STORYMIRROR

Dada Bhagwan

Inspirational

4  

Dada Bhagwan

Inspirational

પૈસા ક્યારે આપશો ?

પૈસા ક્યારે આપશો ?

3 mins
412

એક જમીનદાર હતા. તેમની ગામમાં મોટી જાગીર, વિશાળ મોટો બંગલો અને સુખ સાહ્યબીવાળું જીવન હતું. પણ એમને કુ-સંગમાં જુગાર રમવાની લત લાગી. રોજ કુસંગીઓ સાથે થોડો દારૂ પીએ અને જુગાર રમે. કુસંગના પાસમાં બધું શરૂ થયું. એમ કરતા કરતા એ જમીનદાર બધી મિલકત ખોઈ બેઠા અને ઘર જમીન વેચવાનો વખત આવ્યો.

છેવટે નાદારી નીકળી એટલે એમણે નક્કી કર્યું કે “બીજા ગામમાં મારો મિત્ર નગરશેઠ છે. ત્યાં જઉં અને એની મદદથી પાછો ઊંચો આવી જઉં.” એમ વિચારીને એ જમીનદાર પોતાના પત્ની અને છોકરાંને લઈને પેલા નગરશેઠ મિત્રને ત્યાં ગયા. શેઠે એમની આપવીતી સાંભળી. પછી જમીનદારે કહ્યું કે, “મને પચાસેક હજાર રૂપિયા આપ તો ધંધો કરી ઊભો થઈ જાઉં.” ત્યારે પેલા શેઠે શાંતિથી કહ્યું, “જો ભાઈ! હાલ મારે પણ પૈસાની ભીડ છે. થોડા વખતમાં કંઈક સગવડ થશે પછી તને આપીશ. હમણા ગામમાં આપણું મકાન છે, તેમાં તું તારા પત્ની અને છોકરાં રહો. મારા ઘેટાં-બકરાં છે તેને ચરાવીને તું ગુજરાન પૂરું કર અને કંઈક ધર્મ કર, ભગવાનનું નામ લે.” રહેવા ઘર અને ગુજરાન માટે કામ મળ્યું એટલે જમીનદાર માની ગયા અને શેઠે બતાવેલા ઘરમાં રહેવા લાગ્યા.

આમ કરતાં લગભગ છ-આઠ મહિના વીતી ગયા. જમીનદારે પાછી શેઠ પાસે જઈને ધંધા માટે પૈસાની વાત કાઢી કે, “કંઈ મૂડી મળે એવું છે મને ?” ત્યારે શેઠે ધીમેથી પૂછ્યું, “કેટલા બચ્ચાં જન્મ્યા છે ?” જમીનદારે કહ્યું કે, “છ બચ્ચાં બકરાના જન્મેલા પણ બધા મરી ગયા.” પછી શેઠે પૈસાની બાબતનો જવાબ આપતા કહ્યું, “હજુ પૈસાની સગવડ થઈ નથી. થશે કે તમને તરત આપીશ, ત્યાં સુધી તું સારી રીતે ભગવાનની ભક્તિ કર.”

આમ દરેક વખતે જમીનદાર ધંધો કરવા માટે પૈસા માંગે, ત્યારે શેઠ “બચ્ચાં કેટલા જીવ્યા ?” એમ પૂછે અને જમીનદાર દર વખતે પ્રમાણિકતાથી જવાબ આપે. એક વખત કહ્યું, “દસ બચ્ચાં જન્મેલા, એમાંથી એક બચ્યું.” બીજી વખત કહ્યું, “બાર જન્મેલાં, ત્રણ બચ્યાં.” ત્રીજી વખત કહ્યું, “આ વખતે નવ જન્મ્યાં, છ જીવ્યાં.” અને છેવટે એક વખત કહ્યું, “પંદર બચ્ચાં થયાં, બધાંય જીવ્યાં આ વખતે તો!” જેવું શેઠે જાણ્યું કે બધા બચ્ચાં જીવ્યા છે કે તરત તેમણે જમીનદારને કહ્યું, “તારે કેટલા પૈસા જોઈએ છે બોલ ? હવે તને પૈસા મળશે.”

જમીનદારે નવાઈ સાથે પૂછ્યું, કે “હવે કેમ ? અત્યાર સુધી ત્રણ વર્ષ પૈસા કેમ ન આપ્યા ?” ત્યારે શેઠે સુંદર ખુલાસો આપતા કહ્યું, “તારા ઘેટાં-બકરાંના બચ્ચાં મરી રહ્યા હતા. હું તને ગમે તેટલા પૈસા આપત, તો પણ બધું નુકસાનીમાં ખલાસ થઈ જાત. કારણ કે, અત્યાર સુધી પાપની લિંક હતી, એટલે તું જ્યાં હાથ નાખે ત્યાં નુકસાન જ આવે. હવે બચ્ચાં બધા બચે છે, માટે તારી પુણ્યની લિંક શરૂ થઈ છે. હવે તને વાંધો નહી આવે.”

જમીનદારની જેમ જીવનમાં દરેક મનુષ્યોની પુણ્ય અને પાપની લિંક ચાલતી હોય છે. જયારે પાપની લિંક ચાલુ થાય ત્યારે જે વ્યાપાર-વ્યવહાર હાથમાં હોય તે કરવો, એને ફેલાવવો નહીં. સમેટીને બેસી રહેવું, અને જે ભગવાનની ભક્તિ કરતા હોઈએ કે ધર્મ પાળતા હોઈએ તેમાં વધારે સમય ગાળવો. ખરાબ ટાઈમ પસાર થઈ જવા દેવો. ‘બકરાના બચ્ચાં બચતા જાય’ તેમ તેમ પછી આગળ વધવાનું સાહસ કરવું. હંમેશા બે પ્રવૃત્તિઓ રાખવી. એક સંસાર વ્યવહારની પ્રવૃત્તિ, જેમાં નફો-નુકસાન આવ્યા કરશે, અને બીજી ધર્મની પ્રવૃત્તિ, જેમાં ક્યારેય ખોટ નહીં આવે. સંસારમાં ખોટ આવે ત્યારે સાચો ધર્મ આપણને અંતરશાંતિ આપશે!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational