એક સંત પિતા.
એક સંત પિતા.
“અમેરિકન ફ્રીડમ રિટાયર્ડ કોમ્યુનિટિ”માં સોમાકાકાની ૮૫મી જન્મગાંઠની ઉજવણી ધુમધામથી ઉજવાઈ. અમેરિકન ફ્રીડમમાં અન્કલ સેમ”થી ઓળખાતા સોમાકાકા સમગ્ર કોમ્યુનિટિમાં સૌના પ્રિય ! કોઈની સાથે સ્પેનીશમાં તો કોઈની સાથે ઈગ્લીશ તો ભારતિય સાથે હિન્દી અને ગુજરાતીમાં મીઠાસભરી વાતો કરી સૌના દિલ હરી લેતા. ૮૫ વર્ષના સોમાકાકાનું નિખાલસ દિલ અને મળતાવડો સ્વભાવ સૌના મન હરી લે. સૌને એમજ લાગે કે ‘સોમાકાકા મારા એકદમ નજીકના પ્રિય મિત્ર છે.’ સૌના દિલમાં ધબકતા સોમાકાકા સ્વજનથી અધિક ગમે એવો એનો ચંદ્ર જેવો શિતળ સ્વભાવ.
બે દિકરા અને બન્ને ડૉકટર્સ. બન્ને એકજ ગામમાં રહે છતાં સોમાકાકાની ૭૫વર્ષ બાદ તેમની પત્નિના દેહાંત પછી પણ તેમણે એકલા રહેવાનું પસંદ કર્યુ ત્યારે ઘણાં મિત્રોએ તેમને પૂછ્યુ.
’તમો તમારા સંતાન સાથે કેમ નથી રહેતાં ? ત્યારે તેમણે બહું શાંત ચિત્તે કહ્યું.
‘મારા પ્રત્યે મારા દીકરાઓનો પ્રેમ અદભુત અને અનહદ છે. મારા કહેલા બોલ તેઓ ઝીલી લે છે. બાપ અને દીકરા વચ્ચે એકધારી વહેતી પ્રેમધારા મારે એમની એમજ રાખવી છે. બન્ને છોકરાઓને કૌટુબિક જવાબદારી ઉપરાંત તેઓ એમના કામમાં વ્યસ્ત રહે છે. તેમના મોજ-શોખ, રહેણી કરણી મારી રહેણી કરણી કરતા જુદી છે અને એ સ્વભાવિક છે. મારી ઉંમર પ્રમાણે મારા શોખ, મારા વિચારો, ટેવો જુદી હોય. માનો કે હું એમની સાથે રહુ અને તેઓ મને ખુશ રાખવા પુરેપુરા પ્રયત્નો કરે પણ જેમ સમય જાય તેમ એ પ્રયત્નોમાં ધીરે ધીરે ઓટ આવતી જાય, તેનો ખ્યાલ તેમને ના આવે પણ હું એ તુરત જોઈ શકું અને મનને વાળવા છતાં આ માંકડિયું મન વળે નહી અને દીકરા અને મારા વચ્ચે અંતર વધતું જાય. એ અતંરને ટાળવા મેં મારી રીતે જીવન જીવવાનું પસંદ કર્યુ છે. અમેરિકામાં ૫૦ વર્ષ રહ્યા બાદ અહીંની સંસ્કૃતી,રહેણી કરણી સૌથી વાકેફ છું. અમેરિકા વિશ્વના અલગ-અલગ દેશમાંથી આવેલ માનવીથી બનેલો દેશ છે છતાં સૌ હળીમળી રહે છે. તો હું પણ આ કૉમ્યુનિટીમાં મારી ઉંમરના જુદા જુદા દેશમાંથી આવેલા માનવી સાથે દુધમાં સાકર ભળે તેમ ભળી જઈશ એની મને ખાત્રી છે, અને મારું જીવન હું મારી રીતે જીવી શકીશ. તેમજ મારા દિકરા સાથે જે પ્રેમની ગંગા વહે છે તેનો પ્રવાહ એમનો એમ જ રહેશે.’
સોમાકાકા પોતે વ્યસાયે એન્જીનિયર અને જ્યારે નિવૃત થયાં ત્યારે એ ‘માઈકલ એન્ડ પિટરશન કંપની’માં વાઈસ પ્રેસિડેન્ટ હતાં. દીકરાઓને સૌને સારું એવું એજ્યુકેશન આપ્યું છતાં નિવૃતીના સમયે એમની આવક ઘણીજ સારી છે. આર્થિક રીતે સુખી છે. દીકરાઓ પાસે કદી હાથ લાંબો કરવાનો સમય નથી આવ્યો. તેમજ તેઓ નિરાપેક્ષીત જીવન જીવે છે. તેઓ પોતાના મિત્રોને હંમેશા કહેઃ
‘કોઈની પણ પાસે આશા રાખીએ તો નિરાશ થવાનો સમય આવે પણ આશા રાખીએ જ નહી તો જિંદગી બહુંજ આનંદ-ઉલ્લાસથી જીવી શકાય છે.'
પિતાની ૮૫મી વર્ષગાંઠ ઘરે ઉજવવા આગ્રહ રાખનારા એમના દીકરાને પણ કહ્યુ.
