આશ્રિત જીવન
આશ્રિત જીવન
બૂમ પાડીને કાનજીભાઈ ને કીધું, "આ ટિફિન લઈ જાઓ....કોક માણસને આપી દેજો."
કાનજીભાઈ આખી વાત સમજી ગયા એટલે એમને ટિફિન લઈ ને માણસને આપી દીધું. કારણ કાનજીભાઈ પણ જાણતા હતા કે મારા અને પપ્પાની વચ્ચે આજે બોલાચાલી થઈ હતી.
એમાં આજે એવું થયું હતું કે દરરોજ હું સવારે વહેલો ધંધા પર જતો હોવું અને પપ્પા એકાદ કલાક મોડા આવે.
આજે એવું થયું... જેવો હું ધંધા ઉપર ગયો અને દિવાબત્તી પતાયા ત્યાં જ એક વેપારીનો ફોન આવ્યો. એક ધંંધાકીય નિર્ણય લેવાનો હતો.
અત્યારે પપ્પા રસ્તામાં હશે એટલે ફોન પણ ઉપાડવાના નહોતા. મેં સમજી વિચારીને વેપારી પાસે અમુક પ્રશ્નો પર ચર્ચા કરીને નિર્ણય જણાવી દીધો.
આ...જ... મારી...મોટી...ભૂલ...
અડધો કલાક થયો પપ્પા આવ્યા. દીવો કરીને એમની જગ્યાએ બેઠા. વેપારીવાળી વાત જણાવી. પપ્પાએ તો બબડાટ ચાલું કર્યો પછી...
પપ્પાએ વેપારીને ફોન કરીને કહી દીધું, "તમારે આની કોઈવાત સાંભળવાની નહીં અને જો પાસા ઊંધા પડે તો મારી કોઈ જ જવાબદારી નહીં."
મેં પપ્પાને કહ્યું કે, "આ રીતેનો નિર્ણય લીધો એમાં મેં ખોટું શું કર્યું એ સમજાવશો...!"
પપ્પા ચિડાયા, "તને કંઈ ખબર નથી પડતી.... એટલે મને પૂછ્યાં વગર તારે કશાં..ય.. માં વચ્ચે પડવાનું નહીં."
હું પણ થોડો અકળાયો એટલેે મેં પણ સામે જવાબ આપ્યો, "પપ્પા.... આ ધંધામાં તમારા ૩૫ વરસ થયા અને મારે આ ધંધા પર બેસે ૨૦ વરસ થયા. તમારા અનુભવની સામે મારો અનુભવ બહું ઓછો પડે પણ મારો છોકરોય કોલેજમાં આવ્યો અને ૨૦ વરસથી તો હુંય આ જ ધંધા પર બેસું છું. એટલે મારા અમુક નિર્ણયો સાચા સમજીને સ્વીકારી લેવાનું રાખો."
પપ્પાનો તો પિત્તો ગયો, "નાલાયક...રોજનું થયું...સામેને સામે બોલે છે..કોણ કહે છે તને અહીં બેસવાનું?..... નીકળી જા..."
મેં પણ જવાબ આપ્યો, "તમે બધા ભાઈઓ ૨૦ વરસ પહેલાં છૂટા પડ્યા ત્યારે શું કરવા બોલાયેલો ? પા..છી.... આજે નીકળવાની વાત કરો છો. અને છોકરાની પરણવાની ઉંમરે મારે ઘરખર્ચ શોધવા નીકળવાનું? અને આટલા વરસ સુધી એકનો એક ધંધો કર્યો હોય તો બીજો ધંધો મગજમાં બેસે જ નહીં. જો એવું કંઈ થઈ શકતું હોય તો હું તમારા જવાબની રાહ પણ ના જોવું ? હવે ખબર પડી લોકો બાપાના ધંધે કેમ નહીં બેસતાં હોય..છોકરાઓને ગધેડા સમજીને હુકમ કરવાના......તમારા પડ્યા બોલ ઉપાડવાના અને ગાળો સાંભળવાની એ અલગથી....આ તે કેવો ન્યાય ?"
પપ્પા હાથ ઉગામવા જતા હતા.
ત્યાં ...જ સૌથી જુના માણસ કાનજીભાઈ એ વાત વાળતા કહ્યું, "માલિક પેલા વેપારી આવીને બેઠા છે."
અને પપ્પા અટકી ગયા. અને આંખો કાઢીને ગુસ્સો દબાવીને નીચે ચાલ્યા ગયા.
કલાક થયો...બે કલાક થયા.....
જમવાનો સમય થયો.
માણસે આવીને ટિફિન ખોલીને ગયો.
પણ........ ભગ્ન હૃદયે મગજમાં એક જ વિચાર આવતો હતો કે, "બધા ભાઈઓ જ્યારે છૂટા પડેલા ત્યારે મારું ભણેલું, મારા સપના અને અધુરૂં ભણતર છોડીને પપ્પા જોડે ધંધા પર બેસીને મેં ભૂલ તો નહોતી કરી ને ?"
ટિફિન ખાવાનું ચાલું કરતો જ હતો ત્યાં જમવાનો મૂડ જ રહ્યો નહોતો.
આ તો એક સંબંધીના ઘરની રામાયણનો એક કિસ્સો તમને સંભળાવ્યો પણ.... તમને એક પ્રશ્ન જરૂર પૂછીશ કે
"શું માત્ર મહીલાઓનું જીવન જ બીજા પર આશ્રિત (ડિપેન્ડન્ટ) હોય છે?"