દિવ્યાંગોની વાસ્તવિક ક્થા
દિવ્યાંગોની વાસ્તવિક ક્થા
વડોદરા શહેરમાં એક દિવ્યાંગ ભાઈ રોજિંદી દિનચર્યા પ્રમાણે ઘરેથી તેમના નોકરીના સ્થળ જતાં હતાં. તેમણે અચાનક રસ્તામાં પર જોયું કે એક લાચાર, ગરીબ મહિલા ટ્રાઈસિકલમાં બેઠેલી હતી. અને તે ટ્રાઈસિકલમાં એક પણ વ્હીલમાં ટાયરમાં સ્હેજ પણ હવા નહોતી અને ટાયર સાવ ખરાબ હાલતમાં હતાં, સમજો ને કે ટ્રાઈસિકલ ખાલી રિંગ પર જ ચાલતી હતી અને તેનાં ટાયર-ટ્યુબ ઘસાઈ ગયા હતાં. આ ટ્રાઈસિકલને તેમનો આશરે 5-7 વર્ષનો બાબો ધક્કો મારીને લઈ જતો હતો. ત્યાંથી પસાર થઈ રહેલ દિવ્યાંગ ભાઈનું હૃદય દ્રવી ઊઠયું એટલે તેમણે તેમનું વાહન સાઈડમાં ઊભું રાખ્યું અને તે બેનને બોલાવીને પરિચય કેળવ્યો. તે ભાઈએ બહેનને કહ્યું કે બેન તમારે નવી ટ્રાઈસિકલ જોઈએ છે. તો એ સુમન બેન ગળગળા થઈ ગયાં અને રડી પડ્યાં.. અને દુ:ખભર્યા અવાજે કહ્યું સાહેબ, અમે ખૂબ જ ગરીબ છીએ. અમારા કોઈ ઓળખ પુરાવા નથી તો અમને કોણ મદદ કરશે..તે દિવ્યાંગ મિત્રએ તેમણે આશ્વાસન આપ્યું કે હું તમને નવી સાઇકલ અપાવીશ. તેથી તે જ ઘડીએ તે દિવ્યાંગ ભાઈએ બીજા દિવ્યાંગો માટેના સામાજિક કાર્યકર અને પોતે દિવ્યાંગ છે તેવા મિત્રને સમગ્ર વાત કરી.
એ ભાઈએ કહ્યું કે ભાઈ મને એકાદ અઠવાડીયાનો સમય આપો. હું સુમનબેન ને નવી ટ્રાઈસિકલ એક દાતા તરફથી આપવીશ. અને તેમણે આપેલ વાયદા પ્રમાણે આઠ-દસ દિવસમાં નવી-નક્કોર સાઇકલ અપાવડાવી. એ દાતા એ સુમન બેનની પરિસ્થિતી જોઈને સારા પહેરવા લાયક કપડાં પણ પ્રદાન કર્યા અને વાપરવા લાયક થોડા પૈસા પણ આપ્યા. આમ એક દિવ્યાંગ મિત્ર એ દિવ્યાંગ મિત્રની મધ્યસ્થી બનીને દિવ્યાંગ લાભાર્થી ને દાતા થકી મદદ કરવા માટે સેતુ બન્યાં.
અહી, દિવ્યાંગ મિત્ર કે જે નોકરીના સ્થળે જતાં હતા તે જાણીતા સામાજિક કાર્યકર અને એક્સેસિબલના પ્રમુખ શ્રી કલ્પેશ વી. પરમાર અને તેમણે જે દિવ્યાંગ મિત્રની મદદ લીધી એ બીજા કોઈ નહીં પણ જાણીતા દિવ્યાંગ સામાજિક કાર્યકર દંપતી શ્રી રાજેન્દ્ર ભાઈ અને ભારતીબેન શાહ અને લાભાર્થી હતા તે સુમન બહેન. આ રિયલ સ્ટોરી મૂકવાનું તાત્પર્ય આવા કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ કોઈને પણ રસ્તામાં મળે તો બે મિનિટ ઊભા રહીને તેમની વ્યથા સાંભળી આપણાથી જે કંઈ મદદ અથવા આંગળી ચીંધવાનું કામ થાય તે કરવાનું છે. કેટલાય રસ્તા ઉપર એવા દિવ્યાંગ હોય છે જેમની પાસે કોઈ રાશન કાર્ડ,આધાર કાર્ડ કે દિવ્યાંગ સર્ટિફિકેટ ના હોવાથી સરકાર તરફથી કે કોઈ એનજીઓ તરફથી મદદથી વંચિત રહી જાય છે. તેમની તરફ જોનારું કોઈ હોતું નથી. જો આપણાથી એકાદ વ્યક્તિ ને પણ હેલ્પ થઈ જાય તો એના જેવું રૂડું બીજું કંઈ નહીં એવું મારું માનવું છે.