બાળકની સલાહ
બાળકની સલાહ
બાળકની સલાહ
એક ગામ હતું. એ ગામમાં ઘણા બધા લોકો વસતા હતા. તે એક સુંદર અને સ્વચ્છ ગામ હતું. ત્યાં પાણીની સુવિધા સારી હોવાથી ખેતી પણ સારી થતી હતી. એ ગામમાં રમુકાકા કરીને એક વડીલ રહેતા હતા. તેમનું એક નાનકડું ઘર હતું. તે પોતાના પત્ની અને બે બાળકો સાથે ત્યાં રહેતા હતા. તેમની પત્નીનું નામ રમીલાબેન હતું. દીકરાનું નામ નવીન અને દીકરીનું નામ મોહિની હતું. દીકરો મોટો અને દીકરી નાની હતી.
એક વખત રમુકાકાને ખેતીમાંથી સારી એવી આવક થાય છે. તે વિચાર કરે છે કે આ પૈસાનો શું ઉપયોગ કરવો ? સાંજે ઘરે આવ્યા પછી પણ આ જ વિચાર આખી રાત એમના મનમાં ઘોળાયા કરે છે. તે બધાની સલાહ લે છે કે આ પૈસનું શું આયોજન કરવું. બધા પોતાનો જુદો જુદો વિચાર જણાવે છે, પણ કોઈ એક નિર્ણય લેવાતો નથી. બધા ચર્ચા કરતા કરતા સુઈ જાય છે.
બીજા દિવસે રમુકાકા વહેલા ખેતરે જાય છે. તેમના પત્ની ઘરે કામ કરતા હોય છે. જમવાનું બનાવાનો સમય થતા રમીકાકી લાકડા લેવા માટે જાય છે. કાકીને ઘરે આવતા વાર લાગી જાય છે. વાળી લાકડા લીલા હોવાથી ચૂલો સળગવામાં પણ વાર લાગે છે. ત્યારે રમીલાકાકી વિચારે છે, કે આપણે પેલા પૈસામાંથી સગડી લાવી દેવી જોઈએ. જેથી સમયનો બચાવ થાય.
બીજી બાજુ જમવાનું બનવામાં મોડું થતા નવીન શાળાએ પહોચવામાં મોડો પડે છે. એટલે તેણે શિક્ષા પણ ભોગવવી પડે છે. એટલે નવીન એવું વિચારે છે કે બાપુના પૈસામાંથી સાયકલ લાવામાં આવે ઓ સમયસર શાળાએ પહોચી શકાય. એ રાત્રે જયારે ઘરના બધા પાછા મળ્યા ત્યારે વાળી પોતાના વિચારો રજુ કરવા લાગ્યા. રમીલાબેને સગડી લાવાની અને નવીને સાયકલ લાવાની વાત કરી.
રમુકાકા વિચારે છે કે સગડી ન હતી તો પણ ચાલ્યું અને સાયકલ વગર પણ ચાલે જ એટલે તેઓ કઈક બીજું જ વિચારે છે. અચાનક તેમની નજર નાની મોહિની પર પડી. તેમણે મોહિની સલાહ લેવાનું વિચાર્યું. એ સાંભળી નવીન બોલ્યો પિતાજી મોહિની તો હજી નાની છે તેણે શું સમજણ પડવાની ! એમ છતાં રમુકાકા મોહિનીને પુછે છે.
ત્યારે મોહિની સલાહ આપે છે કે, ‘પિતાજી આપણે એક ગાય લાવવી જોઈએ.’ ત્યારે રમીલાકાકી અને નવીન કહે છે ‘સગડી નથી લાવવી કે સાયકલ નથી લાવવી અને આ ગાય કેમ લાવવી છ ?’ ત્યારે રમુકાકા એ કહ્યું થોડી શાંતિ રાખો. મોહિની પાસે તેનો જવાબ ચોક્કસ હશે. તેમ કહી રમુકાકા એ મોહિનીને ગાય લાવવાનું કારણ પૂછ્યું.
ત્યારે મોહિની એ કહ્યું, ‘આપણે ગાય લાવી જોઈએ કારણ કે, ગાયને દોહીને આપણે દૂધ ડેરીએ ભારવીશું તો આપણને એ દુધના પૈસા મળશે. ઉપરાંત ખેતરમાં નાખવા કુદરતી ખાતર પણ મળશે. વાળી ગાયના દુધના જે પૈસા આવશે તેમાંથી બચત કરીને આપણે સગડી અને સાયકલ બંને લાવી શકીશું.'
છેવટે મોહિનીની સલાહ ઘરના બધાજ સભ્યોને ગમી ગઈ. અને તેઓએ એક ગાય વસાવી સમય જતાં ગાયના પૈસામાંથી સગડી અને સાયકલ પણ વસાવી શક્યા. જીવનમાં ક્યારેય કોઈને નાના કે ઓછા બુદ્ધિશાળી ન માનવા જોઈએ.