વાઘ બારસ
વાઘ બારસ
એક વાત ક્લિયર કરવાનું મન થાય છે કે, આપણો તહેવાર વાઘ બારસ એ વાઘ બારસ નથી, પરંતુ વાક્ બારસ છે ! પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી કહે છે કે શબ્દકોશમાં વાકનો અર્થ અપાયો છે, વાક્ = વાણી, વાચા, ભાષા.
વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે. વાક્ એટલે વાચા કે ભાષાની દેવી છે સરસ્વતિ, જેના કારણે જ સરસ્વતિ માતાને વાગ્દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. મા સરસ્વતિ આપણી વાચા અને ભાષા સારી રાખે અને બુદ્ધિ ભ્રષ્ટ ન થતાં આપણા આચાર-વિચારો સારા રાખે એ સંદર્ભે આજે બારસના દિને મા સરસ્વતિની પૂજા કરવી જોઈએ.
વાકનું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાંખ્યું અને વાઘના સંદર્ભે આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા માંડ્યો. પરંતુ આપણી હિન્દુ સંસ્કૃતિ અને ફિલોસોફી એમ કહે છે કે, લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જોવીએ. જેથી જ આપણા વડવાઓ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાક બારસના દિવસે મા સરસ્વતિની પૂજા કરે છે.
તેથી વાઘ સાથે આ તહેવારને કોઈ લેવાદેવા નથી. આજે તો મા સરસ્વતિની જ પૂજા થવી જોઈએ અને એમના ચરણોમાં નત મસ્તક પ્રાર્થના થવી જોઈએ કે,
'હે મા, અમારે ઘરે તું લક્ષ્મી થઈને આવે એ પહેલા સરસ્વતિ થઈને આવજે, અમને સદ્દબુદ્ધિ આપજે અને હંમેશાં અમારી વાણી પર વાસ કરજે.'
જેનું દિલ સાફ હોવાનું એનું ઘર સાફ જ હોવાનું અને એટલે જ જેને ત્યાં પહેલા સરસ્વતિ આવી હોય એને ત્યાં આવતીકાલે લક્ષ્મી પણ રૂમઝૂમ કરતી આવશે.