લૂંટેરો વરસાદ
લૂંટેરો વરસાદ
"મેઘના, એય છોકરી સાંભળ હવે વરસાદને જોવાનું બંધ કરી અંદર જા. આ વીજળીના ચમકારા કંઈ તારા સગા નથી થતાં તે વરસાદ આવે ને સામૈયા કરવા દોડી આવે. જા અંદર જા." -સામેના બાલ્કનીમાંથી મણીબેન ગુસ્સામાં બોલ્યા અને ફરી હાથ જોડી કંઈક વિચારી આંખે આંસુ લુછતાં મેઘનાને અંદર જતી જોઈ હાશકારા સાથે અંદર ગયા.
ત્યાં જ વરસાદે જોર પકડ્યું જાણે આખા ચોમાસાનો હિસાબ આજે જ કરી નાખવાનો હતો. વાદળોના ગડગડાટ સાંભળતા ડાબા પગના પોલિયોના ભારને ખેંચતી મેઘના બાલ્કનીના દરવાજા પાસે આવી બેઠી. બાજુમાં પડેલ ફોટો ફ્રેમને પકડી આકાશ તરફ નજર માંડી જાણે વરસાદ સાથે વાત કરતી બોલી - "તારી શું દુશ્મની છે આજે પાછો શું લેવા આવ્યો ?"-એમ બોલી મનમાં જ એકાલતાનો ઊંડો શ્વાસ નાખતી તે ત્યાં જ સુઈ ગઈ.
અડધી કલાક બાદ પરેશે આવી તેને જગાડી. મેધાનાનો એકનો એક સહારો અને દુનિયામાં લોહીનો સંબંધ કહી શકે એવું વ્યક્તિ એટલે તેનો મોટોભાઈ પરેશ. બંને ભાઈ બહેન સાથે જમે છે ત્યાં જ મણીબેન આવી મેઘના પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. તેમની વાણીમાં ગુસ્સાથી વધુ ચિંતા છલકતી હતી. આ સાંભળી મેઘના પોતાના આંસુ રોકવા અસમર્થ બની અને જાણે વર્ષોની પીડા વાણીએ આવીને ઉભી રહી હોય એમ બોલી - "માસી આ વરસાદની શું દુશ્મની છે. મા -બાપુએ આખી જવાની પતરાના ટપાકતા પાણી નીચે વેઠી. ભર ચોમાસે મારો જનમ થયો ને પગે પોલિયો લઇ હું આ દુનિયામાં આવી. છતાં બાપુ માનતા હતા કે મારાં પગલે ઘરના દિવસો બદલ્યા હતા. બે ભાઈની લાડકી બેન મા-બાપુ સાથે સુખી હતી ત્યાં જ વિધાતા એ ખેલના પાસા બદલ્યા હતાં.".
આટલું સાંભળતા જ પરેશ અને મણીબેન પણ ચોધાર આંસુએ રડી પડ્યા.
પરેશ - "મેઘા જે થયું એ જ આપણું નસીબ હતું. પણ હું છે ને હું તને છોડીને ક્યાંય નહિ જાઉં."
મેઘના - "વિધિના લેખ જો ! આપણા સુખી પરિવારમાં મોટાભાઈને કેન્સરનો રોગ આવ્યો. ઘરનું કારભાર અને ઘરડા મા-બાપુનો સહારો જોખમે આવી ગયો. પૈસાના લીધે ઓપરેશન ના કરાવ્યું અને આપણે મૂકીને જતાં રહ્યા. યાદ છે ભાઈ તે દિવસે આ જુલ્મી વરસાદ એવો આવ્યો કે મારાં ભાઈનું કફન મળવું પણ કઠિન થઇ ગયું હતું. આટલાથી વિધિનું પેટના ભરાયું કે મોટાભાઈના વિરહમાં માની માનસિક હાલત બગડી ગઈ. અને કેમ ના બગડે ઘરનો સહારો એક જ હતો.એ જ ચાલ્યો ગયો તો હવે આપણું કોણ ?"
મણીબેન - "હા દીકરી તારી માઁ ઘરે ઘરે જઈ તારા ભાઈને શોધતી અને એક દિવસ પરમધામમાં શોધવા જતી રહી. જે થવાનું હતું તે થઇ ગયું વિધિના લેખ આપણે બદલી ના શકીએ. હવે ભાઈ બેન સુઈ જાવો. જાજી ચિંતા ના કરતા."
મણીબેન જાય છે ત્યાં ફરી માટીની ભીની સુગંધમાં મેઘનાને ભૂતકાળમાં ખેંચી ગયા.
"મોટાભાઈ અને માના મરણ બાદ વેઠેલા દિવસો કેવા કપરા હતા ! બાપુ તો જાણે સન્યાસી જ બની ગયા હતા. પરેશભાઈ પાસે કામ ન હતું. અને જે હતું તે બધું મોટાભાઈની દવામાં વહાવી દીધું હતું. ઘરડા બાપુએ નજરે જુવાન જોધ દીકરાની નનામી જોઈ. વૃદ્ધાવસ્થાનો સહારો મા પણ ચાલ્યા ગયા. બાપુ એવા ભંગ્યા કે આ આંગણેથી બાપુનીજ નનામી ઉઠી ગઈ ! રહી ગયા તો પરેશભાઈ અને તેનો બોજ ગણાતી હું."
મેઘના વિચારોના વાયુમાં એવી પરોવાઇ કે નિંદ્રાના શહેરમાં જ ખોવાઈ ગઈ.
આ બાજુ મણીબેન ઘરે આવી મંદિરમાં ઈશ્વરને પ્રાર્થના કરતા - "હેં દીનાનાથ, આ છોકરી એ એવા તે કેવા પાપ કર્યા કે એક વર્ષમાં જ ત્રણ નનામી ઉઠતી જોઈ. આવા દુઃખથી તો કોઈ પણ ભાંગી પડે પણ વાલા આ પોલિયોવારી દીકરી પર તને દયા ના આવી કે તે ડાબે અંગે લકવો પણ ભેટ ધર્યો.વરસાદ આવતા જ મેઘનાનું વર્તન વિચિત્ર બની જાય છે. જાણે કોઈ લૂંટારો તેની તરફ આવી રહ્યો હોય. માનવ મન પણ અજીબ છે, સુખ હોય કે દુઃખ તેની સાથે જોડાયેલ કુદરતી કડીને પણ જવાબદાર સમજી બેસે છે.બસ તે દિવસથી આ ફુલ જેવી હસતી દીકરીએ વરસાદ સાથે વેર બાંધી લીધું હતું.