હોળી
હોળી
“सर्व तीर्थमयी माता, सर्व देवमय पिता ।
मातरं पितरं तस्मात, सर्व यत्नेन पूजयेत् ।।“
(માતા સર્વ તીર્થ સમાન હોય છે, પિતા સર્વ દેવ સમાન હોય છે. માતા પિતાને આથી બધા જ પ્રયત્નોપૂર્વક પૂજવા જોઈએ.)
એ દિવસે ધોરણ-છમાં ઉપર દર્શાવેલ મારા પ્રિય શ્લોકની સમજૂતી આપવાની હતી. “શુભાષિતાનિ” માં આપેલ પ્રથમ ત્રણ શ્લોકના ભાષાંતરની જાણ કરી વિસ્તૃત માહિતી આપી. હવે માતા-પિતાની વંદનાનું મહત્વ દર્શાવતા ચોથા શ્લોકનું હજુ તો ભાષાંતર જ કર્યું હતું ત્યાં તો એ વર્ગમાં મારો પીરીયડ પૂરો થયો. પરંતુ હું વર્ગમાંથી બહાર નીકળું ત્યાર પહેલા એક છોકરાએ મને એક પ્રશ્ન પૂછી નાખ્યો,“ટીચર, માતાની જ પૂજા કરીએ કે માન આપીએ. પિતાને ન આપીએ તો ન ચાલે..?” એ વિદ્યાર્થી પર મને થોડું ગુસ્સા જેવું આવ્યું કેમકે તેણે તો ‘મારી માન્યતા’ વિરુદ્ધનું કંઈક વિચાર્યું હતું. આવા બળવાખોર સાથે અબોલા લઈ લેવાનું મને મન થયું. હા, સમાજમાં કોઈ વ્યક્તિ પોતાના અનુભવોને આધારે થોડું અલગ વિચારે તો એવું જ કરવાનો ‘રીવાજ’ છે ને? પણ, આ તો શિક્ષક-વિદ્યાર્થીનો સંબંધ હતો. મારા વિદ્યાર્થીને હું તેના પ્રશ્નને કારણે કેવી રીતે તરછોડી શકું? મેં તેને બીજા દિવસે જવાબ આપવાનું કહ્યું.
થોડો વિચાર કરતાં મને એ દિવસ યાદ આવ્યો જયારે તે છોકરાને અમારી શાળામાં દાખલ કરવામાં આવ્યો હતો. એનાં નાના એ છોકરાનું બેકગ્રાઉન્ડ કહી ન શક્યા. માત્ર એક છાપાની કટકી અમને વંચાવી હતી. જેમાં કંઈક એવું લખ્યું હતું, “નશાની હાલતમાં પતિએ પત્નીને ઊંચાઈ પરથી ધક્કો માર્યો. ત્યારબાદ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી.” અને એ છોકરાનો એ સળગતો ‘પ્રશ્ન’ ફરી મારા મગજમાં ઘૂમરાવા લાગ્યો.
બીજી તરફ, મને થયું કે માતા-પિતાને તો પૂજવા જ જોઈએ હો.. એવું આપણા શાસ્ત્રોમાં કે પૌરાણિક ગ્રંથોમાં લખ્યું છે અને એવું ન કરે એ વ્યક્તિ તો ‘સંસ્કારહીન’ કહેવાય.
શાળા છૂટ્યા બાદ ઘર તરફ જતાં શહેરના મેઈન રોડ પર કે જ્યાં સૌથી વધારે ભીડ રહે છે તે માર્ગ પર પહોંચી મારાથી ‘ડબલ મોટી ઉંમરનો એક વ્યક્તિ’ મારી સામું તાકી-તાકીને જોતો મારી આગળ નીકળ્યો. પછી તેણે સ્કૂટર ધીમું પાડી હું આગળ નીકળું તે માટે ધીમે ચલાવવા લાગ્યો. ત્યારપછી તો બેએક વખત આવી જ રીતે તેણે ઓવરટેક કર્યું. મેં બ્રેક મારી ત્યાં તો તે ઝડપથી ભાગી ગયો. મને ‘પ્રશ્ન’ એ થયો કે મેં કવરઅપ કરેલું હોવાથી એ ઘરડાંને મારો ચહેરો તો શું મારી આંખો પણ દેખાતી નહોતી તો એ ક્યાં પ્રકારનો આનંદ લઈ રહ્યો હશે? એ માણસના એ વર્તનને એની ‘પ્રકૃતિ’ કહેવી કે ‘વિકૃતિ’? પરંતુ અમુક પ્રશ્નો ‘પ્રશ્નો’ જ રહે છે. જેમકે, ઉનાળો શરુ થતાં શાળામાં ટીપુંય પાણી ન હોય તો બાળકોને ઘરેથી બોટલ ભરીને લાવવાનું કહી શકાય પણ “શૌચાલય” ન હોય તો!
