પસ્તાવો
પસ્તાવો


ભગવાનભાઈને આજે આમ આટલા શાંત જોઈ મંદિરના પુજારીએ પૂછ્યું, "કેમ ભગવાનભાઈ આજે આમ શાંત છો ? કોઈ તકલીફ તો નથી ને ?" હંમેશા હસતા અને હસાવતા ચેહરા ઉપર આજે આમ ઉદાસી કેમ છે ?" પૂજારી અને ભગવાનભાઈ એકબીજાના સારા મિત્રો બની ગયા હતા. કારણકે છેલ્લા કેટલાક સમયથી ભગવાનભાઈ દરરોજ સવારે ભગવાન શંકરના આ મંદિરમાં આવતા હતા.
સવારે ૯ વાગે આવે અને ૧૨:૩૦ સુધી મંદિરના ઓટલા ઉપર બેસી રહેતા. મંદિરે આવતા અબાલવૃદ્ધ સૌને તે બોલાવતા અને હસીને વાત કરતા. બપોરે ઘરે જાય અને સાંજે આરતીના સમયે પાછા આવી જાય. રાત્રે ૧૦ વાગે મંદિર બંધ થાય ત્યારે ઘરે જાય. આમ ભગવાનભાઈ નો નિત્યક્રમ હતો.
આજે ભગવાનભાઈ દરરોજ કરતા વેહલા જ મંદિર આવી ગયા હતા. અને એ પણ નવા પોશાક પહેરીને. જાણે કોઈ પ્રસંગમાં જવાનું હોય. પણ તેમનો ચેહરો કહી આપતો હતો કે તેમના મનમાં વિચારોનુ વાવાઝોડું ફૂંકાયું હતું. પુજારીએ ફરી પૂછ્યું,"કોઈના ત્યાં લગ્ન પ્રસંગ માં જવાનું છે કે શું ? આજે આમ આટલા તૈયાર થઈને આવ્યા છો ?"
ભગવાનભાઈ એ જવાબ ન આપ્યો. થોડા અસ્વસ્થ લાગી રહ્યા હતા. ૨-૫ મિનિટની ચૂપકીદી બાદ તેમને પોતાના વિચારોને શાંત કર્યા અને પૂજારીને કહ્યું કે "આજે મારી લગ્નની સાલગીરા છે. આજે મારા અને સુષમાના લગ્નને ૫૦ વર્ષ પૂરા થયા. પણ આજે આ શુભ અવસર પર મારી સાથે સુષમા નથી. અને પોતાના હૈયામાં છુપાવેલી વાતોને આજે પૂજારી સમક્ષ રજૂ કરી.
હું કોલેજમાં ભણતો હતો ત્યારે મારા માતા પિતાએ સુષ્માને એક પ્રસંગમાં જોઈ હતી. સ્વભાવે શાંત અને સરળ. અને રૂપે તો અપ્સરા પણ તેની સામે ઝાંખી લાગે તેવી. માતા પિતાએ તેને પેહલી નજરમાં મારી માટે પસંદ કરી લીધી હતી. પરંતુ મને તો હેમા ગમતી હતી પણ માતાપિતાની સામે હું બોલી ન શક્યો અને મારાને સુષમાના લગ્ન લેવાયાં. મારાને સુષમામાં આકાશ અને પાતાળમાં જેટલો ફરક છે તેવો ફરક હતો.
