પસ્તાવો
પસ્તાવો
એક ગામમાં એક મધ્યમ વર્ગનો પરિવાર રહેતો હતો. ઘરમાં પાંચ સભ્યો ચંદ્રેશ એની પત્ની બે બાળકો અને એની ઉંમરલાયક માતા. બે રૂમનું સરસ મજાનું ઘર બંને બાજુ બારણાંવાળું બાળકો નાના એટલે એક બારણેથી બીજા બારણે દોડા-દોડ કરે અને રમે જાય. નજીકમાં જ મહાદેવનું મંદિર એટલે સાંજે આરતી સમયે બાળકો અને ચંદ્રેશના માતા એટલે કે આ બાળકોના દાદી પણ સાથે મંદિરમાં જાય.
એક દિવસ બન્યું એવુ કે ચંદ્રેશને નોકરી છૂટી જાય એમ હતી જોકે એને ઘણીવાર નોકરી છુટેલી પરંતુ આ વખતે થોડી પરિસ્થિતિ અલગ હતી કેમકે બાળકોને ભણવા શાળા એ મુકેલા હતા એમની શાળાની ફી અને એમના ચોપડા-ચોપડીઓના ખર્ચા એટલે એ ચિંતામાં હતો. આડોશ-પાડોશના લોકો પહેલેથી આ બધુ જોતા અને એ લોકો સુખી પરંતુ ચંદ્રેશે કોઈ દિવસ હાથ લાંબો ના કરેલો. જે હોય એમાં ચલાવી લે અને એની પત્ની પણ એ રીતે જ રહે જાણે ઘરમાં કાંઈ તકલીફ ના હોય. હંમેશા બધા સાથે હસતા બોલતા અને સારો વ્યવહાર કરતા અને ખુશ રહેતા.
પરંતુ કહેવાય છે ને કેટલાક લોકોને બીજાની ખુશી દેખાતી નથી. હા આવુ જ બન્યું ચંદ્રેશના પરિવાર સાથે. ચંદ્રેશની ઘરડી માતાને આડોશ પાડોશના લોકોએ કાન ભરવાના ચાલુ કર્યા. જેના કારણે ચંદ્રેશની માતા ચંદ્રેશની પત્ની સાથે રોજ કંઈક ને કંઈક વાતે ઝગડવા લાગ્યા. પરંતુ ચંદ્રેશની પત્ની ખાનદાન અને સંસ્કારી એને આ વાતની ચંદ્રેશને ફરિયાદ ના કરી કે ના જાણ થવા દીધી એ વિચારીને કે ઉંમર છે બાની અને એના પતિ પણ થાકીને આવ્યા હોય અને એમને કેટલી ચિંતા હોય મગજ પર અને હું આવી રોજ રોજની નાની મોટી વાતો કરું તો ઘરનું વાતાવરણ બગડે.
એક દિવસ એવુ બન્યું કે ચંદ્રેશને નોકરી પરથી વહેલા ઘરે આવવું અને એજ દિવસે આડોશ પાડોશવાળાએ વધુ પડતા કાન ભરેલા. બાના તો બાએ એ દિવસે વહુની સાથે નઈ પણ ચંદ્રેશ સાથે બબાલ ચાલુ કરી અને એ બબાલમાં ચંદ્રેશને અને એની પત્ની વિશે તો બા જેમતેમ બોલવા લાગ્યા, જોરજોરથી આજુબાજુના બધા ભેગા થઈ ગયા. પણ બધા ઉભા ઉભા મજા લેતા હતા. ચંદ્રેશ માતાને જેટલાં શાંત પડવા માટે કહે એટલા જ માં વધારે જોરજોરથી બોલવા લાગે. હવે તો એમને છોકરાઓને પણ વચ્ચે લાવી દીધા. આરતીનો સમય બાળકો તો નાના એમને શુ ખબર આ શુ ચાલી રહ્યું છે એતો એમના સમયે આરતીમાં ચાલી નીકળ્યા પણ અહીંયા, અહીંયા તો એમના બા એમના વિશે જેમતેમ બોલવા લાગેલા.