સળગતા વિચારોના ભડકાને શાંત કરવા ઘરે આવી મેં ટી.વી. શરુ કર્યું. ન્યુઝચેનલમાં પહેલા જ સમાચાર સંભાળવા મળ્યાં,“૧૦ વર્ષની દીકરી પર તેનાં જ ‘પિતા’ દ્વારા શારીરિક શોષણ.”
ત્યાં જ ફોનની ઘંટડી વાગી. મારી એક બહેનપણી મીનાનો એ ફોન હતો. તેણે મને અમારી બીજી બે બહેનપણીઓ સીતા અને ગીતા વિષે જાણ કરી. સીતા એક અબજોપતિ પતિની પત્ની અને આજે તેને ત્યાં ત્રણ દીકરીઓ પછી એક દીકરાનો જન્મ થયો હતો. વૃદ્ધાવસ્થામાં સાચવનાર આવી ગયો. આ એક સારા(!) સમાચાર હતા અને ગીતાએ સંતાનપ્રાપ્તિ ન થવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. ફોન કપાઈ ગયો.
ટી.વી. પરના ન્યુઝ નાટ્યાત્મક રીતે આગળ વધી રહ્યાં હતાં,“બ્રેક બાદ જુઓ કુદરતનો એક કરિશ્મો...” હું ટી.વી. સામે ગોઠવાઈ ગઈ. કોથળામાંથી બિલાડું નીકળું,“૬૫ વર્ષની ઉંમરે મહિલાએ બાળકને જન્મ આપ્યો.” સારું થયું ચાલો, કે કોઈકના ઘરે પારણું બંધાયું. પરંતુ... જીવનના કેટલા બધા વર્ષો સુધી એ સ્ત્રીને શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હશે! વિચાર મને એ આવતો હતો કે આમાં ‘કોણ’ ‘કોને’ સાચવશે! વૃદ્ધાવસ્થામાં પોતાને સાચવવા અને મૃત્યુ બાદ સંપતિને સાચવવા માટે જ તો મોટાભાગના મા-બાપ સંતાન(દીકરા) ને જન્મ આપતા હોય છે. એક કારણ ‘લોકોના મેણા’ પણ હોય છે. કે જે લોકોનો રોલ તમારે ત્યાં સંતાનમાં દીકરાનો જન્મ થઈ જાય પછી પૂરો થઇ જાય છે. પછી તમે જાણો અને તમારાં બે, ચાર કે પાંચ જેટલાં હોય એટલાં જાણે!
આમ, સવારથી જ મારા વિચારોમાં જે ‘હોળી’ પ્રગટી હતી તેમાં આખા દિવસ દરમિયાન બળતણ હોમાયે રાખ્યું. પરંતુ સાથે-સાથે એ છોકરા દ્વારા જે ‘પ્રશ્ન’ ઉપસ્થિત થયો હતો તેનો ઉપાય પણ મળી ગયો હતો. વિચારવા જેવું તો એ છે કે તેનો ઉપાય મને શાસ્ત્રો કે પુરાણોમાં કહેવાયેલી કથાઓમાંથી જ મળ્યો.
શ્લોકની સમજુતી બાકી હતી તો બીજા દિવસે વર્ગમાં જઈ અને બે પૌરાણિક પાત્રો બાળકો સમક્ષ રાખ્યા. પહેલું પાત્ર એટલે એ કે જેની માતૃ-પિતૃભક્તિ આજે પણ પ્રખ્યાત છે. હા.. એ વ્યક્તિ એટલે ‘શ્રવણકુમાર’. અને બીજું પાત્ર એટલે એ કે જેના ખુદના જ સ્વજનોએ તેને પીડા પહોંચાડવામાં કંઈજ બાકી રાખ્યું ન હતું. એ જ વ્યક્તિનું નામ હોળીના તહેવાર સાથે જોડાયેલું છે. હા.. ‘ભક્ત પ્રહલાદ’.
એક શિક્ષક તરીકે હું મારા વિચારોને બાળકો ઉપર કેવી રીતે થોપી શકું? કોઈપણ પરિસ્થિતિ, વ્યક્તિ કે ઘટના માટે કોઈપણ વ્યક્તિના તેના અનુભવના આધારે અંગત મંતવ્યો હોઈ શકે એ મને સમજાઈ ગયું.
અને એ છોકરો કે જેને પ્રશ્ન થયો હતો તેને જોયો ત્યારે એક મુવીનું સોંગ યાદ આવી ગયું,
ઇક દિન કિસી ફકીરને ઇક બાત કહી થી,અબ જા કે દિલને માના, માના વો બાત સહી હે...
કિ.. જિસકા કોઈ નહિ.. ઉસકા તો.. ખુદા હે યારો..