રાજકુમારની રાણી ગરોળી
રાજકુમારની રાણી ગરોળી
એક સુંદર લીલુંછમજંગલ હતું. તે જંગલમાં એક ડોશીમા રહેતા હતા. હવે એકવાર એ ડોશીમાને હાથમાં ખીલ થયો. એ ખીલ જયારે ફૂટ્યો ત્યારે તેમાંથી એક સુંદર ગરોળી નીકળી. ડોશીમાને આમ પણ કોઈ સંતાન ન હતું. એટલે એમણે ગરોળીને પોતાની દીકરી બનાવી લીધી. અને તેનું લાલન પાલન કરવા લાગ્યા. ડોશીમાં દરરોજ એ ગરોળીને નવરાવે, ખવડાવે, રમાડે અને તે સુઈ જાય તે વખતે તેના માટે ગીત પણ ગાય.
હવે એક વખત ડોશીમાં પોતાની ગરોળી માટે ગીત ગાતા હતા. એ જ વખતે એક રાજનો રાજકુમાર ત્યાં જંગલમાંથી પસાર થયો. તેણે ડોશીમાને ગીત ગાતા સાંભળ્યા. તે તો ઉભો જ રહી ગયો. તેને થયું કે ડોશીમાં આવું સરસ ગીત કોના માટે ગાતા હશે ! તેણે જઈને ડોશીમાને પૂછ્યું, ‘ડોશીમા તમે આવું સરસ ગીત કોના માટે ગાઓ છો. આ ઝુંપડીમાં તો બીજું કોઈ દેખાતું નથી !’ એટલે ડોશીમાએ કહ્યું, 'હું તો મારી રાજકુમારી દીકરી માટે ગીત ગાવું છું.'
આ સાંભળી રાજકુમાર ખુશ થયા. તે પોતાના મહેલમાં પાછા ગયા. અને પોતાના પિતા રાજાને કહ્યું કે, 'મને જંગલમાં રહેતા ડોશીમાની દીકરી સાથે લગ્ન કરવા છે.' આ સાંભળી રાજાએ સૈનિકોને ડોશીમા પાસે રાજકુમારનું માંગું લઈને મોકલ્યા. સૈનિકો ડોશીમાની ઝુંપડીએ આવ્યા અને કહ્યું, ‘ડોશીમા અમે રાજાના સૈનિકો છીએ. અમારા રાજકુમારને તમારી દીકરી ગમી ગઈ છે. એ તેની સાથે લગ્ન કરવા માંગે છે.' આ સાંભળી ડોશીમાં બોલ્યા. 'હું મારી દીકરીના લગ્ન રાજકુમાર સાથે કરાવું પણ મારે બદલામાં ઘડો ભરીને સોનું જોઈએ.'
સૈનિકો એ આ વાત રાજાને કહી. રાજા માણી ગયા. તેમણે સૈનિકોને ઘડો ભરીને સોનું લઈને ડોશીમા પાસે મોકલ્યા. ડોશીમા એ રાજકુમારની માંગું મંજુર રાખ્યું. પણ તેમણે એક શરત કરી કે 'લગ્નના એક મહિના સુધી રાજકુમારે મારી દીકરીનું મોઢું નહિ જોવાનું. એક મહિના પછી જ જોવાનું.' રાજકુમારે આ શરત પણ માન્ય રાખી. રાજકુમાર જાન લઈને ડોશીમાની ઝુંપડીએ પરણવા આવ્યા. એટલે ડોશીમાએ એક લાકડાની પૂતળી બનાવી. તેના પર સરસ કપડા ઓઢાડી તેને લાડી બનાવીને રાજકુમાર સાથે પરણાવી દીઘી.
જાન વિદાય થઈ એટલે ડોશીમાએ પૂતળી ગાડામાં બેસાડી દીધી અને કહ્યું, ‘મારી દીકરીને અલગ ઓરડામાં જ રાખજો.’ એમ કહીને દીકરીને વિદાય કરી. એજ વખતે પેલી ગરોળી પણ એ પુતળા સાથે ગાડામાં જતી રહી. ત્યાં જઈ સૈનિકો એ પાલખી એક અલગ રમમા જ મૂકી. એ ગરોળી પણ ત્યાં ઉતરી ગઈ. એ મહેલના ખંડમાં એક શંકર ભાગવાનું લિંગ હતું. એ ગરોળી ત્યાં જઈને ભગવાન શંકરની પૂજા કરવા લાગી.
એમ કરતાં કરતાં મહિનાનો સમય પુરો થવા આવ્યો. આજે રાજકુમાર પોતાની દુલ્હનને જોવા આવવાના હતા. ગરોળી રોજની જેમ શંકર ભગવાનની પૂજા કરતી હતી. તેની એક મહિનાની પૂજાથી ભગવાન શંકર પ્રસન્ન થયા. તેમણે ગરોળીને મનગમતું વરદાન માંગવાનું કહ્યું. ગરોળીએ કહ્યું, ‘હે સિવ શંકર મને એક સુંદર છોકરી બનાવી દો.’ ભગવાને કહ્યું, ‘તથાસ્તુ’ અને ગરોળી એક સુંદર છોકરી બની ગઈ.
એ ગરોળીમાંથી સ્ત્રી બનેલી છોકરીએ પુતળીના કપડા કાઢી પોતે પહેરી લીધા અને દુલ્હન બનીને બેસી ગઇ. થોડીવાર પછી રાજકુમાર એ ખંડમાં આવ્યા. અને સુંદર પત્નીને જોઈને ખુશ ખુશ થઈ ગયા.