ચંદ્રેશ સમજાવે કે માં અમે તારા બાળક છીએ ને તને કોઈ અમારા વિશે જેમતેમ બોલે તો તને સહન ના થાય. એમ તુ પણ મારા બાળક વિશે જેમતેમ બોલે તો મને પણ સહન ના થાય.તુ બોલવાનું બંધ કર તારે જે જોઈતું હોય એ સીધે સીધું કે અથવા જે તકલીફ હોય એ કે પણ આ કોઈ વાત વગરનો કજિયો ના કરીશ બધા જોઈ રહ્યા છે.આપણા ઘરની ઈજ્જત ઓછી થાય છે. પરંતુ મા ના સમજ્યા અને બધા ભેગા થયેલા જોઈ વધુને વધુ જોરજોરથી બોલવા લાગ્યા અને એ પણ બાળકો વિશે "જા તારા બાળકો રમતા રમતા પડી જાય ખેતરમાં જતા હોય ને કાળો નાગ કરડેને."
આવુ સાંભળતા ચંદ્રેશને એક તો નોકરી અને ઘર ચલાવાની ચિંતા અને ઉપરથી બાળકોનું આવુ સાંભળી વધુ ગુસ્સો ચઢ્યો એને માને કહ્યું "મા પગે લાગુ તુ આવુ ના બોલીશ. મને ગુસ્સો વધી જશે તો કોઈ ખોટું પગલું ભરાઈ જશે." પણ મા ના માની અને ફરી બોલી "જા તારું નખ્ખોદ જાય." ફરી ચંદ્રેશ બોલ્યો "માંઆ શુ બોલી રહી છે ચૂપ થા આ આરતી સમયે આવુ અશુભ ગણાય."
પણ માં તો બોલવાનું ચાલુ જ રાખ્યું. "તારા છોકરાને કાળો નાગ કરડેને મરી જાય. ચંદ્રેશ ગુસ્સે ભરાયો "મા જો હવે એક શબ્દ મારા બાળકો વિશે બોલીશ તો મારો હાથ ઉપડી જશે તારી પર." તો પણ માં ચૂપ ના રહી અને ચંદ્રેશ એના ગુસ્સા પર બાળકોના પ્રેમને લઈ કંટ્રોલ ના કરી શક્યો, ને મા પર હાથ ઉપાડી દીધો.
આડોશ પાડોશને જે અશાંતિ કરાવી હતી એ આજે પાર પડી. થોડાક સમય પછી બધુ શાંત થયું એટલે ચંદ્રેશને એની પત્નીએ બધી વાત કરી કે "મા મારી સાથે ઘણા સમયથી ઝગડી રહ્યાં હતા પણ તમને ખોટી ચિંતા ના થાય એટલે નહોતી કહેતી અને માને આ રીતે ઝગડા કરાવવામાં આજુબાજુવાળાનો હાથ છે. માંનો સ્વભાવ ભોળો અને સારો છે એનો ફાયદો આ લોકોએ ઉઠાવ્યો મા મારી સાથે રોજ ઝગડતા પણ હું શાંત રહેતી અને માંને સમજાવતી. પણ માં શાંત પડે એટલે આ લોકો બીજા દિવસે પાછા જોડે બેસાડી કાન ભરે આજે તમે વહેલા આવ્યા અને એમને ઝગડવું એટલે આવુ બન્યું. અને આજે એ બાળકો વિશે પણ જેમતેમ બોલ્યા એટલે તમે ગુસ્સે થયા અને હાથ ઉપડી ગયો. હું સમજુ છુ.ચંદ્રેશ એની પત્નીને કહેતા હા મારે મારા ગુસ્સા પર કંટ્રોલ રાખવા જેવો હતો. પણ આરતી સમયે મા બાળકો વિશે જેમતેમ બોલવા લાગ્યા અને સમજાવતા પણ ના સમજ્યા. એટલે મારાથી ગુસ્સામાં હાથ ઉપડી ગયો. પણ આ વાતને હવે આડોશ પાડોશ વધારી આખા ગામમાં ફેલાવશે અને આપણા ઘરની બદનામી થશે અને મને પણ આખી જિંદગી આ વાતનો પસ્તાવો રહેશે.