પણ લગ્ન લેવાયાં અને એણે લગ્ન પહેલા જ છોકરીને જાણ કરી દીધી હતી કે કોઈપણ સંજોગોમાં હું માતાપિતાથી અલગ રહેવા નહિ જાઉં અને જો એની ખુશી હોય સાસુ સસરા સાથે રહેવામાં તો જ હા કહે નહિં તો જે નિર્ણય હોય એ સ્વીકાર્ય છે માટે એ દીકરો લગ્ન પછી માતાપિતા ની સેવા કાજે સાથે જ રહેતો. હવે નાના દીકરા મોનાર્કના લગ્ન લેવાયાં થોડો સમય જતા એ પણ અલગ રહેવા જતો રહ્યો.
હવે ઘરમાં માતા પિતા વચલો પુત્ર મિહિર અને એની પત્ની નિહારિકા સાથે રહેતા હતા.
સમય જતાં એક દિવસ કરણ ને નોકરીમાંથી છૂટો કરી દીધો અને ઘરમાં એક ટંક જમવાનું પણ વાંધો પાડે એવી સ્થિતિ થઈ ગઈ હવે કોઈ મદદ પણ કરે એમ ન હતું. માબાપથી પહેલાથી જ અલગ થઈ ગયો અને પત્ની દીપ્તિના માતાપિતા પણ એ વાતને લઈને એમનાથી નારાજ હતા એટલે કોઈથી મદદ ની કોઈ આશા ન હતી.
એક બે દિવસ તો વિચારમાં જ કાઢી નાખ્યાં શું કરું શું નહિ ?
દીપ્તિ ભણેલી હોવાથી એણે જોબ માટે કરણ ની પરવાનગી લીધી અને એણે નોકરી ચાલુ કરી પણ એનો પગારધોરણ ઓછો હોવાથી ઘરના ખર્ચા અને લોન ના હપ્તા ભરવા એમ બંને સંભાળવું અઘરું પડતું હતું છતાં બંનેએ હિંમત ન હારી અને દીપ્તિ ની જોબ અને કરણ ને પણ ક્યાંક નાની જોબ મળી જતા બંનેના સહિયારા સાથથી થોડાથોડા પૈસા ભેગા થવા લાગ્યા અને ઘર સંસાર ફરી ચાલવા લાગ્યો.
આવું જ જ્યારે નાના દીકરા મોનાર્ક સાથે બન્યું ત્યારે એને દારૂ અને સિગારેટની આદત પડી ગઈ અને ખોટા રસ્તે ચડી ગયો.
આ વાતની જાણ એમના બંને મોટાભાઈ ને થઈ ત્યારે કરણે નિર્ણય કર્યો કે હવે માતાપિતા ભેગા રહી એમની સેવા ચાકરી કરી આશીર્વાદ લેવા કેમકે માતાપિતા ના આશીર્વાદ જ હતા કે મિહિરની ઓફિસમાં ઘણી મોટી ખોટ ગઈ હોવા છતાં મિહિરની નોકરી પર જરા પણ અસર ના થઈ. એક સમયે તો એનો જીવ પણ તાળવે ચોંટી ગયો હતો કે આગળ નોકરી છૂટી જશે તો પરિવારનું પેટ કેમ ભરીશ.
આમ ત્રણેય દીકરાના જીવનમાં પડતી આવ્યા બાદ ત્રણેય ને એક સાથે ભાન આવ્યું કે સાથે હોઈશું તો કોઈપણ મુશ્કેલીથી જીતી શકશું અને જો અલગ રહીશું તો એક નાની મુશ્કેલી પણ મનોબળ તોડી આપણને પછાડશે માટે હવે કરણ દીપ્તિ,અને મોનાર્ક અર્ચના માધુભાઈ અને પ્રેમિલાબહેન સાથે રહેવા આવી ગયા.
ઈશ્વરની પણ ખબર નહિ શું ઈચ્છા હોય તે જ્યારે સહ પરિવાર ભેગા મળી રાજી ખુશીથી રહેવા લાગ્યા એ વાત માધુભાઈ નું હૃદય સહન ના કરી શક્યું અને એક દિવસ અચાનક એ ચિરનીંદ્રામાં પોઢી ગયા.
આ આઘાત પ્રેમિલાબહેન માટે અસહ્ય હતો એ દિવસે દિવસે વધુ ને વધુ એકલા રહેવા લાગ્યા તથા બધા સાથે જરૂર પૂરતી જ વાત કરતા આ બધું જોઈ એમના દીકરા અંદરોઅંદર ખૂબ દુખી થતા એમને એમના બા ને આ પરિસ્થિતિ થી બહાર કાઢવા હતા માટે એમને એ ફરવા લઈ જતા કે જાત્રા કરાવવા લઈ જતા કે એમને સત્સંગમાં જવાનું કહેતા પણ પ્રેમિલાબહેન આ બધાની ના જ કહેતા અને એમ કહેતા કે હું ક્યાંય નથી જવા ઈચ્છતી બસ મને માધુભાઈની યાદ સાથે એકલી રહેવા દો ..
