અનાથ
અનાથ
શુ રાધીના માબાપ પાછા મળ્યા....? અર્જુને બાળપણમાં માં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી... બેન રાધીના જવાબદારી.... શુ કરશે અર્જુન..... શું શિવાંગીની મા બનવાની ઈચ્છા અતૃપ્ત રહેશે? લાગણીની કશમકશ લઈને આવે છે.... અનાથ...
પાણીના રેલાની જેમ દોડતી મર્સિડીઝની ગતિ થોડી ધીમી કરી, ઓમે શિવાંગીની તરફ અછડાતી નઝર કરી લીધી. હજુ એની આંખોમાં ભીનીભીની મૌસમ છલકાતી હતી. ક્યારેક ડુસકાઓ તો ક્યારેક ડૂમો બની શિવાંગીનાં કંઠમાં વેદનાઓ સમાઈ જતી. વિધિની વક્રતાએ બંન્નેને હચમચાવી મુક્યા હતા. ઓમ તો થોડો સ્વસ્થ થયો, પણ શિવાંગીનો ફૂલ જેવો ચહેરો વેદનાથી ગોરંભાયેલા આકાશ જેવો હતો. રસ્તા પરના પાણીની છાલકો ગાડીની ગતિને અવરોધતી અને હૃદયને ભીંજવી જતી. અનાયાસે એની નઝર પાછળની સીટ પર સુતેલા બે નાના-નાના ફૂલ પર પડી. નાનકડા પાંચ વર્ષના ભાઈની ગોદમાં બે વર્ષની માસુમ બેન માથું ઢાળીને સુતી હતી. એના ચહેરા પર માસુમિયત અને વિસ્મય છલકાતા હતા. બંધ આંખોમાં કેટલી નિર્દોષતા સમાયેલી હોઈ છે એ વાત આજ ઓમને નાનકડી રાધીને જોઈને સમજાણી. અર્જુન, ઉમરમાં પાંચ જ વર્ષનો પણ ભારે સમજ્દાર. આંખો બંધ કરી સીટને ટેકો દઈ સુતેલા અર્જુનના ચહેરા પર ચિંતાની લકીરો, કુદરતે મારેલા તમાચાની લકીરો સાથે સાથે અનાથનું લેબલ સ્પષ્ટ દેખાયું.
અચાનક થયેલી હેડલાઈટે ઓમને વિચારોમાંથી જગાડ્યો, જોરદાર ઝટકા સાથે ગાડીને બ્રેક મારી, અને સાઈડમાં ઉભી રાખી દેવી પડી.. શિવાંગી પણ ભયભીત થઇ ગઈ. પાછળની સીટ પરથી રાઘી નીચે પડી ગઈ અને અર્જુન સફાળો જાગી ગયો. શિવાંગીએ રાધીને છાની રાખવા તેડી લીધી , અર્જુન પણ સજળનેત્રે એ બંન્નેને તાકી રહ્યો. માતૃત્વનું ઝરણું શિવાનીના હૃદયમાંથી વહેતું વહેતું રાધીના માસુમ ચહેરાને ભીંજવતું હતું. ઓમની આંખોનો બંધ છલકાઈ ગયો અને અશ્રુધારાઓએ વરસાદ સાથે તાલ મિલાવ્યો. બહાર પણ વરસાદ અને અંદર પણ વરસાદ.એ વિચારમાં ગરકાવ થઇ ગયો. ‘કુદરત પાસે માણસ કેટલો લાચાર.’ ઓમે એક ડૂસકું મુક્યું. થોડા દિવસ પહેલા જ કેવા સુખના મહાસાગરમાં બન્ને હિલોળા લેતા’તા... કોઈ કમી નહોતી ઘરમાં.
ઓમનો પ્રાઇવેટ બીઝ્નેસ અને શિવાંગી હાઉસ–વાઈફ. ઓમની ફટાકડા બનાવવાની ફેકટરીમાં પચાસ જેટલા તો મજુરો સવાર-સાંજ કામ કરતા. તાજા-તાજા લગ્ન થયા હોવાથી ઓમ અને શિવાંગી કાશ્મીર, ધરતીના સ્વર્ગ પર તો હનીમુન કરવા નીકળી ગયા હતા. ઓમને એના મેનેજર મિ. મેહતા પર પૂરો ભરોસો એટલે કોઈ પણ જાતની ચિંતા જ નહોતી. લગભગ એક મહિના સુધી બન્નેએ હિમાલયના શિખરો વચ્ચે પ્રેમનાં સાવનની ઝડીઓમાં ભીંજાઈને આનંદની અનુભૂતિ કરી. પ્રકૃતિના સાયુજ્ય વચ્ચે શિવાંગીનું જોબન ભરપુર ખીલ્યુ હતું, પછી તો પૂછવું જ શું ? એક બાજુ શિવાંગી ને બીજી બાજુ કાશ્મીરી સૌન્દર્ય. મન ભરીને ઓમે પ્રકૃતિની ગોદમાં શિવાંગીનો સહવાસ માણ્યો. આખરે ધરતીનો છેડો ઘર એ ન્યાયે બન્ને પૂર્ણતાને પામી ઘરે પાછા ફર્યા ને ફરી શરુ થઇ ગઈ એજ રોજીંદી ઘટમાળ. ઓમ સવારથી જ ફેકટરીમાં જતો રહે ને શિવાંગી ઘરે રોજ કઈ નવું-નવું વાંચે.