હું મોજીલો અને એ એકદમ સરળ. એ નવરાશની પળો માં ભગવાનની ભક્તિ કરવા વાળી. અને હું ભગવાનથી પરહેજ વાળો. સુષમાએ મારા માટે પોતાનો સ્વભાવ પણ બદલ્યો. તેની પ્રકૃતિ વિરુદ્ધ.ના કામ કર્યા અને મારા પૂરા પરિવારને સંભાળ્યો અને મને પણ. પરંતુ હું અને ક્યારેય ન્યાય ન આપી શક્યો. મારા માટે તો મારા માતાપિતા અને મારા ભાઈઓજ બધું હતા. સુષમા મને ઘણીવાર સમજાવતી હતી કે જેટલો સમય હું મારા ભાઈઓ અને તેમના સંતાનો માટે આપુ છું તેટલો સમય મારા સંતાનો આનંદ અને વર્ષા માટે પણ આપુ. પરંતુ હું એની વાતોને ક્યારેય સમજ્યો જ નહીં. સુષમા એ મારી દરેક પરિસ્થિતિમાંમાં મારો સાથ આપ્યો. લગ્નનાં થોડાં જ સમયમાં મારી જિંદગીમાં તકલીફોનો વંટોળ આવ્યો હતો. મારી નોકરી પણ છૂટી ગઈ હતી અને બચતની રકમ પણ ધીમે ધીમે પૂરી થઈ રહી હતી. ત્યારે સુષમાએ તેના ઘરેણાં વેચીને આનંદ અને વર્ષાને ભણાવ્યા. મેં પણ નાની મોટી નોકરી ધંધામાં હાથ અજમાયા અને અંતે મને એક જગ્યાએ સારી નોકરી મળી ગઇ. એ માટે પણ સુષમા એ જ ભલામણ કરી હતી.
મારા માલિક હિતેશભાઈનો હું હંમેશા આભારી રહીશ જેમના કારણે હું પોતાની અને પરિવારની જરૂરિયાત પૂરી કરી શક્યો. સુષમા અને મારા સંતાનોની હંમેશા એક જ ફરિયાદ હોતી કે હું તેમને સમય નથી આપતો પણ મારી
પાસે એનો એક જ ઉત્તર હોતો કે કામ તો કરવું પડે ને જ્યારે જરૂર હતી ત્યારે શેઠએ મને કામ આપ્યું તો હવે મારે તેમના માટે હાજર રહેવું પડે.
વર્ષા લગ્ન બાદ તેના પતિ સાથે અમેરિકામાં સ્થાઈ થઈ ગઈ. થોડા વર્ષો બાદ આનંદના પણ લગ્ન લેવાયાં. આનદ અને
તેની પત્ની ક્રિષ્ના પણ વર્ષાની સાથે અમેરિકામાં સ્થાઈ થઈ ગયા. મારા અને સુષમા વચ્ચે તો અમારા લગ્ન
થયા ત્યારથી જ મતભેદ થતાં હતા. જે ધીમે ધીમે મોટા ઝઘડામાં પરિવરતિત થઈ ગયા હતા. રોજ રોજના આમ ઝગડાના કારણે આખરે અમે કંટાળીને છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો.
સુષમા મને જતાં જતાં કહેતી ગઈ કે "તમને મારા ગયા પછી મારી કિંમત સમજાશે. પણ મારા મનમાં તો એની વાતની કોઈ અસર પણ થઈ હતી. આનંદ તેની માતાને આવીને અમેરિકા લઈ ગયો. અને મને એકલો મૂકી ગયા. એ લોકોના ગયા બાદ મને મારી ભૂલનો અહેસાસ થયો. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. અને મેં તો ગુસ્સામાં એમ પણ કહી દીધું હતું કે હવે તમારો ને મારો સબંધ પૂરો. આ ઘરના પગથીયા ઉતર્યા બાદ ક્યારેય પાછું વળીને જોતા નહિ.
હવે જ્યારે મારી પાસે સમય જ સમય છે તો એ સમયનો સહારો નથી. નથી સુષમા કે નથી મારા બાળકો. પસ્તાવો તો ઘણો જ થાય છે પણ હવે કંઈ થઈ શકે તેમ નથી. મેં એ લોકોને ઘણા દુઃખી કર્યા છે તો હવે મારે આ સહન કરવું જ રહ્યું. હવે તો મારા માબાપ કે મારા ભાઈઓ પણ નથી જેમના કારણે મેં મારા પરિવારને તરછોડ્યા હતા.
પુજારીએ આશ્વાસન આપતા કહ્યું કે, "જીવનમાં બધા જ સબંધો જરૂરી છે. પરંતુ ક્યારે કોને કેટલો સમય આપવો અને કેવી રીતે સાચવવા તે આપણા હાથમાં છે. આપણા પરિવારના લોકો જ પેહલા કામમાં આવશે. ભગવાન તમારું ભલું
કરે."