સજાગ
સજાગ
એ જમાનાની વાત કરું છું જ્યારે સો રુપિયાની નોટ ખુબ જ મુલ્યવાન હતી. (૧૯૮૦માં) આમેય રાહુ દશા ચાલતી હતી. તેથી વિતરાગ નાણાકીય રીતે સતત વ્યથીત રહેતો. અનિયમિત આવકો અને નિયમિત વધતા જતા ખર્ચાઓ વચ્ચે ઝુઝતા વિતરાગને જોઇ વિરાજ ઘણી વખત કહેતી પણ ખરી છોડો બીજા બધા સંયમો અને એક જ લક્ષ્ય બનાવો અને તે નિયમિત આવકો.
દાન ધર્મની વાતો આવે કે જીવદયા દરેક્માં દરેક વખતે અગ્રેસર રહેવું જરુરી નથી. પહેલું કુટુંબ પછી જન સમુદાય. પણ તેને હસીને વિતરાગ કહેતો વિરાજ તારી વાત સાચી છે પણ માહ્યલો એવો ઉદાર છે ને કે કોઇને સંકટમાં જોઇને તરત જ પીગળી જાય છે. વળી દાદાને જોઇને એટલું તો શીખ્યો છું કે “દોનો હાથ ઉલેચીયે બઢતા પાની નાંવમેં ઔર બઢતા ઘરમેં દામ”
વહેવારીક રીતે આ વાત વિરાજને ન ગમતી. આ કારણ ને લીધેજ સાસુમા તેને “ભોળો ભામાશા” કહેતા. રાણા પ્રતાપને સહાય કરનાર ભામાશા તો માતૃભૂમી પ્રેમનાં પ્રણેતા હતા પણ વિતરાગ તો સર્વપ્રતિ કરુણાને કારણે જ કાયમ તંગ રહેતો. અરે ભાઇ હોય તેટલુ અપાય અને માપમાં અપાય.. ઘરનાં છોકરા ભુખ્યા રહે અને ઉપાધ્યાયને આટો ના દેવા જવાય..
તે દિવસે અકળ વકળ થતા વિતરાગને જોઇને વિરાજે કહ્યું “ શું થયું છે કેમ ગુંચવાવ છો ?”
“ગુંચવાતો નથી…પણ સ્કુટરમાં પેટ્રોલ પુરાવવા જેટલા પૈસા પણ અત્યારે હાથ વગા નથી.”
“મને ખબર છે લો આ સો ની નોટ. આ બચતો આવા સમય માટેજ રાખી હતીને !”
વિતરાગ નેહ નીતરતી આંખે જોઇ રહ્યો વિરાજનાં વહાલને જે આ સો રુપિયાની નોટ સ્વરુપે દેખાતુ હતુ. વિરાજ પણ આ ઉપકૃત નજરોને માણી રહી. તે જાણતી હતી કે વિતરાગ તો પથ્થરમાં પાટુ મારીને પણ પૈસા પેદા કરી શકે છે. ફક્ત આવક અને જાવકોમા સહેજ સજાગ બને તો…