એક રાજાની વાત
એક રાજાની વાત
એક પિતાએ એક વખત એક વેપારી પાસે એક હજાર રૂપિયા જમા કરાવી, વ્યાજ સાથે સારી રકમ લાંબા સમય પછી મળે જેથી તે પોતાની દીકરીના લગ્ન સારી રીતે કરી શકે. વેપારીએ રકમ જમા કરી અને ભરોષો આપ્યો કે તેમને તે પ્રમાણે રકમ મળશે. ગામડામાં ભરોષો મોટી વાત હતી. વેપારીનું સારું નામ હતું. પિતા પણ ખુશ થયા.
તે ગામડું એક રજવાડામાં આવતું હતું જયારે રાજાની સવારી નીકળે ત્યારે સહુ રાજાને ખુશીથી સલામ આપતા. પ્રજા ખુશ રાજા ખુશ. સમય જતા પિતાની દીકરી મોટી થઇ અને પિતાએ પોતાની ફરજ નિભાવવા તેના લગ્ન કરવાનું નક્કી કર્યું. પણ પહેલા વેપારી પાસે મુકેલી રકમ વ્યાજ સાથે ઘણી મોટી થઇ ગઈ હશે, જે મેળવવા તેણે વેપારી પાસે જવાનું નક્કી કર્યું. જયારે પિતાએ વેપારી પાસે જઈ પોતાની રકમ અંગે રજુઆત કરી, તો વેપારીએ તેમને નારાજ કરી કહ્યું,
‘તમારા કોઈ પૈસા અહીં નથી કોઈ લખાણ હોય તો બતાઓ ‘ અને પિતાના દિલે ધ્રાસ્કો પડ્યો તેણે વિનંતી કરી શેઠજીને હાથ જોડી કહ્યું, ‘ શેઠજી આપણા ગામમાં ક્યાં કોઈ લખાણ કરે છે જો પૈસા ન મળે તો મારી દીકરીના લગ્ન કેવી રીતે કરીશ, એટલા સમય પછી મારી રકમ વધીને ૧૫૦૦ થઇ હોવી જોઈએ. શેઠ મહેરબાની કરો, તમારી પણ દીકરી છે,’
પણ શેઠીયાએ કોઈ દાદ ન આપી. નિરાશ બાપે ઘરે આવી પોતાની પત્નીને વાત કરી બંનેને ખબર ન પડી શું કરવું. પણ બીજે દિવસે પત્નીએ પતિને કહ્યું શા માટે આ વાત આપણા રાજાજીને ન કરવી. તે જરૂર કોઈ રસ્તો કાઢશે અને પત્નીનો વિચાર સારો લાગતા પતિએ રાજા પાસે જવાનું નક્કી કર્યું. બીજે દિવસે રાજાનો દરબાર ભરાયો ત્યાં રૈયતની બધી વાતો રાજા સાંભળતા અને યોગ્ય ન્યાય આપતા. જયારે પિતાએ પોતાની વાત દરબારમાં કહી તો એવું પહેલા ક્યારેય થયું ન હતું પણ પિતાની વાતમાં સચ્ચાઈ દેખાતા જયારે રાજાની સવારી આવે ત્યારે વેપારીના ઘરની સામે પિતાને ઉભા રહેવાની સલાહ આપવામાં આવી
બીજે દિવસે પિતાએ તે પ્રમાણે કર્યું રાજાની સવારી આવી, બધા લોકોએ સલામી આપી તેમાં વેપારી પણ સામેલ હતો. જયારે રાજા પિતા પાસે આવ્યા ત્યારે તેમણે પિતાને પોતાની સાથે બેસવા કહ્યું પેહલા તો પિતાને સંકોચ થયો પણ રાજાના આગ્રહથી તે બેસી ગયો અને સવારી આગળ નીકળી વેપારીએ આ જોયુંને તેની આંખો ચાર થઇ થોડા આગળ જઈને રાજા બોલ્યા,
‘હવે તમે ઘેર જઈને નિરાંતે બેસો તમારું કામ થઇ ગયું ‘ પિતા સમજ્યા નહિ પણ રાજાની વાત માથે ચઢાવી ઘેર ગયો ત્યાં તેની પત્નીએ પૂછ્યું એટલે રાજાની વાત તેણે કહી. પત્નીને પણ કોઈ સમજ ન પડી પણ રાજા ઉપર ભરોષો રાખી બંને બેઠા. થોડીવાર થઇ ત્યાં વેપારી આવ્યો અને હસતા મોઢે બોલ્યો,
‘મારા ગુમાસ્તા પાસેથી ખબર પડી તમારા પંદરસો રૂપિયા છે પણ હું તમને બીજા પાંચસો આપું છું જે મારા તરફથી બક્ષીશ હવે દીકરીના લગ્ન ખુશીથી કરો. બીજા પૈસાની જરૂર હોય તો કહેજો, રાજાજી ને મારા સલામ કહેજો’ અને પૈસા મળતા ખુશ થયેલા કુટુંબને રાજાજીની ખુબ મદદ મળી.
આવી રાજાજીની વાતથી એક પિતાનું કામ થઇ ગયું. તો પરમ પિતા પરમેશ્વર પણ એક મોટા રાજા જ છે, સાચા હશો તો મદદ મળતા વાર નહિ લાગે.