ચતુર વિદ્યાર્થી
ચતુર વિદ્યાર્થી
સ્વામી રામતીર્થ નામના એક મોટા સાધુ થઈ ગયા. તેઓ સાધુ થાય તે પહેલાની આ વાત છે. તેઓ સાધુ બન્યા તે પહેલાં એક શિક્ષક હતા. એકવાર તેઓ પોતાની પાઠશાળામાં બાળકોને ગણિત ભણાવતા હતા. ભણાવતા તેમના મનમાં એક વિચાર આવ્યો. તેમણે બાળકોની કસોટી કરવાનું નક્કી કર્યું. આ માટે તેમણે પાટિયામાં એક લીટી દોરી. અને વિદ્યાર્થીઓને કહ્યું, ‘જુઓ, મે પાટિયામાં એક લીટી દોરી છે, તમારે મને એ લીટી નાની કરી આપવાની છે. બોલો કોણ કરી આપશે?
બધા વિદ્યાર્થીઓને નવાઈ લાગી. આમાં શું મોતી વાત છે. એક વિદ્યાર્થી ઉભો થયો. તેને પાટિયું સાફ કરવાનું કપડું લીધું અને લીટીને ભૂંસીને નાની કરવા લાગ્યો. પણ સમર્થ રામતીર્થ એ તેને અટકાવ્યો અને કહ્યું, ‘ના, એમ નહિ. તમારે લીટીને નાની કરવાની છે. પણ તમારે લીટીને સ્પર્શ કરવાનો નથી.’ ગુરુની શરત સાંભળીને બધા વિદ્યાર્થીઓને નવાઈ લાગી. આ તો કેવી રીતે શક્ય બને. લીટીને અડ્યા વગર એ કેવી રીતે નાની બને! ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ બોલી ઉઠ્યા, ‘ગુરુજી આતો કેવી રીતે શક્ય બને. આ કામ તો કોઈ જાદુગર જ કરી શકે અથવા તો ભગવાન જ કરી શકે.’
આ સંભાળીને ગુરુજીને હસવું આવ્યું. પણ તેમને કોઈ જવાબ ના આપ્યો. અને વિદ્યાર્થીઓને વિચારવા કહ્યું. થોડીવાર વર્ગમાં શાંતિ જ છવાઈ ગઈ. બધા વિદ્યાર્થીઓ મુજવણમાં મૂકી ગયા. તેઓ એકબીજા સામે જોવા લાગ્યા. અંદર અંદર વાતો કરી ગણગણાટ કરવા લાગ્યા.
એટલામાં વર્ગની છેલ્લી હરોળમાંથી એક વિદ્યાર્થી ઉભો થયો. તે આગળ આવ્યો. તેને પાટિયા પર લખવા ચોક હાથમાં લીધો અને પાટિયા પાસે જઈને ઉભો રહ્યો. બીજા બધા વિદ્યાર્થી વિચારમાં પડી ગયા કે લીટીને નાની કેવી રીતે કરશે? ત્યાતો પેલા વિદ્યાર્થીએ ગુરુજીએ દોરેલી લીટીની નીચે જ ચોકથી એક બીજી લીટી દોરી. પણ એ લીટી ગુરુજીની લીટી કરતાં લાંબી અને મોટી દોરી. પછી તેને ગુરુજી સામે ફરીને કહ્યું, ‘લો ગુરુજી તમારી લીટી હવે નાની બની ગઈ કે નહિ?’ ગુરુ રામતીર્થ ખુશ ખુશ થઈ ગયા.
ગુરુ રામતીર્થ આગળ આવ્યા. તેમેને પેલા વિદ્યાર્થીની પાસે જઈ તેને શાબાશી આપી. અને વર્ગના બધા વિદ્યાર્થીઓને ઉપદેશ આપતા કહ્યું, ‘તમે મારી આ કસોટીનો સાર સમજ્યા! જીવનમાં આગળ વધવા માટે કે ઉપર આવવા માટે કોઈને પાછળ ધકેલવાની કે કોઈને નીચે પાડવાની જરૂર નથી. પણ વધારે પુરુષાર્થ કરીને પોતાનું કામ મોટું કરવાથી જ જીવનમાં મહાન બની શકાય છે.’