એક દિવસ અર્ચનાના મનમાં વિચાર આવ્યો કે જો આપણે બા ના બીજા લગ્ન કરાવીએ તો કેવું રહે કેમ કે જે વાત અને જીવનની મજા જીવનસાથી સાથે આવે એ અન્ય કોઈપણ સાથે ક્યારેય ન આવે. શરૂઆતમાં આ વાતનો સૌ કોઈએ વિરોધ કર્યો પણ એક બે અઠવાડિયા પછી પણ બા ના વર્તનમાં કોઈ ફેરફાર ન જોયો ત્યારે સૌને એ વાત માનવી પડી કે હવે જો આપણે બા ની છત્રછાયામાં જ રહેવું હોય તો બા ના બીજા લગ્ન કરાવવા જ પડશે.
થોડા દિવસ પછી એક જગ્યાએ થી સમાચાર આવ્યા કે બિપીનભાઈ કરીને કોઈ ભાઈ એકલા જ છે એમને એક પત્નીની જરૂર છે એ અંગે વધુ તપાસ કરવામાં આવી અને બધી માહિતી મળતાં ખબર પડી કે એ પણ બા ની જેમ એમની પત્ની ની યાદો સાથે જ જીવન જીવવા ઈચ્છે છે અને એમની દીકરી એમને આમ કરતાં રોકવા માટે એમના બીજા લગ્ન કરાવવા એવા નિર્ણય પર પહોંચી છે.
આ વાતની મિહિરે ઘરમાં બધાને જાણ કરી અને બધાને આ વિગત બા માટે અનુકૂળ લાગી કરણ, મિહિર અને મોનાર્ક ને તો એમાં બીજી પણ એક ખુશી ભળવાની હતી કે જો આ લગ્ન થાય તો એમને રાખડી બાંધવાવાળી કોઈ બહેન પણ મળે માટે બધા એ આ સંબંધ પર એમનો હા માં મત આપ્યો હવે સવાલ એ થયો કે બા ને આ અંગે કોણ જાણકારી આપે બા ને આ માટે કોણ રાજી કરે.
અંતે નિર્ણય કર્યો કે બા ને આ અંગે નિહારિકા વાત કરશે અને એના પછી વધુ સમજાવવાની જવાબદારી કરણને સોંપાઈ.
બા સાથે વાત કરવા નિહારિકા ને ખૂબ ડર લાગતો હતો કેમ કે પુત્રવધુ થઈને બા સાથે એમના બીજા લગ્નની વાત કરવી જેટલી એક પુત્ર માટે અઘરી એના કરતાં એની માટે તો વધુ અઘરી છે.
એક દિવસ નિહારિકા બા માટે એમના નાસ્તાની ડીશ લઈને એમના રૂમમાં ગઈ અને વાત કરવા માટે ખૂબ મનોમંથન કરવા લાગી કે કરવી કે ના કરવી શું કરવું અને એના ચહેરા ના હાવભાવ બા વર્તી ગયા. એમણે પૂછ્યું દીકરી એવી કંઈ વાત છે જેને લઈને તું આટલી બધી મૂંઝવણમાં છો ધીરે ધીરે એણે વાતની શરૂઆત કરી જેની શરૂઆત એણે બાને એક પ્રશ્નથી કરી જે પ્રશ્ન હતો બા જીવનમાં જીવનસાથીનું મૂલ્ય કેટલું ?
બા એ એનો ખૂબ જ સુંદર ઉત્તર આપ્યો કે જીવનસાથી એટલે એક રથના બે પૈડાં આગળ કહ્યું કે બેટા ઘર વિના રહેવાય પણ વર વિના ન રહેવાય.
નિહારિકાએ આ તક ઝડપી અને બા ને પૂછી લીધું કે બા તમને યોગ્ય જીવનસાથી મળે તો શું તમે બીજા લગ્ન કરશો ? થોડીક વાર બા કઈ ના બોલ્યા પછી નિહારિકા જવાબ માટે રાહ જોવે છે આ વાતની જાણ થતાં એમણે કહ્યું કે મારા સાથે જીવનસાથીની યાદો તથા તમે ત્રણ પુત્રવધૂઓ અને પુત્રનો પ્રેમ પૂરતો છે મારે જીવન જીવવા.
નિહારિકા બોલી બા અમે તો બધા તમારી પાસે છીએ અને તમારું ધ્યાન રાખવા હંમેશા હાજર છીએ પણ શું એવી કોઈ વ્યક્તિ જે તમારા વિચારો, તમારી તકલીફો ને સમજે એવું વ્યક્તિ મળી જાય તો શું તમે બીજા લગ્ન કરશો ? ફરીવાર એક જ સવાલ થતા હવે પ્રેમિલા બહેન પાસે આ વાતનો કોઈ જવાબ ના હતો એમણે વાતને અહી જ પૂર્ણવિરામ લગાવવા નિહારિકાને કહ્યું કે એ વાત પર આપણે આગળ ક્યારેક વાત કરીશું .હવે તમારે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે તો તમે તમારું કામ કરો અને હું માળા કરવાની બાકી છે એ કરી લઉં.