‘દીકરા, તમારી સાથે ૬૦ વર્ષ સુધી સુખી જિંદગી ગાળી, મજા કરી કૌટુબિક, સામાજીક જીવન જીવી ઘણી સુખ-દુંખની મજા માણી હવે આ વનવાસી જીવન જીવી મારી ઉંમરના આંગણે આવી વસતા મિત્રો સાથે મજા કરવી છે એજ મારા મિત્રો અને હવે તો એજ મારું કુટુંબ છે. ખોટું ના લગાડશો, તમારા કુટુંબ પ્રત્યે મારો પ્રેમ કદી પણ ઓછો થવાનો નથી. અહીં સૌ મારી જેમ વૃક્ષ પરના પીળા પાન સમાન છે, કોણ ક્યારે ટપકી પડે કોઈને પણ ખબર નથી. આવા સમયે અમો સૌ એક બીજાની સાથ રહી શેષ જિંદગીની મજા સાથે માણતા, માણતા, હવાની લ્હેરે ખરતા રહીએ સાથ સાથ. એ મજા મને માણવા દો. વર્ષગાંઠે એકજ ગાંઠબાંધી છે સૌ મારી ઉંમરના સાથ સાથ, હાથમાં હાથ પકડીએ આખરી અંત લગી ચાલી સંધ્યાની આરતી સાથે ઉતારીએ.’
એમના પુત્ર રમેશ અને ઉમેશ પર અમેરિકન ફ્રીડમ કોમ્યુનિટિમાંથી ફોન આવ્યો. આપના પિતાશ્રીનું કુદરીતી રીતે અવસાન થયેલ છે. બન્ને પુત્રો જલ્દી જલ્દી પિતાના નિવાસ્થાને પહોંચી ગયાં. ત્યાંના નિમાયેલા પ્રમૂખ શ્રી ઉલ્લાસ કાકાએ કહ્યું. સોમાકાકાએ મને એક પત્ર અને આખરી વીલ ઘણાં સમય પહેલાં આપેલ છે અને એમના પત્ર અને ઈચ્છા મુજબ એમની અંતિમ ક્રિયા બહું સાદી રીતે તમારા સિવાય કોઈને પણ જાણ કર્યા વગર એમની દહનક્રિયા કરવાની છે. એમનો અગ્નિદાહ તમે બન્ને કરો. પુત્રોની હાજરી સિવાય કોઈની પણ હાજરી ના હોવી જોઈએ એજ એમની આખરી ઈચ્છા હતી.
રમેશ અને ઉમેશ બન્ને પિતાશ્રીની ઈચ્છા મુજબ એમની આખરી ઈચ્છાને માન આપી એમની ક્રિયા પુરી કરી.
પિતાએ લખેલ કવર અને વિલ વાંચ્યું.
પ્રિય પુત્રો.,
મારા ગયા પછી કોઈ ખેદ કે દુઃખ ના લગાડશો. મારા મરણબાદ કોઈ જાતની વિધી કે સામાજીક વ્યવહાર પણ ના કરશો. ખાલી હાથે આવ્યો’તો, ખાલી હાથે જાઉં છુ,એનો મને પણ કશો અફસોસ કે દુઃખ નથી. જગતમાં આવી માયા-મમતા, સુખ-દુઃખ, સંબંધોના ઘણાં માળા બાંધ્યા. અહીં રહી માણ્યા બસ સર્વસ્વ અહીં છોડીને જ જાઉં છું અને દરેક માનવી આ પ્રમાણેજ આવે છે, જાય છે. આપણાં સંબંધના તોરણો ક્યાં સુધી લીલા રહેશે ? તમારા પછી તમારી પેઢી અને પછીની પેઢીમાં મોટા વડદાદા કોણ હતાં તેની ચિંતા એ શા માટે કરે ? એતો એમના વર્તમાન સુખમાં જીવવા માંગતા હોય અને એજ સત્ય છે. એથીજ એક વિનંતી છે કે મારા ગયાં પછી મારી તસ્વીર કોઈ જગ્યાએ ટીંગાડશો નહીં.
મારી પાસે જે કેશ છે તે જેને જરૂર છે તેને ફાળે આપવા માંગુ છું. મારા પાસે જે ૪,૦૦,૦૦૦ ડોલર્સ છે એ મારા ગયાં પછી અહીં અમેરિકામાં ૧,૦૦,૦૦૦ ડોલર્સ નૉન-પ્રોફીટ નર્સિંગ હોમ જેવા ઓર્ગનાઝેશનમાં તેમજ ૧,૦૦,૦૦૦ ડોલર્સ ’હોમલેસ’ માનવીના ઓર્ગેનાઈઝેશનમાં આપશો અને બાકીના મારી માતૃભુમી ભારતમાં ગરીબ બાળકો માટે એજ્યુકેશન અને ઘરડા ઘરમાં મોકલી આપશો. તમો બન્ને મારી પાછળ એક પણ પૈસાનો ખર્ચ ના કરશો. મારા અશિષ હરદમ તમારી સાથ છે.’
આ જન્મના સંબંધીત પિતા...સોમાલાલ શાહ..
મોટો પુત્ર બોલી ઉઠ્યો.
‘ધન્ય છે પિતા. પિતા તરીકે અમારા પ્રત્યે તમો તમારી સંપૂર્ણ ફરજ નિભાવી અને અમોને બન્ને ભાઈઓને ઉચ્ચ શિક્ષણ, સંસ્કાર અને સદગુણ, સાચો માર્ગ બતાવી કોઈ પણ અપેક્ષા વગર નિવૃતનું શેષ જીવન જીવી ગયાં.સુકર્મો કરી એક સાચા સંત તરીકે જીવન જીવી ગયાં.’