સમર્પણ
સમર્પણ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
મોહન અને માયાનો સંસાર સુખરૂપ વીતતો હતો. બંને જણા નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. એમની એક જ દિકરી હતી. એ પરણીને વિદેશમાં સેટલ થઈ હતી.
મોહનને લગભગ પંદરેક વર્ષથી ડાયાબિટીસની બિમારી હતી. એ સારવાર તો કરાવે પણ એને ખાવાનો ખૂબ જ શોખ ! ડોક્ટર પરેજી પાળવાની સલાહ આપે પણ મોહન એમની વાત એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખતા. માયા એમની તબિયતની પૂરેપૂરી કાળજી લેતી પરંતુ મોહન એની બિલકુલ દરકાર કરતા નહીં. મોહનનું જીવન એકદમ બેઠાળુ હતું. માયા સાથે ઘણી વખત એની ખાવાની બાબતમાં તકરાર થઈ જતી પણ મોહન તો સૌને એવું જ કહે કે મને મારી મરજીથી ખાવાનું પણ મળતું નથી. આ બધી આદતોને કારણે તેનો ડાયાબિટીસ હંમેશા વધઘટ થયા કરતો.
એક દિવસની સવાર ખૂબ જ ખરાબ સમાચાર સાથે પડી.
"માયા ! જલ્દીથી આવ. આ મારી આંખો માં શું થાય છે ? બધું જ ધૂંધળું દેખાય છે " મોહને પોતાની આંખો ચોળતા કહ્યું.
માયા તરત જ રસોડામાંથી દોડતી આવી અને બોલી 'તમે ચિંતા ન કરો.. બધું બરાબર થઈ જશે. હું હમણાં જ તમને ડોક્ટર પાસે લઈ જાઉં છું ' એણે તરત જ આંખના ડૉ શાહની મુલાકાત લીધી.
ડૉ.શાહે મોહનની તપાસ કરીને જણાવ્યું કે એની બંને આંખોમાં ડાયાબિટીસને લીધે પડદા પર લોહી આવી ગયું છે. એને પડદાના નિષ્ણાત ડોક્ટરને બતાવવાની સલાહ આપી. માયાએ મોહનની શહેરના પ્રખ્યાત ડો.દેસાઈ પાસે સારવાર કરાવી, પરંતુ ડાયાબિટીસ કાબુમાં ન હોવાથી એની આંખોનું તેજ ધીમું પડી ગયું. મોહનના જીવનના અંતિમ પડાવ પર અંધકાર છવાઈ ગયો.
મોહન મનોમન વિચાર કરતો "મારી શું ભૂલ થઈ ગઈ કે મારુ જીવન અંધકારમય થઈ ગયું ? વિધાતાએ મારી સાથે આવો અન્યાય કેમ કર્યો ?" એમ વિચારીને એ હંમેશા દુઃખી જ રહેતો.
"કુદરત માણસ પાસેથી કાંઈ પણ છિનવી શકે નહીં. આપણા કર્મોથી જ આપણે સુખી કે દુઃખી ! હિંમત રાખો એક રસ્તો ખોવાયો તો બીજો મળી જશે." માયાએ મોહનની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું.
માયા રાત-દિવસ જોયા વગર મોહનની ખડેપગે ચાકરી કરતી. એ મોહનની આંખોમાં દવા નિયમિત રીતે મુકી આપતી. સવારે વહેલી ઉઠી પોતાનું કામ જલ્દીથી પતાવી ને મોહનને ચા પીવડાવતી . પછી આખું છાપું વાંચી સંભળાવતી. એણે ધીરે રહીને સમજાવીને મોહનને લાકડી લઈને કેવી રીતે ઘરમાં હરવું ફરવું એ શીખવાડયું.
એક દિવસ મોહન પોતાની લાકડી શોધવામાં પલંગની ધાર સાથે અથડાઈને નીચે પડે છે. એ માયાને બૂમ પાડીને બોલાવે છે પરંતુ ટીવીના મોટા અવાજમાં માયાને સંભળાતું નથી. એ હવે જોર જોરથી બૂમ પાડે છે "માયા, જલ્દીથી આવ.... હું તો પડી ગયો."
માયા રસોડામાંથી દોડતી આવે છે અને એને ઉભો કરે છે. માયાની આંખમાં થી દડદડ આંસુની ધાર વહેવા લાગે છે. "અરર.. શું થયું ? એક મિનિટ ઉભા રહો. આ બાજુમાં ખુરશી છે એમાં બેસો. જોવા દો વધારે વાગ્યુ તો નથીને ?"
તેનાથી મોહનની આવી હાલત જોવાતી નથી. તેમ છતાં મોહન મનથી ભાગી ન પડે તે માટે તે મોહનની સામે હંમેશા હકારાત્મક અભિગમ જ રાખતી. તે પોતાની દીકરી આગળ ફોન પર છાનાં માનાં પોતાનું હૈયું હળવું કરી લેતી, પણ મોહનની સાથે સદૈવ અડીખમ ઉભી રહેતી. તે પોતાની આંખો વડે મોહનને આ દુનિયા દેખાડતી.
તે દરરોજ સાંજે મોહનનો હાથ પકડીને તેને પહેલા મંદિર અને પછી બાગમાં લઈને જતી. એ આજુબાજુ ના વાતાવરણનું આબેહૂબ વર્ણન મોહનને કરતી.
"જુઓ તો ખરા ! કેવાં સુંદર ફૂલ ખિલ્યા છે બગીચામાં ! ખરેખર વસંત ઋતુ આવી છે. આંબા પર મંજરી મ્હોરી ઉઠી છે. આકાશમાં એકેય વાદળી દેખાતી નથી. કેવો સરસ તડકો નિકળ્યો છે." આવી તો કેટલીયે વાતો કરતા એ થાકતી નહોતી.
એ ક્યારેય આ પહેલા બેંકમાં પણ ગયી નહોતી. બધું જ કામ મોહન સંભાળતો. હવે એણે એ બધું કામ પણ ધીરે ધીરે શીખી લીધું. એને ભગવાન પર જબરો ભરોસો હતો.એ હંમેશા મોહનને માટે પ્રાર્થના કરતી.
મળ્યું છે ખોળિયું માનવીનું ,
કરીને સત્કર્મ જીવનભર, એને સજાવીએ !
અમુલ્ય ભેટ છે એ પ્રભુની,
કરીને ભક્તિ પ્રભુની, એને ઉજાળીએ !
બેજોડ આ ખોળિયું દરેકનું,
કરીને સમ્માન દરેકનું,એને શણગારીએ !
આતમદીપ પ્રગટે એની મહીં,
એને નિરંતર સદૈવ જ્યોતિર્મય રાખીએ !
પંચમહાભૂતમાં વિલીન થાય એ મૃત્યુ પછી,
કરીને આત્મા ની ઉન્નતિ એને મોક્ષમાર્ગે દોરીએ !
આમ પોતે મજબૂત રહીને એ મોહનને પણ હિંમત આપતી.
માણસ મજબુરી માં ખરેખર મજબૂત બની જતો હોય છે...
માયા એ પોતાનું સંપૂર્ણ જીવન મોહનની સેવામાં સમર્પિત કરી દીધું હતું.