કપાતર
કપાતર


પ્રણિતીના લગ્નને આજે આઠ વરસ થયા. આ આઠ વરસમાં એણે દિવ્યેશને ને એના ઘરને પોતનું સર્વસ્વ સોંપી દિધું. ના,ઘર ન કહી શકાય આને. આ તો રીતસરનો મહેલ હતો. દિવ્યેશના પપ્પા, દલપતરાયના નિધનને એક વરસ થયું હતું. દિવ્યેશ આમ તો કરોડપતિ બાપનો રખડેલને બગડેલ છોકરો કહી શકાય. પણ છતાય દલપતરાયને રૂપાંદેબાના સંસ્કાર ક્યાંય કામ આવી ગયા;કે કોઇ ગયા જનમના પુણ્ય કહો તો પુણ્ય, પણ દલપતરાય મૃત્યુ પછી દિવ્યેશે ખૂબ ઓછા સમયમાં એમનો બહોળો કારોબાર સંભળી લીધો હતો. એ ૨૪ વરસનો થયો ત્યારે રૂપાંદેબાએ દલપતરાયના વિરોધમાં જઇને દિવ્યેશના લગન પ્રણિતી સાથે નક્કી કર્યા. દલપતરાયને પ્રણિતી પસંદ નહોતી એવું નહોતું, પણ પોતાના દિકરાને એ ઓળખતા હતા. એ દિવ્યેશના પાછળ આવનારીની જિંદગી બરબાદ કરવા માંગતા નહોતા. પણ રૂપાંદેબાએ આશ્વાસન આપ્યું કે લગ્ન પછી દિવ્યેશ સુધરી જશે. એમની જીદ આગળ આખરે દલપતરાયને ઝુકવું પડ્યું ને ઘડીયા લગ્ન લેવાયા.
પ્રણિતી પણ ઠરેલ ને સમજુ હતી. પ્રણિતીના માતા-પિતા દલપતરાય જેટલા પૈસાવાળા નહોતા, પણ ખાધે - પિધે સુખી ઘર હતું. પ્રણિતી ખૂબજ દેખાવડી, સુંદર, એમ.બી.એ ભણેલી ઠરેલ છોકરી હતી. રૂપાંદેબાની પારખુ નજરે ઓળખી લીધું કે પ્રણિતી એમના બગડેલા છોકરાને ઠેકાણે લાવી દેશે. લગ્નના ત્રણ-ચાર મહિના તો હરવા ફરવામાં નિકળી ગયા. પછી ધીરે-ધીરે એ સાસરીમાં ગોઠવાઇ ગઇ. દિવ્યેશ પણ હમણાંથી જલ્દી ઘરે આવી જતો. રૂપાંદેબાને આ જોઇ હાશકારો થયો. પણ છએક મહીના પછી દિવ્યેશે પોત પ્રકાશ્યું. પ્રણિતી જાણી ગઇ કે દિવ્યેશ કેવો છે. એણે રૂપાંદેબાને પણ વાત પણ કરી. રૂપાંદેબા એ કહ્યું, "મને ખબર છે બેટા, એને આપણે સાચવી લેવાનો છે. આ ઘરની ઇજ્જત હવે તારા હાથમાં છે !" એમ બોલતા બોલતા એમની આંખમાં આંસુ આવી ગયા. પ્રણિતીની નજરથી નજર ન મિલાવી શક્યા રૂપાંદેબા ! પછીથી હમેશા એમને પ્રણિતીની આંખમાં અણિયારો સવાલ દેખાતો,"મારી સાથે કેમ આમ કર્યું,બા ?" કદાચ એથીજ એ પ્રણિતીને વધુ પ્રેમ આપવા લગ્યા હતા પહેલા કરતાં. દિવ્યેશ કરતા પણ વધુ...
એવામાં પ્રણિતીને સારા દિવસો રહ્યા. રૂપાંદેબાની ખુશીની સીમા ન રહી. મનમાં આશા પણ જાગી કે હવે કદાચ દિવ્યેશ સુધરી જાય. એમણે ઘરના મંદિરમાં જઇને કાનાનો આભાર માન્યો, ને સહુના મંગલની કામના કરી. ઘરમાં ખુશી છવાઇ ગઇ. દિવ્યેશના વર્તનમાં પણ સુધાર થયો હતો. એ હવે અઠવાડીયે એકાદ વખતજ રાતે બહાર રહેતો. પ્રણિતીનું ધ્યાન પણ રાખતો. ફરી એક આશા જાગી કે બાળક આવતા એ સુધરી જશે. આઠ-નવ મહિના એણે પ્રણિતીને ખુબ સંભાળી. દલપતરાય અને રુપાંદેબા પણ આ જોઇને ઠર્યા. ને એક દિવસ ઘરનો વારસદાર 'યશ' જ્ન્મ્યો. થોડો સમયતો દિવ્યેશ ઠીક રહ્યો. ઓફીસે તો નિયમિત જતો જ હતો. ઘરે પણ જલ્દી આવી જતો. યશને રમાડતો. પ્રણિતી સાથે સમય વિતાવતો. દોસ્તોની પાર્ટીઓમાં પણ ભાગ્યે જ જતો. ધીરે ધીરે યશ મોટો થવા લાગ્યો.પ્રણિતી યશ તરફ વધુ ધ્યાન આપવા લાગી, ને દિવ્યેશને એકલતા સતાવવા લાગી. એ અકળાવા લાગ્યો. આ અકળામણ, એકલતા દૂર કરવા એ ફરી મિત્રોની મહેફીલોમાં જવા લાગ્યો. રાત્રે મોડું આવવું, ઘરમાં કોઇની સાથે સ્રરખી રીતે વાત ન કરવી, દારુ પીવો વગેરે રોજનું થઇ ગયું હતું. રૂપાંદેબા અને પ્રણિતી સમજાવીને થાક્યા હતાં. એક બે વખત દલપતરાયે પણ સમજાવવાની કોશીશ કરી જોઇ, પણ દિવ્યેશે એમ કહી વાત ઉડાવી દિધી કે "હું ઓફીસ બરાબર બધું સંભાળું છું ને ? એમાં કઇં ભુલ હોય તો મને જણાવો. પણ આ મારો અંગત મામલો છે, તમે ન બોલો તો વધુ સારું. મને પણ મારી રીતે જીવવાનો અધીકાર છે !" દલપતરાય આ સાંભળીને ગુસ્સાથી લાલચોળ થઇ ગયા ને કહ્યું, "નિક્ળી જા મારા ઘરમાં થી !" પણ રૂપાંદેબાએ મામલો સંભાળી લીધો.
હવે દિવ્યેશ દિવસે ધંધામાં રચ્યો પચ્યો રહેતો, ને રાત્રે મિત્રો સાથે મહેફીલ જમાવતો. મોડી રાતે ઘરે આવતો. આ એનું રુટીન થઇ ગયું હતું. એણે દલપતરાયનો બહોળો કારોબાર બખૂબી સંભાળી લીધો હતો. દલપતરાય પણ એને ધંધાની વાત સિવાય કઇં ન કહેતા. પ્રણિતી પણ હવે ટેવાઇ ગઇ હતી. એ ભાગ્યે જ કઈં બોલતી એની સાથે. મહીનાઓ સુધી એ બન્ને બોલતા નહીં આપસમાં. એ આવે મોડી રાતે,ત્યા રે પ્રણિતી ને યશ સુતા હોય, ને સવારે એ ઉઠે, તૈયાર થાય ને ઓફીસ માટે નિકળી જાય.
રૂપાંદેબા પ્રણિતીને કઇં ઓછું આવવા દેતા નહીં. એ જાણે દિવ્યેશના ભાગનો પ્રેમ પણ એને આપવા માંગતા હતા.પ ણ બન્ને મનમાં સમજતા કે પતિના પ્રેમની જગ્યા બીજું કોઈ પણ ન લઇ શકે. ડગલે પગલે સમજોતો કરવો એનું જ નામ જીંદગી છે કદાચ ! આમને આમ આઠ વરસ વિતી ગયા. પ્રણિતીને જોઇને રૂપાંદેબા અંદરથી ખુબ દુઃખી થતા. એ ક્યારેક સમજાવવાનો પ્રયત્ન કરતાં દિવ્યેશ ને. એ બધું જ સાંભળી લેતો, સામે કશું બોલતો પણ નહી, પણ એ પ્રમાણે વર્તતો પણ નહીં.
