હર્ષની હોંશિયારી
હર્ષની હોંશિયારી
એક ગામ હતું. તે ગામમાં એક કુંભાર રહેતો હતો. તેનું નામ રામ હતો. રામ ઘણો જ ગરીબ હતો. તેને બે સંતાન હતા. એક દીકરી અને એક દીકરો. દીકરીનું નામ પાયલ હતું અને દીકરાનું નામ હર્ષ હતું. તેની પત્ની ગીતા ખુબ જ બિમાર રહેતી હતી.
એક દિવસ તે કુંભાર રામની પત્ની વધારે બિમાર પડી ગઈ અને છેવટે મરી ગઈ. હવે પાયલ અને હર્ષનું બધું જ ધ્યાન તેના પિતા રામભાઈ રાખવા લાગ્યા. બાળકોના ઉછેરમાં રામભાઈ પોતાના ધંધામાં બરાબર ધ્યાન આપી શકતા નહિ. એટલે ગામના લોકોએ રામભાઈને કહ્યું કે
’રામભાઈ તમારાથી આ ધંધાનું અને છોકરાનું બધું કામ નહિ થાય. શું કામ આ બાળકોને હેરાન કરો છો. તમે બીજા લગ્ન કરી લો. તમારી નવી પત્ની આવશે તો ઘરનું ધ્યાન રાખશે અને બાળકોને પણ સચવાશે.’
છેવટે લોકોની વાત માનીને રામભાઈ કુંભારે એક સ્ત્રી સાથે બીજા લગ્ન કરી લીધા. હવે તે બીજી સ્ત્રી પાયલ અને હર્ષની મા બનીને ઘરમાં આવી. પણ તે હર્ષ અને પાયલની સાવકી મા હતી. એટેલ એટે હર્ષ અને પાયલને પ્રેમ કરતી નહિ. ઉપરથી તેમને દુખ આપતી. રામ કુંભાર તો આંખો દિવસ કામમાં હોય એટલે બાળકો તરફ ધ્યાન આપે નહિ. અને અહીં નવી મા પાયલ અને હર્ષને ખુબ જ દુખ આપતી.
હવે એક વખત રામ કુંભારે ધંધા માટે ઘણા જ માટલા બનાવ્યા. પણ માટલા હજી કાચા હતા. તેને પકવવાના બાકી હતા. બીજા દિવસે સવારે માટલા પકવવાના હતા. પણ તેના આગલા દિવસે રાત્રે ખુબ જ વરસાદ પડ્યો. અને બધાજ કાચા માટલા પલાળીને ખરાબ થઈ ગયા. રામભાઈની બધી મહેનત પાણીમાં ગઈ. હવે તો તેમની પાસે બિલકુલ પૈસા ના રહ્યા એટેલ તેમણે શહેરમાં જઈને પૈસા કમાવાનું નક્કી કર્યું. અને છેવટે તે પાયલ અને હર્ષને નવી સાવકી મા પાસે મુકીને શહેરમાં પૈસા કમાવા ગયા.
આ બાજુ રામ કુંભાર શહેરમાં ગયા એટેલે નવી સાવકી માને પાયલ અને હર્ષને હેરાન કરવાનો મોકો માળી ગયો. એકવાર સાવકી મા એ વિચાર કર્યો કે જો હું હર્ષ અને પાયલને જંગલમાં મૂકી આવું તો જંગલના પ્રાણીઓ તેમેન ખાઈ જશે. અને મારે એમને મોટા નહિ કરવા પડે. પછી હું અને મારો પતિ આરામથી રહીશું. આમ વિચારી એક દિવસ તે સાવકી માએ પાયલ અને હર્ષને કહ્યું, ‘ચાલો પાયલ અને હર્ષ આપણે જંગલમાં લાકડા વીણવા જવાનું છે.’ પણ હર્ષ ખુબ જ ચાલક હતો. તે સાવકી માની યોજના સમજી ગયો હતો. તેણે પોતાની સાથે એક થેલી ભરીને પથરા લીધા. અને જંગલ શરુ થયું એટેલ રસ્તે પથરા નાખવા લાગ્યો. જેથી જંગલનો રસ્તો યાદ રહે.
જંગલમાં ખુબ દુર ગયા પછી નવી માએ કહ્યું, કે હવે તમે થકી ગયા હશો. ચાલો થોડીવાર આ મોટા ઝાડ નીચે આરામ કરીએ. પછી આગળ જઈશું. એમ કહી તેણે પાયલ અને હર્ષને જંગલમાં મોટા ઝાડ નીચે સુવાડી દીધા. બંને ભાઈ-બેન સુઈ ગયા પછી નવી મા તેમને જંગલમાં એકલા મુકીને ઘરે પાછી આવી ગઈ. આ બાજુ રામ કુંભાર શહેરમાંથી ઘરે પાછો આવ્યો. તેણે પોતાની નવી પત્નીને પૂછ્યું, ’હર્ષ અને પાયલ ક્યાં ગયા ?’ તો સાવકી માએ કહ્યું, ‘હર્ષ ને પાયલ એક દિવસ જંગલમાં ગયા હતા. પણ ત્યાં વાઘે એ બન્ને ને મારી નાંખ્યા ને ખાઈ ગયો. આ સાંભળી રામ કુંભાર ખુબ દુખી થયો અને રડવા લાગ્યો.
બીજી બાજુ જંગલમાં પાયલ અને હર્ષ ઊંઘેલા હતા. થોડીવાર પછી પાયલ જાગી. એણે જોયું તો મા ન હતી. તે જોર જોરથી રડવા લાગી અને હર્ષને પણ જગાડ્યો. હવે હર્ષને ખબર પડી ગઈ કે નવી મા તેમને જંગલમાં ભુલા પાડીને એકલા મુકીને ઘરે ચાલી ગઈ છે. પાયલ તો ખુબ જ રડવા લાગી. ‘ભાઈ આપણે હવે ઘરે પાછા કેવી રીતે જઈશું. આપણને તો ઘરનો રસ્તો પણ નથી ખબર.’ ત્યારે હર્ષે કહ્યું, ‘પાયલ તું ચિંતા ના કર મને રસ્તો ખબર છે. મે રસ્તામાં પથરા નાંખ્યા હતા. આપણે એ રસ્તે ઘરે પહોચી જઈશું.
એ રીતે વિચાર કરી પાયલ અને હર્ષ પથરા નાખેલા નિશાનીવાળા રસ્તે ચાલતા ચાલતા ઘરે પાછા આવી ગયા. ઘરે આવીને જોયું તો તેમના પિતા રામભાઈ પણ શહેરમાંથી ઘરે આવેલા હતા. બંને ભાઈબહેન દોડતા જઈને રામભાઈને વળગી પડ્યા. પોતાના દીકરા દીકરીને પાછા આવેલા જોઈ રામભાઈ ખુશ ખુશ થઈ ગયા. પણ નવી મા તો હર્ષ અને પાયલને પાછા આવેલા જોઈને ગભરાઈ જ ગઈ. પછી હર્ષ અને પાયલે પોતાના પિતા રામભાઈને પોતાની સાવકી માની બધી જ વાત કરી.
રામભાઈ આખી વાત સમજી ગયા. તેમણે ઘરમાંથી એક મજબુત લાકડી લીધી અને પોતાની નવી પત્નીને બરાબર ઠમઠોરી અને ઘરમાંથી બહાર કાઢી મૂકી. પછી પાયલ અને હર્ષ તેમના પિતા સાથે આનંદથી રહેવા લાગ્યા. એટલે જ તો કહેવાયું છે કે બુદ્ધી આગળ બળ પાણી ભરે.