નેકી રામ
નેકી રામ
એક હતા નેકી રામ. જેવું નામ તેવું એમનું કામ હતું. તે લોકોની સેવા કરવાની કોઈ તક જતી કરતાં નહિ. તેઓ ગરીબ હોવા છતાં તેમણે ધન પ્રત્યે કોઈ લાલસા કે લોભ હતો નહિ. કોઈ વસ્તુ રસ્તામાંથી મળે તો પણ તેના માલિકને પહોંચાડી દેતા.
એક સાંજના સમયે નેકી રામ પોતાના ઘરે આવતા હતા. ત્યારે તેમની દ્રષ્ટિ નીચે પડેલા એક સિક્કા પર પડી. તેમણે સિક્કો ઉપાડીને જોયું તે એક રૂપિયાનો સિક્કો હતો. તે આગલા ગયા. રસ્તામાં તેમને બાજુમાં પડેલી એક પોટલી દેખાઈ. આજુબાજુમાં કોઈ હતું નહિ. એટલે નેકીરામે એ પોટલી પણ લઇ લીધી. અને ઘરે આવ્યા. ઘરે આવીને જોયું તો એ પોટલીમાં સોનાના દાગીના હતા. નેકીરામે વિચાર્યું કે જેના હશે તેણે સવારે જઈને આપી આવીશ. આમ સોનાની પોટલી તેણે માલિકને પહોચાડવાનો વિચાર કરી, નેકીરામ આરામથી સુઈ ગયા.
બીજા દિવસે નેકીરામ ઘરેથી પોટલી લઈને નીકળ્યા. ગામમાં ચોક પાસે આવીને ઉભા રહ્યા. ત્યાં ઉભા ઉભા બુમો પાડવા લાગ્યા, ‘ભાઈઓ અને બહેનો આજે મને એક રૂપિયો મળ્યો છે.’ અને ધીમેથી મનમાં બોલ્યા, ‘અને એક સોનાના દાગીનાની પોટલી મળી છે.’ પણ એમની વાત સાંભળીને કોઈ રૂપિયો કે પોટલી લેવા આવ્યું નહિ. તેમણે આ જ વાત બે ત્રણ જગ્યાએ ઉભા રહીને કરી પણ કોઈ આવ્યું નહિ. એટલે એમણે નક્કી કર્યું કે હવે આ પોટલી મારી.
એમ કરી તે ઘરે આવ્યા. દાગીનાની પોટલી હવે તેમની માલિકીની બની ગઈ હતી. છતાં એમનું મન અંદરથી ડંખતું હતું. તેમણે ઊંઘ આવી નહિ, તેઓ ઉભા થયા અને ચોકમાં જઈને જેમ રૂપિયા માટે જોર જોરથી બુમો પડતા હતા, તેમ દાગીનાની પોટલી માટે પણ બુમો પાડવા લાગ્યા. તેમની બુમ સંભાળીને દાગીનાની પોટલીનો સાચો માલિક આવ્યો. નેકીરામે તેણે કેટલીક પુછ પરછ કરી. આ પોટલી એની જ છે એમ નક્કી થયું. એટલે તે પોટલી એમણે તે માણસને આપી દીધી.
પછી જ ઘરે જઈને નેકીરામને શાંતિની ઊંઘ આવી.