Shailesh Joshi

Inspirational

1  

Shailesh Joshi

Inspirational

કલા ભ્રૂણહત્યા

કલા ભ્રૂણહત્યા

3 mins
1.5K


'કલા' શબ્દથી આપણે સૌ પરિચિત છીએ... પણ કેટલીક બાબતે તેના અર્થને સમજવામાં આપણે સૌએ ગોટાળાં કરી મુક્યાં હોય એવો અનુભવ થયો એટલે 'કલા' શબ્દ આર્ટિકલનો વિષય બન્યો છે... આ આર્ટિકલ પાછળનો હેતુ બધાને કલા વિશે સાચી માહિતી આપી દેવાનો નથી...

મારામાં એવી કોઈ લાયકાત પણ નથી... પણ કલા વિશેના આ અંગત અભિપ્રાય છે... કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં...

કલાની સામાન્ય વ્યાખ્યા 'બધાથી અલગ' એવી થઈ શકે... પૃથ્વીનું સર્જન એ ઈશ્વરની કલા છે... ઈશ્વરે માણસને મન અને મસ્તિષ્કની વિશેષ ભેટ આપી કલાતત્ત્વને પ્રસ્થાપિત કર્યું..  જેમ 'તુન્ડે તુન્ડે મતિર્ભિન્ના' એમ જ પ્રત્યેક માણસમાં એક  વિલક્ષણ કલા જીવતી હોય છે... એ કલા આપણી મુખ્ય પાંચ કલા બહારની પણ હોય શકે... એને આપણે 'આ કલા નથી' એવું પ્રમાણપત્ર ના આપી શકીએ... કારણ કે આપણે કોઈ કલા યુનિવર્સિટીના કુલપતિ નથી... જો નર્તન કલા છે તો વર્તન પણ એક કલા છે... જ્યોતીન્દ્ર દવે તો ખોટી બે આની પકડાવી જનાર માણસને પણ "ક્યો મોરલો કળા કરી ગયો?" એમ કહી  કલાકારની કક્ષાએ મૂકી આપે છે... કલાસર્જન માટે કોઈ નિયમો નથી બનાવી શકાતાં... કારણ કે, કલા ક્યારેય બંધનગ્રસ્ત થઈ નથી અને જે કંઈપણ બંધનગ્રસ્ત થયું તે કલા નથી રહી. પણ વરસો સુધી જે કલા સર્જનની એક પરંપરા ચાલી એના અભ્યાસના અંતે આપણે એની સીમા નક્કી કરી નિયમો નક્કી કરી શકીએ... પણ ભવિષ્યમાં પણ આ રીતે જ કલા સર્જન થવું જોઈએ એવું ના કહી શકાય... સુનામી વખતે આપણે દરિયાને અગાઉથી ક્રાઈટ એરિયા આપી શકીએ છીએ? કલા સર્જન એ મારે મન અને મસ્તિષ્કમાંથી ઉમટતું એક સુનામી છે... જેને કોઈ નિયમો નડતાં નથી... આજકાલ સોશિયલ મિડિયા પર સાહિત્યિક ચર્ચાઓ જોતા લાગે કે ઘુવડોની સભા ભરાઈ છે અને સૂ્ર્ય છે જ નહીં એવા ઠરાવ પસાર  થાય છે... આજે તમારામાં રહેલી અલગ દ્રષ્ટિ, અલગ લાગણી, અલગ અનુભવ અને આ બધાને અલગ રીતે વ્યક્ત કરવાની રીતને ઓળખવાની જેનામાં કલા નથી એવા ઉપદેશકોનો રાફડો ફાટ્યો છે... જે વણમાગી સલાહ આપતા ફરે છે... એને જે એક સાહિત્ય પ્રકારમાં રસ હશે અને થોડી માહિતી હશે એ પ્રકારમાં કામ કરવા તમને માર્ગદર્શન આપશે... ચેતજો... માણસની એક ટેવ છે... જે પેલા બધું બદલશે ને છેલ્લે કહેશે હવે પેલા જેવું નથી રહ્યું..

આપણું કલાસર્જન નિજાનંદ માટે છે... એ બીજાને ગમે છે તો એ આપણું સૌભાગ્ય.. પણ જો બીજાને નથી ગમતું તો એ આપણું દુર્ભાગ્ય તો નથી જ... કલા કોઈના પ્રમાણપત્રની મોહતાજ નથી.. કારણ કે, પ્રમાણપત્રોથી કોઈ કલાકાર બની શક્તું નથી! સોશિયલ મિડિયા પર ચાલતા વિવિધ ગ્રુપમાં પણ મોટેભાગે કોઈને કોઈની રચનામાં રસ નથી... પોતાની રચનામાં કેટલાં રસ લે છે એ પૂરતા જોડાયેલાં હોય છે... અરે મોટાભાગના તો બીજાની રચના વાંચ્યા વિના જ 'વાહ વાહ' કરે છે ને સર્જક એને પોતાની પ્રસિદ્ધિ માની લે... ને ચકલી ફૂલેકે ચડે છે...

આપણા નામ આગળ કોઈ કવિ કે લેખક લગાવે તો હરખાઈ જવા જેવું નથી... કારણ કે, આવા પૂર્વ પ્રત્યયો તમારામાં રહેલી વિશેષ સંભાવનાઓને મોતને ઘાટ ઉતારી આપણને એકસરખા બીબામાં બેસાડી દે છે... આપણા નામની આગળ ભવિષ્યમાં શું લાગશે? એની શોધમાં ને શોધમાં આ બધું નવસર્જન થવું જોઈએ... જ્યારથી આપણે બીજાને ગમે એવું ને બીજા કહે એવું સર્જવાનું નક્કી કરીશું ત્યારથી આપણામાં પાંગરી રહેલી કલા નામની દીકરીની ભ્રુણહત્યાના શ્રી ગણેશ કરીશું... કેટલાકને જલ્દી કવિ કે લેખક બની જવાનો હડકવો હાલે છે...  કેટલાક મને કહેતા હોય છે કે મને પણ સાહિત્યમાં રસ છે ને હું કવિ બનવા માગું છું... મારા હાસ્ય અને આંસુ આ સમયે ટ્રાફિકજામ કરી મૂકે છે... કેટલાક તો પોતાનો પરિચય જ એક કવિ કે લેખક રુપે કરાવી ક્ષણિક જશ લે છે... આવા હાલી નીકળેલા સોશિયલ મિડિયાનાં સર્જકો- વ્હોટ્સેપના વિવેચકોની સામે લાલ બત્તી ધરી એને ગુજરાતીની અને પોતાની લાજ રાખવા નમ્ર અપીલ...

ગુસ્તાખી માફ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational