વક્રગતિ
વક્રગતિ
ભયમુક્તિના એંધાણ માટે છેક આકાશ સુધી લાંબા ના થશો,
ગ્રહની ગતિ કરતા માનવીની દૂર્બુદ્ધિનાં આંક ઊંચા હોય છે.
માધવીએ સવારના ઉઠતાંવેંત જ છાપું હાથમાં લીધું. હેડલાઈન વાંચતા જ તે ભડકી. "વ્હોટ ધ હેલ ઇસ ધીસ?"
"વ્હોટ હેપનડ, ડિઅર?"
"સી, ધીસ હેડલાઈન."
"...."
"છેને સાવ ફાલતું."
"હમ્મ..."
"તને ગુસ્સોના આવ્યો આવું વાંચીને?"
"મારી પાસે ગુસ્સો કરવા સિવાયના બીજા ઘણા કામ છે."
માધવીને થોડું વિચિત્ર તો લાગ્યું પણ તે કશું બોલી નહીં. તે વિચારવા લાગી.
ધર્મગ્રંથોમાં પણ સ્ત્રીને પૂજ્ય ગણવામાં આવી છે તો સમાજ તો ઠીક પણ જેણે સમાજ છોડી કહેવાતો સન્યાસ ધારણ કર્યો છે તેવા કહેવાતા ધર્મગુરુઓ પણ સ્ત્રીને પૂજક ન બનવા દે? 'સ્ત્રી-પુરુષ એક સામાન'નાં નારા ઢોલ વગાડીને ગાવામાં આવે છે તો જે હક પુરુષ પાસે છે તે સ્ત્રી પાસે કેમ નહીં? શું સમાજે સ્ત્રીને બીજા સ્થાને ગણવાની માન'સીક'તાનો ઇલાજ કરવાની જરુર નથી?
ક્યાંક મંદિરમાં પ્રવેશ માટે પ્રતિબંધ, ક્યાંક પૂજા માટે પ્રતિબંધ તો ક્યારેક પૂજામાં ભાગ લેવા માટે પ્રતિબંધ, સ્ત્રીઓ માટે કરવાનાં તેમજ ન કરવાનાં કાર્યોનું લિસ્ટ છે તો પુરુષો માટે કેમ નહીં? દેવોમાં શ્રધ્ધા રાખવાની પણ તેની પૂજા નહીં કરવાની એ એક પ્રકારની અંધશ્રદ્ધા ના થઈ? સ્ત્રીને દેવ સમાન માનવી છે પણ દેવની પૂજા નથી કરવા દેવી, આ તે વળી કેવા બેવડા ધોરણ? અને હજુ તો પૂજા કરવાની છૂટ આપી ના આપી ત્યાં તેનુ પરિણામ જાહેર કરી દેવાનું? આ ખબર ઘૃર્ણાસ્પદ તો છે પણ હાસ્યાસ્પદ પણ એટલાં જ છે.
માધવીએ સમાચાર પર નજર ફેરવી અને છાપાંનો ઘા સામે રહેલા ટેબલ પર કાર્યો. તેને લાગ્યું કે આ વખતના આર્ટિકલ માટે આ ટોપિક બરાબર છે.
'આવું નિવેદન આપતાં પહેલા તેમણે એકવાર પણ નહીં વિચાર્યું હોય? પબ્લિસિટીની ભૂખ ખાતર કે પોલિટિક્સની ગેમ રમવા માટે કેટલું સહેલાઈથી આમ બોલી ગયા હશે? આટલાં ઊંચા પદ ઉપર બિરાજમાન વ્યક્તિએ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ કરવાનો હોય કે વધારવાનો? તેમાં પણ શનિ વક્રગ્રહ હોવાથી તેમની પૂજા કરવાથી બળાત્કારીઓની સંખ્યા વધશે, એવું કહેવું એ આ અપકૃત્યની છૂટ આપવા જેવું ન થયું?
કોણ આપશે આ બધાં પ્રશ્નોના ઉત્તર? સ્ત્રી, સમાજ કે સન્યાસી? હું સમાજસેવિકા પણ છું. એટલે મારી સામે અવારનવાર બળાત્કારના કિસ્સાઓ આવતાં હોય છે. મને ખ્યાલ છે કે બળાત્કારથી પીડિત સ્ત્રીનું જીવન કેવું હોય, તે સ્ત્રી ગમે તેટલી મજબૂત હોય તે ક્યારેય પોતાના ખરાબ ભૂતકાળને ભૂલી શકતી નથી. સમાજ તેને ભૂલવા દેતો નથી.'
ડોરબેલ વાગતા માધવીએ લખવાનું પડતું મૂકી દરવાજો ખોલ્યો. કામવાળી દિનુ આવતાની સાથે જ હિબકા ભરી ભરીને રડવા લાગી. માધવીનાં વારંવાર પૂછવા છતાં તે કારણ ન્હોતી જણાવી રહી.
"દિનુ, તું મને મોટીબેન જેવી માને છે ને. ચાલ કહે તો મને, શું થયું?"
"થઈ ગયું તે તો બદલાવી નહીં શકાય. તો શું કરશો જાણીને બેન?"
"બનતી મદદ કરીશ."
"શું?!"
ગઇકાલે માધવીની ગેરહાજરી દરમિયાન કૃતે કરેલી બળજબરીની આપવીતી દિનુએ કહી સંભળાવી.
"શું બોલે છે તું આ? કંઈ ભાન છે કે નહીં?" માધવીને દિનુની વાત પર વિશ્વાસ ના બેઠો.
માધવીએ દિનુની સામે જ કૃતને તેનાં કૃત્ય વિશે પૂછ્યું. કૃતે કંઈ જવાબ ના આપ્યો. પણ તેનાં મૌને ઘણુ બધું કહી આપ્યું. અને માધવીને કૃતને ગુસ્સો ના આવવાનું કારણ સમજાય ગયું.
માધવીની આંખોમાં આંસુ આવી ગયા. તે વિચારી રહી આમાં વાંક કોનો? શનિદેવની વક્રગતિનો કે પતિદેવની...?