અને આખરે કુદરતને આ એકસામટા સુખની ઈર્ષ્યા આવી હોઈ એમ એના જીવનમાં દુખની એક કાંડી ચાંપી, અને બધું જ ભડ ભડ સળગી ઉઠ્યું. મિ. મેહતા , ફેકટરીના મેનેજર આમ તો વિધુર પણ સ્વભાવના ખુબ જ સાલસ. ઓમ એને મોટા ભાઈની જેમ રાખતો. નાની ઉમરમાં પત્નીએ સાથ છોડ્યો એટલે સાવ ભાંગી જ પડ્યા’તા, પણ નાનકડી રાધી અને અર્જુનને જોઇને ફરી જીવનની ઘટમાળમાં જોતરાયા હતા. ખુબ લાડ લડાવતા મેહતાજી એ બન્નેને. રાધીની મુસકાનમાં એને મૃત પત્ની વિદીશાનો ચહેરો દેખાતો. રાધી એટલે સાક્ષાત વિદિશાનું બીજું રૂપ. અર્જુન-રાઘીને ક્યારેય માની ખોટ વર્તાવા નાં દીધી એવા મિ.મહેતાનાં હોઠ હંમેશા ગણગણતા, “મારી લાડકીને ખમ્મા ...ઘણી મારી દીકરીને ખમ્મા .... ઘણી, તુને ખમ્મા ઘણી મારી લાડક્ડીને ઘણી ખમ્મા.” પણ કહેવાય છે ને કી સારા માણસની અહિયાં જરૂર છે એમ ઉપર પણ વધારે જરૂર હોઈ છે. એ લાડ્કડીને વધારે લાડ કરાવે એ પહેલા તો ભગવાને એને લાડ કરવા બોલાવી લીધા.
બન્યું એવું કે એક દિવસ રવિવારે અર્જુન અને રાધીને લઈને મિ મહેતા ફેકટરીએ પહોચ્યા. બંને બાળકોને બહાર ફૂલોના ક્યારા પાસે બેસાડી પોતે કામદારોને પગાર કરવાનો હોઈ અંદર જાય છે. એની અર્જુન-રાઘી સાથેની આખરી મુલાકાત. રાધી અર્જુનની સાથે રમવા લાગી ને ત્યાજ ફેકટરીમાં અચાનક ભયાનક વિસ્ફોટ. દારૂખાનું ધડાધડ ફૂટવા લાગ્યું. ભયાનક આગની જ્વાળાઓએ થોડીવારમાં તો આખી ફેક્ટરીને ભરડો લઇ લીધો. કામદારોને મજુરો ભાગ્યા, પણ આખરે ચાર મજુરો જીવતા ભૂંજાઈ ગયા. મજુરોને બચાવવા જતા મિ.મહેતા પણ એ આગમાં, ...અને કુદરતે અર્જુન-રાધીના માથેથી માતાનું છત્ર તો પહેલા જ લઇ લીધું હતું, આજે આ ગોઝારી ઘટનાએ પિતાની છત્રછાયા પણ છીનવી લીધી. એ દિવસે અર્જુનની હાલત જોઈ ના શકાય એવી હતી. રાધીને ભેટીને ક્યાંય સુધી એ ફેકટરીના મેદાનમાં કલ્પાંત કરતો રહ્યો. ‘પપ્પા... પપ્પા’ની કાળજું કંપાવે એવી ગગનભેદી ચીસોએ આકાશને પણ વરસાવી દીધું. અંતે રાધીને લઇ એક ખૂણામાં આંસુ સારતો બેસી ગયો. કઠણ કાળજાના માણસને પણ હચમચાવી મુકે એવી ઘટનાએ અર્જુન, ઓમ, અને શિવાંગીને હચમચાવી નાખ્યા. આખરે નિરાધાર અર્જુન-રાધીને પોતાના ઘરે લઇ આવ્યો અને પછી શરુ થઇ એક કશ્મકશ.