નિહારિકા વધુ કંઈ ન બોલવું અને અત્યારે એટલું ઘણું એમ સમજી એ બાના રૂમ માંથી બહાર નીકળી ગઈ. બહાર કોઈ પરિણામની રાહ જોતા બાળકોની સ્થિતિ હોય એમ ઘરના અન્ય સદસ્યો નિહારિકા શું બોલે છે એ માટે પોતપોતાના સઘળા કામ છોડી હૉલમાં આવી ગયા. નિહારિકા બોલી કે બા એ એમ કહ્યું આ અંગે એ પછી વાત કરશે.
બધા ના ચહેરા થોડા નિરાશ થઈ ગયા.
હવે વારો હતો કરણનો. બધાને કરણની વાત બા જરૂર માનશે એમ વિશ્વાસ હતો પણ કરણ બોલ્યો હમણાં હવે બે દિવસ બા સાથે કોઈ આ વિશે ચર્ચા ના કરશો એ ખુદ બા પાસે બે દિવસ પછી ચર્ચા કરશે આ વાત બધાને યોગ્ય લાગી એટલે કોઈએ એમાં એમનો વિરોધ ના દર્શાવ્યો.
બે દિવસ પછી કરણ બા ને સમજાવવા ગયો હવે બા પણ સમજી ગયા આ લોકો આમ નહિ સમજે માટે હવે આ વિશે એક વખત બધાની સામે જ વાત કરવી પડશે માટે બા એ કહ્યું તું બહાર જા અને બધાને બોલાવ હું ત્યાં આવીને બધા વચ્ચે જવાબ આપીશ.
બધા હોલમાં એકઠા થયાં અને બા એમના રૂમમાંથી બહાર આવ્યા સૌ પ્રથમ બા એ કહ્યું પહેલા નિહારિકા હવે કરણ હજુ કોણ આ અંગે એમના મત રજૂ કરવા ઈચ્છે છે કોઈપણ કંઈ બોલે એ પહેલા તો પાછળથી અવાજ આવ્યો હું.
બિપિનભાઈ આવ્યા બા તો એમને જોતા જ રહી ગયા બિપિનભાઈ ના પપ્પા અને બા ના પપ્પા એક સમયે ખૂબ સારા મિત્રો હતા માટે બા એ સીધું જ પૂછ્યું કે તારે શું કહેવું છે ? તું અહીં શું કરે છે ?
બિપીનભાઈ બોલ્યા દીકરાઓ અને એમની પત્નીઓ તમે અમને એકાંત આપી શકશો વાત કરવા તો અમારા માટે યોગ્ય રહેશે. બિપીનભાઈના આમ કહેવાથી બધા એ હૉલ ખાલી કરી એક રૂમમાં જતા રહ્યા. હવે હોલમાં ફકત બા અને બિપીનભાઈ જ હતા બંને એક બીજાને ઓળખતા એટલે શું કર્યું એટલા વરસ ક્યાં હતા એવું પૂછવા લાગ્યા બા. બિપીનભાઈ પણ એમની જીવન કહાની કહેવા લાગ્યા એ બંને ની આમ વાતો ચાલતી હતી ત્યાં રૂમમાં બધા આશ્ચર્યચકિત હતા કે કોણે બિપીનભાઈને અહી બોલાવ્યા એમ.
બધા એકબીજા સામે જોતા હતા એટલે કરણ બોલ્યો કે તમારા બધાના મનની વાતનું સમાધાન મારી પાસે છે. મેં બિપીનભાઈને અહીં બોલાવ્યા છે.
થોડીવાર પછી રૂમના દરવાજે ટકોરા પડ્યા અને બધા રૂમની બહાર ગયા અને બિપીનભાઈ એ નિર્ણય સંભળાવ્યો કે હું તમારા બા સાથે લગ્ન કરવા તૈયાર છું અને એ પણ મારી સાથે આગળનું જીવન પસાર કરવા તૈયાર છે.
આમ બંનેની સહમતીથી એક અઠવાડિયામાં બંનેના મંદિરમાં રાજીખુશીથી લગ્ન કરી દેવામાં આવ્યા. હવે બંને એક સાથે ભજન મંડળી કે જાત્રા કરવા જાય છે. આમ બા ને નવું જીવન મળ્યું જેથી બા ખુશ રહેવા લાગ્યા અને બાની તંદુરસ્તી પણ પાછી આવી. હવે બા એકદમ ખુશ રહેવા લાગ્યા જે માધુભાઈના જવાથી એકદમ ગુમસુમ થઈ ગયા હતા.
