જીવનપ્રસંગ
જીવનપ્રસંગ
બે પુત્રો અને બે પુત્રીઓ છે. પુત્રીઓ પરણીને સાસરે ગયેલી છે. પુત્રો પણ એમનું ભણતર પૂરું કરી નોકરી- ધંધે સ્થાયી છે. બાળકોના ભણતરનું થોડું દેવું છે, થોડું પ્રસંગોનું દેવું છે, ધીરે ધીરે ચૂકવાય છે.
મારો બિઝનેસ પણ સ્થાયી છે. મારા કાર્યકર્તાઓ ધંધો સંભાળી રહ્યા છે. હું દેખરેખ રાખું છું. હા ! ધંધામાં અવાર-નવાર, ચઢાવ-ઉતાર આવે છે. પણ હું હતાશ થતો નથી. ધંધામાં ઉધાર-સુધાર ચાલે છે, એ પણ ધંધાનો એક ભાગ છે ! એવું મારું માનવું છે. સંપૂર્ણપણે લાભ કર્તા ધંધો ના જ હોય, જાણું છું !
કાર્યકર્તાઓ ફરજ બજાવે છે, સંપૂર્ણ નિષ્ઠાવાન ન જ હોય, જાણું છું, માટે જ સ્વભાવ આકરો કરી સ્વાસ્થ્ય બગાડવું મારો સ્વભાવ નથી. એજ રીતે બાળકો સંપૂર્ણ કહ્યાગરા જ રહે એવી આશા રાખવી મૂર્ખામી કહેવાય. ક્યારેક પૂત્રીઓની પણ ફરિયાદો આવે છે. એ સઘળું જીવનનો એક ભાગ છે. આ આધુનિક યુગમાં સતયુગની અપેક્ષા રાખવી પણ મૂર્ખામી છે. દીકરા-વહુઓ, દીકરી-જમાઈ, કાર્યકર્તાઓ દરેક પાસેથી વધુ પડતી અપેક્ષાઓ નથી રાખતો. હા, તેઓ સોલ્યુશન પૂછવા આવે તો ગાઈડન્સ આપું છું. કારણ કે હું અનુભવી છું. મારા અનુભવનો અહંકાર એમની આગળ નથી બતાવતો. પણ મારો અનુભવ એમના માટે માર્ગદર્શન છે. " મેં આ વાળ તડકામાં ધોળા નથી કર્યા" , "મેં તમારા કરતાં વધુ દીવાળીઓ જોઈ છે", વગેરે વગેરે..એવું કહી કોઈને ઉતારી નથી પાડતો.
હું જેવો છું, મારી સાથેની વ્યક્તિ પણ એવી જ હોય એવી અપેક્ષા રાખવી એ મોટામાં મોટી મૂર્ખામી છે. મારે વત્તા-ઓછા પ્રમાણમાં એમની સાથે એડજેસ્ટ થવું જોઈએ. કારણ હું અનુભવી છું, હું સમજું છું.
આ જ જીવન છે, સારાં-નરસા અનુભવો, લાભ- ગેરલાભ, નફો- નુકસાન, તબિયતનું સારું રહેવું કે બગડવું વગેરે જીવનના અલગ અલગ ભાગ છે. આ બધું ના હોય તો જીવનમાં બીજું શું હોઈ શકે ? તમે જ કહો ! સારો કે ખરાબ સમય, સંજોગો અને વ્યક્તિઓ ભેગા થાય અને છૂટાં પડી જાય. બસ દરેક પરિસ્થિતિમાં હું મારું પરફોર્મન્સ સારું આપીને સમાજમાં એક સ્થાન મૂકીને જઈશ તો લોકો મારા ગયા પછી મારી સારી રીતભાતને કારણે લોકો મને યાદ કરશે.