હવે અર્જુન-રાધીનું શું ? આર્થિક નુકસાન તો ઠીક છે પણ આ મહામુલી બે જિંદગીનું શું કરવું.? મી.મેહતાના ગામડે ખબર કર્યા પણ કોઈ સગા-સંબંધી આ વસમી ઘડીમાં સામે ના આવ્યા. શિવાંગીની આંખોના આંસુ સુકાતા નહોતા. રાધીને જોઈ પોતે ગુનેગાર હોઈ એવો ભાવ શિવાંગીને કોરી ખાતો, શિવાંગીને સારા દિવસો જાય છે, પણ કોઈને એનો લેશમાત્ર આનંદ નથી. ઓમ પણ ગ્લાની અને વિષાદમાં ઘેરાયો છે.
આખરે શિવાંગીનાં માતાપિતાએ અર્જુન-રાધીને અનાથાશ્રમમાં મુકવાની ફરજ પાડી. અનિચ્છાએ, ભગ્ન હૃદયે આજ બંને અર્જુન-રાધીને લઇ અનાથાશ્રમમાં મુકવા જઈ રહ્યા છે. અને એની નજર ફરીથી અર્જુનનાં મજબૂર ચહેરા પર પડી, કેટલી સહનશીલતા ! આ બાળકે બધું પચાવી લીધુ હતું. આખરે ઔપચારિક વિધિ,પેપરવર્ક કરી અર્જુન-રાધીને અનાથાશ્રમમાં મૂકી બંન્ને ભારે હૃદયે બહાર આવ્યા.શિવાંગીની આંખો સુકાતી નહોતી. એને રાધીને પોતાની પાસે રાખવી હતી,પણ પોતાના જ માં-બાપે એને મજબુર કરી એનો એને વસવસો હતો. અનાથાશ્રમ છોડતી વખતનો અર્જુનનો વિષાદમય ચહેરો એના માનસપટ પરથી ભુસાતો નહોતો. સમય સમયનું કામ કરતો રહ્યો. ત્રણેક મહિના પછી શિવાંગીને પેટમાં દુખાવો ઉપડ્યો. ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ નીમાબેન શાહની હોસ્પીટલમાં શિવાંગી દાખલ કરવામાં આવી. હાલત ચિંતાગ્રસ્ત કારણકે બાળક પ્રિ-મેચ્યુર અને મસ્તકના વિકાસ વિનાનું હોવાથી તાત્કાલિક ઓપરેશન કરી દુર જ કરવાની ડો. શાહની સલાહ, નહિ તો શિવાંગીને પણ ખતરો. આખરે ઓપરેશન, બાળક મૃત હાલતમાં ઉપરથી લેવાયું અને શિવાંગીને બચાવી લેવાઈ.
‘મિ. ઓમ પંડ્યા, એક ખુબ સિરીઅસ વાત, ડો. નીમાબેને ચિંતાગ્રસ્ત ચહેરે કહ્યું.
‘કુદરત સામે આપણે લાચાર છીએ, મિ.ઓમ, “હવે શિવાંગી ક્યારેય માતૃત્વ નહિ ધારણ કરી શકે,” ડો.નીમાબેનનાં શબ્દોએ જાણે કે ઓમ પર વજ્રાઘાત કર્યો.
‘ઓહ, માય ગોડ.’
“અને હા, આ વાત હમણાં શિવાંગીને ના કરતા.” ડો. શાહના શબ્દો એણે સાંભળ્યા ન સાંભળ્યા, ને એ ત્યાંજ બેસી પડ્યો. અઠવાડિયા પછી શિવાંગીને હોસ્પિટલમાથી રજા આપાઈ. એક ગમગીની સાથે સૌ ઘરે. ખુબ થાકેલી, અશક્ત શિવાંગી પથારીમાં પડતાજ ઘસઘસાટ ઊંઘી ગઈ. સવારે એના કાનમાં કોઈ ગીતના શબ્દો સંભળાયા.
“મારી લાડકીને ખમ્મા ...ઘણી મારી દીકરીને ખમ્મા .... ઘણી, તુને ખમ્મા ઘણી મારી લાડક્ડીને ઘણી ખમ્મા.” દોડીને શિવાંગી અર્જુન-રાધીને વળગી પડી. ત્રણેય અનરાધાર અશ્રુની હેલીમાં ક્યાંય સુધી ભીંજાયા કર્યા. હવે રાધીને અર્જુન અનાથ નહોતા...