એવામાં એક દિવસ દલપતરાયને માસિવ હાર્ટએટેક આવ્યો, જે એમને સાથે લેતો ગયો. આ આધાત બધાજ માટે વસમો હતો. બધાને આમાથી નિકળતા ઘણા દિવસ લાગ્યા,પણ કહેવાય છેને કે દુઃખનું ઓસડ દહાડા. ધીમે ધીમે બધું થાળે પડવા લાગ્યુ. દિવ્યેશે તો ઓફીસ સંભાળીજ લીધી હતી પહેલાથી. રુપાંદેબા અને પ્રણિતીએ પણ જીંદગી સાથે સમજોતા કરી લીધો હતો. એ બન્ને એક બીજાની હુંફના સહારે જીવવા લાગ્યા હતા. પ્રણિતી પણ યશના ઉછેરમાં પરોવાઇ ગઇ હતી. દિવ્યેશમાં માત્ર કોઇ ફરક નહોતો પડ્યો. એ પીને રોજ મોડો આવતો. મહીનાઓ સુધી બન્ને વચ્ચે કોઇ વાત ન થતી. એક અદ્રશ્ય દિવાલ ચણાઇ ગઇ હતી બન્ને વચ્ચે. પણ પ્રણિતીએ ખાનદાનની ઇજ્જત સાચવી લીધી હતી. રુપાંદેબાએ પણ વધુ મન પરોવ્યું હતું ભગવાનમાં. હવે એ વધુ ને વધુ સમય ઘરના મંદીરમાં વિતાવવા લાગ્યા હતા.
બધા પોતપોતાના વર્તુળમાં ગોઠવાઇ ગયા હતાં. એવામાં એક રાત્રે અચાનક દિવ્યેશ જલ્દી ઘરે આવી ગયો. પણ એ એકલો નહોતો આવ્યો. એની સાથે એ ઋત્વાને લાવ્યો હતો. આવીને એણે કહ્યું," આ ઋત્વા છે, મારી મિત્ર, આજથી એ અહીંજ રહેશે ! હંમેશાને માટે !" ને જાણે પ્રણિતીના માથે આભ તુટી પડ્યું. એણે સપનામાં પણ આવું નહોતું વિચાર્યું. એ આજ સુધી ખાનદાનની ઇજ્જત ખાતર એ ચુપ રહી હતી એનો દિવ્યેશે ફાયદો ઉઠાવ્યો હતો. એ સ્તબ્ધ બની ઉભી હતી. રૂપાંદેબાનો ગુસ્સો આજે પહેલી વાર વકર્યો. એમણે કડક અવાજમાં દિવ્યેશને કહ્યું, "આ નહીં ચાલે. તારી બધી ખરાબ આદતો અમે નિભાવી છે. જેનો તેં ફાયદો ઉઠાવ્યો. ઉડતી ઉડતી ખબર આવી'તી મારા સુધી. પણ મેં આંખ આડા કાન કર્યા. મને લાગ્યું સમય આવતા તું સુધરી જઇશ. પણ એ મારી ભુલ હતી. આ અહીં નહીં જ રહે !" દિવ્યેશ પણ મોટા અવાજે બોલ્યો, એ અહીં જ રહેશે. અથવા તો હું પણ નહીં રહું !"
રૂપાંદેબા ક્રોધથી ધ્રુજવા લાગ્યા. એ બોલ્યા, "નિકળી જા આ ઘરમાંથી અબઘડી. આવો કપૂત મને ન ખપે !" ને એમણે પ્રણિતી પાસે જઇને ખુબજ ૠજુતા પુર્વક માથે હાથ ફેરવતા કહયું, "બેટા ! આજથી હું ને તમે આ દુનિયામાં એકલાજ છીયે. કાલથી જ ઓફીસ જવાનું શરુ કરી દયો. યશને હું સંભાળી લઇશ ને તમે ઓફીસ સંભાળી લેજો. સવારે હું મહેતા સાહેબને ફોન કરી દઇશ.એ તમને કામકાજ સમજાવશે. આજથી આપણે બન્ને ગંગા સ્વરુપ છીયે !" ને દિવ્યેશ સામે જોઇને બોલ્યા,"આ ઘરમાં હવે તારૂં કોઇ સ્થાન નથી, કે નથી આ મિલકતમાં તારું કોઇ નામ ! નિકળી જા મારા ઘરમાંથી !" પ્રણિતી માંડ બોલી શકી,"બા! આ શું કરો છો !" બા એટલું જ બોલ્યા, "જે મારે ખુબ પહેલા કરવું જોઇતું હતું !". દિવ્યેશ પગ પછાડતો ઘરમાંથી નિકળી ગયો. રૂપાંદેબા પોતાના રુમમાં જઇ દલપતરાયના ફોટાને જોતા ક્યાંય સુધી રડતા રહ્યાં...
ભલે સુખ કે ખુશીની બહાર ન દે,
ભરતડકે છાંયડો તું અપાર ન દે,
તોય એટલો ભરોસો રાખું છું પ્રભુ,
કે દુખ કદીય તું ય હદપાર ન દે.