લુચ્ચો શેઠ
લુચ્ચો શેઠ
એક નાનકડું સુંદર નગર હતું. તે ગામમાં અનેક જ્ઞાતિના લોકો રહેતા હતાં. ગામના લોકો પ્રમાણમાં સુખી અને ખુશહાલ હતાં. વળી ગામના લોકો ધાર્મિકવૃત્તિવાળા અને પુણ્ય-દાનમાં માનવા વાળા હતાં. આજ ગામમાં એક શેઠ રહેતા હતાં. તે સ્વભાવે લાલચુ હતાં. તેઓ હમેશા કોઈને કોઈ રીતે વધુ ધન કમાવાની લાલચમાં રહેતા હતાં. અને આ માટે અવનવા રસ્તા વિચારતા રહેતા હતાં.
હવે એક વખત એવું થયું કે ચોમાસામાં વરસાદ પાડ્યો નહિ. એટલે ખેતી થઈ શકી નહિ. વળી વગડામાં અને જંગલમાં ઘાસચારની પણ અછત ઊભી થઈ. શેઠે આ તકનો લાભ લઇ લોકો પાસેથી ધન કમાવાનું નક્કી કર્યું. તેમણે એક તબેલો બનાવ્યો. અને તે તબેલામાં ૨૫ જેટલી ગાયો લાવીને બાંધી. પછી આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે વરસાદ ન પડવાથી વગડામાં ઘાસચારો ઉગ્યો નથી. એટલે મે ગામની રખડતી ગાયોને ભેગી કરી તેમની સેવા કરવા માટે તબેલો બંધાવ્યો છે. જેમાં ૨૫ જેટલી ગાયોની સેવા કરવામાં આવશે. તો ગામલોકો એ મને સહકાર આપવા વિનંતી છે. તમે લોકો ઘાસ, ચાર અને ખાણ આપીને સહકાર આપી શકો છો.
ગામલોકોને આ શેઠની વાત પર વિશ્વાસ પાડ્યો. એ લોકો પોતાના ઘરેથી શક્તિ મુજબ ઘાસ, ચાર અને ખાણ તબેલાની ગયો માટે મોકલવા લાગ્યા. શેઠ તો ખુશ થઈ ગયા. તેમનો આઈડિયા કામ કરી ગયો હતો. શેઠ તબેલામાં દાનમાં આવતા ઘાસ-ચારામાંથી ૧૦ ટકા ગાયોને ખવડાવતા અને બાકીનું ૯૦ ટકા બીજા ગામોમાં વેચી મારી પૈસા કમાતા હતાં. આમને આમ ઘણા દિવસો સુધી ચાલ્યું.
એમ કરતાં એક વખત ગામનો એક બુદ્ધિશાળી માણસ તબેલાની મુલાકાતે આવ્યો. તેને એમ હતું કે ગામમાંથી રોજ આટલું બધું ઘાસ અને ખાણ તબેલામાં આવે છે તો તબેલાની ગાયો તંદુરસ્ત અને અલમસ્ત હશે. પણ તેણે જઈને જોયું તો તબેલાની ગાયો ખુબ જ દુબળી અને પાતળી હતી. એટલે તેણે વહેમ પાડ્યો. નક્કી આ તબેલામાં કંઈક ગડબડ ચાલે છે. પછી તેણે ગામમાં આવીને ગામના આગેવાન લોકોને આ વિષે વાત કરી. ગામ લોકોએ પણ આ રહસ્ય જાણવાનું નક્કી કર્યું. આ માટે તેમણે એક યુક્તિ કરી.
ગામના જ એક હોંશિયાર માણસને તબેલામાં નોકરી રખાવી. આ માણસ તબેલામાં કામ કરવાના બહાને બધી દેખ રેખ રાખતો અને શેઠ શું કરે છે તેનું પણ ધ્યાન રાખતો. એમ કરતાં કરતાં આ માણસને શેઠની બધી જ ચાલાકીની ખબર પડી ગઈ. તેમણે ગામલોકોને હકીકત કહી દીધી. ગામલોકો ભેગા મળીને શેઠ પાસે આવ્યા. તેમણે શેઠને બરાબરના ધમકાવ્યા. અને પોલીસ બોલાવી શેઠને જેલ ભેગા કરી નાંખ્યા. અને ગાયોને ગામ લોકોને સરખે ભાગે વહેંચી દીધી.
આમ પૈસા કામવા માટે લાલચમાં આવીને પાપકર્મ કરતાં શેઠનો પાપનો ઘડો એક દિવસ ફૂટી જ ગયો.