ઘરડાં ગાડા વાળે
ઘરડાં ગાડા વાળે
એક નાનકડું ગામ હતું. તે ગામમાં શિક્ષણ સારું હતું. ગામના બધા જ યુવાનો ભણેલા ગણેલા હતાં, આ યુવાનો બુદ્ધિશાળી અને વ્યવહારકુશળ હતાં. ગામના બધા જ પ્રસંગો તેઓ હળીમળીને કરતાં.
એક વખત ગામમાંથી એક જાન બીજા ગામ જવાની હતી. આ યુવાનોને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. એટલે તેમણે જાનમાં કોઈ પણ ઘરડા માણસને નહિ લઇ જવાનું નક્કી કર્યું. આમ જાનમાં માત્ર યુવાનો જ ગયા. જયારે જાન વેવાઈને ઘરે પહોચી ત્યારે વેવાણને ખબર પડી કે આ યુવાનો કોઈ વડીલને જાનમાં નથી લાવ્યા. એટલે તેમણે આ યુવાનોનું અભિમાન ઉતારવાનું નક્કી કર્યું.
વેવણે જાનમાં આવેલા યુવાનો સમક્ષ એક શરત મૂકી કે ‘આ ગામનું તળાવ ઘીથી ભરો, તો જ અમે કન્યા પરણાવીશું’ આવો કોયડો જોઈને યુવાનો તો વિચારમાં પડી ગયા. ગામનું તળાવ ઘીથી કેમ ભરી શકાય?’ છેવટે તેમણે ગામનાં ઘરડા માણસની મદદ લેવાનું નક્કી કર્યું.
તેમાંથી એક યુવાન દોડીને ગામમાં ઘરડા વડીલ પાસે પાછો આવ્યો અને વેવણની કોયડાની વાત કરી. અને પોતાની સાથે જાનમાં લઇ આવ્યો.
ઘરડા માણસે જવાબ આપ્યો, ‘તમે જઈને વેવણને એમ કહો કે તમે ગામનું તળાવ ખાલી કરો, પછી અમે ઘી થી ભરીએ’ આ સાંભળીને વેવણને ખાતરી થઈ કે હવે જાનમાં કોઈ વડીલ આવ્યું લાગે છે. પછી તેમણે પોતાની શરત પાછી ખેંચી લીધી. અને લગ્ન પાર પડ્યા.
માટે જ તો કહેવાયું છે કે ‘ઘરડાં ગાડા વાળે.’